રા' ગંગાજળિયો/સુલતાનનો મનસુબો

← છેલ્લું ગાન રા' ગંગાજળિયો
સુલતાનનો મનસુબો
ઝવેરચંદ મેઘાણી
દોસ્તી તૂટી →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


પ્રકરણ સત્તાવીસમું
સુલતાનનો મનસૂબો

સાડા તેર વર્ષના સુલતાનને તખ્ત પર બેઠે સાત વર્ષ થઇ ગયાં હતાં. બેઉ બાજુ મૂછો નીક્ળી ચૂકી હતી. સુલતાન 'બીગરો' બનતો જતો હતો. અને ઉમરાવોનાં કલેશ કંકાસ તેમ જ કાવત્રાંને સાફ કરી નાખી ઘોડે પલાણ્યો હતો, મુલકો ઘૂમતો હતો.

'આ જાંબુડો કોણે વાવેલ છે ?' એમ કહેતે જુવાન સુલતાને રસ્તા પરની એક ઝુંપડી પાસે ઘોડો રોક્યો. ઝૂંપડીનો વાસી ગરીબ માણસ બહાર આવી ઝૂકી ઊભો રહ્યો. 'મેં વાવેલ છે ખાવંદ.'

'પાણી ક્યાંથી કાઢો છો?'

'દૂર નદીથી કાવડ ભરી આવું છું.'

'એને આંહીં કૂવો ખોદાવી આપો વઝીર, ને વધારે ઝાડ વાવે તો ઇનામ આપો.'

સુલતાનની એ વનસ્પતિ પરની પ્રીતિથી જ ગૂજરાત ગુલિસ્તાં બનતું હતું. આંબા, દાડમડી, રાયણ, જાંબુ, નાળીએર, બીલાં ને મહુડાં ગૂજરાતની રસાળ ધરતીને ભાવતાં. હર કિસમનાં ફળઝાડ ઉઝેરવા રૈયતમાં ઉત્સાહ પ્રગટ્યો. પાંચ કોસ લાંબો પહોળો ફિરદોસ બાગ અમદાવાદની પૃથ્વીના લીલુડા કમખા સરીખો પથરાઇ ગયો.

કસ્બે કસ્બે જુવાન સુલતાનની સવારી નીકળી. પંથે પંથે એણે ફળફૂલનાં ઝાડનો શોખ વેર્યો. ને જ્યાં જ્યાં એણે ગામની કોઇ દુકાન કે ઘર ખાલી અથવા ઉજ્જડ પડેલું જોયું ત્યાં ત્યાં એનો ઘોડો ઊભો રહ્યો, એની આંગળી ચિંધાઇ, એણે અધિકારીઓને પહેલો પ્રશ્ન હંમેશાં એ જ પૂછ્યો 'આ ઉજ્જડ કે ખાલી બનવાનું કારણ?'

'બાપ મરી ગએલ છે. છોકરાં નાનાં છે.'

'મદદ આપો. એના ઉમરવાન સગાને એની સાથે રહી વેપાર કરવા કહો. રાજ મદદ આપે છે.'

જ્યાં જ્યાં સુલતાન વિચર્યા ત્યાં ત્યાં આવાં વેરાન પડેલાં સ્થાનોનો એણે દિવસ વાળ્યો. એણે કહ્યું :'એક પણ ખાલી મકાન મને ભયંકર ભાસે છે.'

ઠેર ઠેર એણે લશ્કરની હાલત તપાસી. 'સિપાહીઓ કેમ કંગાલ બન્યા છે ?'

'કરજવાન બની વ્યાજખાઉઓના સિતમો તળે ચગદાયા છે.'

'લશ્કરીઓને ફરમાન સંભળાવો કે ખબરદાર, બહારનું કરજ કરે નહિ. ગૂજરાતની મહેસૂલનો એક ભાગ અલાયદો પાડો, ને તેમાંથી લશ્કરીઓને જરૂર પડતાં ધીરો, પાછું તેની જાગીર પરથી વગર વ્યાજે વસૂલ કરો. વ્યાજખોરો તો કુત્તા છે. તેમનાથી છેટા રહે લશ્કરીઓ !'

