← પદ-૬૦ રસિકવલ્લભ
પદ-૬૧
દયારામ
પદ-૬૨ →


પદ ૬૦ મું

કૃષ્ણ કહે કહો એક જ વારજી, તેના મહિમાનો નહિ પારજી;
ગંગાદિ સૌ તીર્થ મહાનજી, કલ્પ ત્રિશત લખી કરતાં સ્નાનજી.
શુચિ જેવું તે થકી હોય ગ્રાતજી, તેવું શુચિ એક હરિવચ માત્રજી;
હરિયશ હેતે ગાય જ્યાં દાસજી, સકળ તીર્થ નો ત્યાંજ નિવાસજી.

ઢાળ

છે નિવાસ તીર્થ અખીલનો, હરિચરણપંકજ માંય;
તે આપોપે ઉભા રહે, જન ગાય ગુણ નિજ જ્યાંય.
હરિ સ્મરણ કરતાં માત્રમાં, બંધન ટળે સંસાર:
આનંદમંગળ નિત્ય નિર્ભય, પુણ્યનો નહિ પાર.

શ્રી લાભજપ જશ શુભ સકલ હોય, અમંગળ ટળી જાય;
તે સમય સહુ સવળું વિમુખ યદા હરિ સમરાય.
ભય કંસ દ્વેષે ચૈદ્ય કુબ્જા સ્મરણ હરિ સ્મરભાવ;
તદપિ થયું શિવ તો કહે; કો સ્નેહસ્મરણ પ્રભાવ.
જો નિમિષ વા નિમિષાર્ધ ચિંતન, ચતુર્ભુજનું થાય;
તો યજ્ઞ કોટિ હજારનું, ફ્ળ શાસ્ત્ર તેને ગાય.
સહુ શાસ્ત્ર ફરી ફરી વિચારે, મુનિ નિકળ્યો એ સાર;
જન દયાપ્રીતમ ધ્યાન ધરવું, નિત્ય નંદકુમાર.