← પદ-૭૦ રસિકવલ્લભ
પદ-૭૧
દયારામ
પદ-૭૨ →


પદ ૭૦ મું

તે ભગવદીય દાસાનુદાસજી, થાતાં ઉર હોય ભક્તિ નિવાસજી
સત્સંગ મહાત્મ અપારજી, હરિ મળવાનો સત્ય ઉપચારજી,
ઉદ્ધવ પ્રત્યે શ્રીહરિ વાણીજી, તે કહું કીચિત્ ઇંહાં વખાણીજી;
ઉદ્ધવ મુજને ન રોધે યોગજી, સાંખ્ય ધર્મના કર્મ પ્રયોગજી.

ઢાળ

ન પ્રયોગ, ન સ્વાધ્યાય, તપ, દક્ષિણા, દાન, ન ત્યાગ;
વ્રત, નેમ, યમ, તીર્થાટને, ન રોધાઊં નાના યાગ.
રોધઊં નહિ વેદાધ્યયન, આદિ વિના સત્સંગ;
વણ ધર્મસાધન થાઊં વશ, હું જો સુસંગે રંગ.
બહુ દૈત્ય રાક્ષસ ખગ મૃગ ગાંધર્વ અપ્સરા નાગ;
જણ સિદ્ધ ચારણ વિદ્યાધર, ગુહ્યક કપિ સદરાગ.
સ્ત્રી વૈશ્ય શૂદ્ર ને અંત્યજ જાતિ, રજ તમ પ્રકૃતિ સપાપ;
તે તે સર્વ મુજ પામિયાં કેવલ સુસંગ પ્રતાપ.
તે કોણ કોણ કહું સુણો, પ્રહલાદાદિક બલિ ભૂપ;
વૃષપર્વા વૃત્રાસુર, બાણાસુર તર્યા ભાવકૂપ.
હનુમાન સુગ્રીવ અંગદાદિક, તથા જાંબુવાન;
તે સહુ દયાપ્રભુ પદ લહ્યું, સત્સંગ શક્તિ મહાન.