પોતે જ્યાં જ્યાં ગયો ત્યાં સૈન્યના સિપાહીઓનાં પત્રકો તપાસ્યાં. અનેકના નામ પરથી જાગીરો રદ થયેલી જોઇ કારણ પૂછ્યું. ખુલાસો મળ્યો 'એ સિપાહીઓ તો લડાઇમાં કામ આવી ગયા છે અથવા કુદરતી મોત પામ્યા છે.'

'તો પણ એની જાગીર સરકાર દાખલ શા માટે કરો છો?'

'શું કરીએ?'

'તેના છોકરાને નામે કરી આપો.'

'ઘણા તો અપૂત્ર મૂવા છે.'

'તો અરધો ભાગ તેની દીકરીઓને આપો.'

'ઘણા તો સાવ વાંઝીઆ મૂવા છે, નામદાર !'

'તો એનાં આશરાવાસી હશે ને ! એની ઓરત, ભણેજ, ભત્રીજી વગેરે વિધવાઓ હશે. એને સૌને યોગ્ય મદદ પહોંચાડો.'

જુવાન સુલતાનનાં આ ફરમાનોએ ફોજનાં માણસોમાં ચમક પેદા કરી. પોતાની સાત પેઢી સુધી નજર પહોંચાડનાર ખાવીંદને માટે તેઓ પોતાની ચામડી ઉતારી દેવા પણ તૈયાર થયા.

અમલદાર આવીને કહેતો :'હઝૂર, ફલાણો અમીર ગુજરી ગયો છે. પણ એનો દીકરો પદવીને લાયક નથી.'

સુલતાન એને જવાબ વાળતો :'ફિકર નહિ. તેની પદવી જ તેને લાયક બનાવશે. તેની જાગીર કે પદવી ન ખૂંચવશો.'

આવા ડહાપણથી જુવાન સુલતાને માણસોને માણસાઇ શીખવાડી. જાગીરદારોને તેઓ જોરજુલમ ન આચરે ત્યાં સુધી તેમની હક્ક રક્ષા બાબત નિર્ભય બનાવ્યા. વેપારીઓને ચોર લૂંટારાથી સલામત કરી મૂક્યા, અને એનો જવાબ ધરતીએ ક્યારનો વાળી દીધો હતો : સરકારના એકેએક ગામડાની ઉપજ વધીને બેવડી બની હતી.

'બીગરો' બનવાની ખુમારીમાં મૂછોને બેઉ બાજુ વળ ચડાવતો જુવાન સુલતાન એક દિવસ કપડવણજ કસ્બામાં મુકામ નાખીને પડ્યો હતો.

રાતનું ભોજન કરીને એ ઊઠ્યો છે ને બૂમો મારે છે : 'અરે મરમરા લાવ રે જલદી મરમરા !'

પાંચ શેર મરમરાની તાસકો એની સામે મૂકાય છે, તેમાંથી એ ફાકડા ભરતો બોલે છે : 'યા અલ્લાહ ! એક ગૂજરાતી મણની રસોઇ મારા જઠરનો ખાડો પૂરી નથી શકતી. અરે ભાઇ આ પાંચ શેર મમરા તો હમણાં ચટ થઇ જશે. મારી પથારીની બેઉ બાજુ સમૂસા મૂકાવેલ છે ને ? ભૂલી નથી ગયાને એ હેઇ ખાનસામાઓ ? ન ભૂલજો, નીકર રાતમાં ઊઠીને હું તમને ખાઇ જઇશ હાં કે .'

'જનાબ, બધું બરાબર મૂકેલ છે.'

'પલંગની બેઉ બાજુ હાં કે ! હું જે બાજુ ઊઠી જાઉં તે બાજુ મારો હાથ સમૂસાની તાસક પર જ પડવો જોઇએ. હાં કે ? અને સુનો બે ખાનસામા, ચૂક મત કરો બાબા, સવારે નમાઝ પઢ્યા પછી તૂરત મારે માટે મધ ને ઘી કટોરા ભરી ભરીને તૈયાર છે કે ? અને સુનેરી કેળાં કેટલાં છે ?'

'દોઢ સો છે હઝૂર.'

'બરાબર દોઢસોની લૂમ મૂકવી હાં કે ? નહિતર હું ભૂખે મરી જઇશ. ઓ મારા માલિક !ઓ ખુદા !અમ્મા સાચુંજ કહેતી હતી કે ફતીઆ, ખાઉધરા, તારૂં શું થશે ! ખુદાતાલાએ મહમૂદને ગૂજરાતનો સુલતાન ન બનાવ્યો હોત તો એનું પેટ કોણ ભરત !' મમરા બૂકડાવતો બૂકડાવતો એ જુવાન સુલતાન આમ બોલે જતો હતો ને રાજી રાજી થતો હતો.

'જહાંપના !' મંત્રીએ વરધી દીધી : 'પેલો શખ્સ સોરઠથી આવેલ છે.'

'એને આંહી લઇ આવો.'

આવનાર આદમીએ બે હાથ નીચે સુધી નમાવીને કુરનસ કરી. એનો લેબાસ અસલ કાઠિયાવાડી હતો.માથે ગુલખારી આંટીવાળી પાઘડી : અંગ પર લાંબો અંગરખો, ઉપર હીરકોરી પીછોડી, ઢીલી ખૂલતી સુરવાળ, હાથની આંગળીઓમાં હેમના વેઢ : વૃદ્ધ હોવા છતાં ટાપટીપ કમાલ હતી.

'ક્યાંથી આવો છો ?' વાતચીત કરનાર એ બે જ જણ રહ્યા એટલે સુલતાને પૂછ્યું.

'જૂનાગઢથી, જહાંપના.'

'નામ ?'

'વીશળ કામદાર : રા'માંડળિકનો કારભારી છું.'

'શી છૂપી વાત કહેવી છે તમારે ?'

'પાદશા સલામત ! સોરઠની વસ્તીને રક્ષા આપો. હવે જલદી રક્ષા આપો. અમારો રા' ભયંકર બન્યો છે. ન કરવાનાં કર્મો આદરેલ છે એણે.'

'તમે કેમ નીમકહરામ થવા આવ્યા છો ? જાણો છો બનીઆ ! સુલતાન એક મુસ્લિમ છે. કાફીરોનો કાળ છે મહમુદશા. ને હિંદુઓની મક્કા-મદીના સરખી સોરઠ માથે જ્યારે એની સમશેર ઉતરશે ત્યાર એકે ય દેરૂં સલામત નહિ રહે,મંદિરે મંદિરે મસ્જિદો બંધાશે. પિછાનો છો મને કાળને !' સુલતાને આંખો ફાડીને ચકળ વકળ ડોળા ઘૂમાવ્યા.

'હે પાદશાહ ! જે કરવું હોય તે કરજો. સોરઠની વસ્તી એ બધું સહી લેશે. નથી સહેવાતા આ અમારા હિંદુ રાજાના અનાચાર !'

'તમને શું નડ્યો રા'માંડળિક, હેં શેઠિયા !' સુલતાન મોં મલકાવતો હતો.

'મારે માથે તો ખુદાવંદ-' એ રડવા જેવો બન્યો :'અવધિ કરી છે. મારી શાદી થઇ-'

'તારી ? બુઢ્ઢાની ?' સુલતાનના મોંમાં મરમરાનો બુકડો અટકી રહ્યો.

'હા નામદાર, ત્રીજી વારની શાદી; છોરુની ખોટે કરવી પડી : મેં મારા ધણીને ઘેરે આદરસત્કાર કરવા તેડાવ્યા. એણે મારી સ્ત્રીને નજરમાં લીધી. ને એક વાર મને ગામતરે મોકલી મારા ઘરમાં રાતે ઘૂસી જઇ, મારી નવીની-મારી મોહિનીની લાજ લૂંટી- ઓ મારા બાપ ! રડી પડ્યો.

'અબે બેવકૂફ બનીઆ !'સુલતાને કહ્યું : 'મારામાં પણ હવસનું જોર ક્યાં કમ છે ? હું સોરઠ ઉપર ત્રાટકીશ ત્યારે-'

'આપ તો માવતર, ઠીક પડે તેમ કરજો. આ તો હિંદુ દેવસ્થાનાંનો રાજા થઇને વિશ્વાસઘાત કરે છે. ને મારી શેઠાણી મોહિનીનો અવતાર બગાડ્યો તેને વળતે જ દિવસે એણે અમારા એક દરવેશ નરસૈયા ઉપર અકેકાર ગુજાર્યો. એ વિફરી ગયો છે. એ હવે શું નહિ કરે તેનું ઠેકાણું નથી. એને કોઇનો ડર નથીરહ્યો. આપણે તો એ છોકરું જ માને છે. ને આપની વિરુદ્ધ પ્રજાને ઉશ્કેરી બેઠો છે.'

તે તો મેં પણ સાંભળ્યું છે, કામદાર.' 'અન્નદાતા ! સોરઠ દેશ તો આજે આપ જેવા સુલતાનની કલગીમાં જ શોભે. આજ એને એક અફીણી, એદી, અભિમાની, લૂંટારો, જારકર્મી જ ભોગવે છે.'

'હા, મેં પણ સુણ્યું છે કે ખુદાએ માળવા, ખાનદેશ ને ગૂજરાત એ ત્રણેનો અર્ક નીચોવીને સોરઠને સરજેલ છે. કુદરતના હાટમાં સોરઠ તો એ ત્રણે દેશોને કસવાના પથ્થર સમાન છે. સોરઠનાં બંદરો મારી આંખની કીકીઓમાં દિનરાત રમે છે.પણ સાચું કહું છું બનીઆ ! મારા પંજા વધુમાં વધુ તલસે છે એનાં દેરાં તોડવા માટે. પણ શું કરું ! તારા રા'ની કુમકે કુદરતે પહાડો ને જંગલો ખડાં રાખેલ છે. આકાશ સુધી પહોંચતો તમારો ગિરનારનો કિલ્લો, સિકંદરના કિલ્લા જેવી જેના કોટની દિવાલો છે તે તમારો અભેદ્ય આસમાની ઊપરકોટ : અને તમારા આંગણામાં જ છૂપાએલી મહબીલાની ખો જેવી, બેશુમાર ખોપો-એમાં હું ફોજ કેમ કરી લઇ જાઉં?'

'આપને માર્ગ દેખાડવા તો હું આવેલ છું.'

'બનીઆ ! તું રખે જાસુસ હો-હું તને હવે આંહીથી જવા નહિ દઉં. હવે તો હું ચડાઇ લઇ જાઉં ત્યારે જ તું સાથે ચાલજે.'

'ઘણી ખુશીથી ખુદાવંદ ! મારે હવે ત્યાં જઇને પણ શું કરવું છે ? ઓ મારી મોહિની......ઓહ ' એ રડી પડ્યો; ને સુલતાન હસ્યો.

'બેવકૂફ ! જોતો નથી ? હું ખાઉં છું તો હજમ કરવાની પણ તાકાત ધરાવું છું.તું બુઢ્ઢો, ત્રીજી વાર શા માટે તાકત વગર શાદી કરી આવ્યો ? તારી શેઠાણીએ પોતા ઉપર હુમલો કરનારને ખંજર હુલાવી દેવાનું યા તો પોતે જીભ કરડીને મરી જવાનું કેમ પસંદ ન કર્યું !' 'સાચું કહો છો માવતર !'

વળતા દિવસે પ્રભાતે મેદાનમાં સુલતાને પોતાની ગંજાવર ફોજની મોખરે ઊભા રહી નમાઝ પડી અને નમાઝ પૂરી થયે એણે ઉદ્ગારો કાઢ્યા: 'સિપાહીઓ ! ખુદાની મહેરબાની હશે તો આવતા વર્ષે આ ખુદાનો સેવક એક નવું નગર વસાવશે.'

આ બોલ બોલતો હતો ત્યારે એનું મોં સોરઠની દિશામાં હતું. ચતુર સાથીઓ સમજી ગયા કે સુલતાનની નજરમાં ગિરનાર રમે છે.

તે પછી પોતે દરબારમાં બેઠો, પહેલી મુલાકાત એણે એક સૈનિકને આપી. સાધારણ દરજ્જાના એ સિપાહીએ સુલતાનની પાસે એક ટોપલી ભેટ ધરી. ટોપલી ઉપર લાલ કપડાનો રૂમાલ ઢાંક્યો હતો.

રૂમાલ ખોલતાં સુલતાને મીઠું હાસ્ય કરી કહ્યું,'આ શી ચીજ છે, સૈનિક?'

'સુલતાન, એ તો મઠની સીંગો છે. તારી રજા લઇને હું મારે વતન ગયો હતો. ત્યાં અમારૂં ખેતર છે. એમાં આ મઠ ઊગે છે. એ હું તારા ઘોડા માટે લાવેલ છું. કેમકે એ સરસ છે, દાણાથી ભરપૂર છે. તારો ઘોડો એ ખાઇને તારા જેવો જ તાકાતવાન બનશે. મઠ ખવારાવ્યા વગર તારો ઘોડો તારા જેવા તોતીંગ પહાડી આદમીને ઉપાડી ગિરનાર પહોંચી નહિ શકે હો સુલતાન !'

'તારી સોગાદ હું હીરામોતી બરાબર માનીને સ્વીકારૂ છું, સિપાહી !' એમ કહી સુલતાન પ્રસન્ન ચિત્તે હસ્યો.

તે પછી એણે ખજાનચીને તેડાવ્યો ને હુકમ કર્યો -

'આજથી ગિરનારની ચડાઇને માટે પાંચ કરોડ અવેજના ફક્ત સોનાના જ સિક્કા તૈયાર રાખો.' શસ્ત્રાધિકારીને બોલાવી ફરમાન દીધું  : 'કુરબેગ, ગિરનારની ચડાઇ માટે તૈયાર રાખો - સત્તરસે મિસરી, મલતાની, મઘરેબી અને ખોરાસાની તલવારો : એ દરેકનીમૂઠ ચારથી છ શેર વજન સુધીની શુદ્ધ સોનાની હોવી જોઇએ : તેત્રીસસો અમદાવાદી તલવારો, જે દરેકની મૂઠ રૂપાની, પાંચથી છ શેર વજનની હોવી જોઇએ : સત્તરસે ખંજરો ને જમૈયા, જેના દરેક હાથાનું વજન ગૂજરાતી અઢીથી ત્રણ શેર નરદમ સોનાનું હોય.'

અશ્વપાળને બોલાવી આજ્ઞા આપી કે 'બે હજાર આરબ અને તુર્કી ઓલાદના સોનેરી સાજ વાળા ઘોડા તૈયાર કરો.'

બાવીસ વર્ષના જુવાન સુલતાનની આ આજ્ઞાઓ અફર હતી. ફોજમાં આ તૈયારીના ખબર ફેલાયા કે તૂર્ત સિપાહીઓ સોરઠની ધરતી ખૂંદી નાખવા તલસી ઊઠ્યા. તેમની કલ્પના સામે આ ઇનામો હતાં, ને હિંદુ દેવસ્થાનાંના બેહિસ્તે લઇ જનારા વિનાશની તલપ હતી.

કેળાંની લૂમો ઉડાવતા સુલતાનને પણ ઊનાળો બેઠો એટલે તલપ લાગી - સાબરમતીની રેતમાં પાકતાં રાતાંચોળ તરબૂચોની. 'ખરબૂજની મોસમ નથી ચૂકવી' એમ કહીને એણે અમદાવાદ તરફ પડાવ ઉપાડી મૂક્યો.

જૂનાગઢના વીસળ કામદારે પણ તરબૂચો ખાતાં ખાતાં, એના જેવા જ ગુલાબી રંગની વૈરવાસનાને પોતાના અંતરમા પકવ્યે રાખી. એણે સુલતાન સાથેની મુલાકાતોમાં ગિરનારનાં ગુપ્ત રહેઠાણો અને ઊપરકોટ ફરતાં અબેદ્ય જંગલોમાંથી સર્પ શી ચાલી જતી છૂપી કેડીઓની વિગતવાર બાતમી આપ્યા કરી.