← અર્પણ રાઈનો પર્વત
પ્રસ્તાવના
રમણભાઈ મહિપતરામ નીલકંઠ
નાટકનાં પાત્ર →


પ્રસ્તાવના

[પહેલી આવૃત્તિ]

આ નાટકના વસ્તુ (Plot)નું મૂળ મારા સ્વ. પિતાએ પ્રસિદ્ધ કરેલા ‘ભવાઈ સંગ્રહ’ માં “લાલજી મનીઆર” ના વેશમાં આવે છે.

“સાંઇઆંસે સબ કુચ્છ હોત હે, મુજ બંદેસે કચુ નહીં;
રાઈકું પરબત કરે, પરબત બાગેજ માંહી.”

આ દુહા ઉપરથી અને એ દુહા નીચે ટીપમાં આપેલી વાર્તા ઉપરથી લીધું છે. એ આખી વાર્તા આ પુસ્તકના પરિશિષ્ટમાં આપી છે. આ પુસ્તકમાં મુખપૃષ્ઠ ઉપર દોહરો મૂક્યો છે તે એ દુહા ઉપરથી રચ્યો છે. એ દોહરો સૂત્ર સ્વરૂપે લઈ અને એ વાર્તામાં ફેરફાર તથી વધારો કરી આ નાટકની રચના ગૂંથી છે.

સને ૧૮૯૫ ના અરસામાં આ નાટકની મુખ્ય રેખાઓની કલ્પના કરી મેં પુસ્તક લખવા માંડેલું, પણ તે વખતે પહેલો પ્રવેશ લખ્યા પછી આગળ લખવાનું અટકી પડેલું. તે પછી સને ૧૯૦૯ના મે માસમાં આ પુસ્તક લખવાનું ફરી શરૂ કર્યું અને પહેલો પ્રવેશ ફેરફાર કરી ફરી લખ્યો; અને, અવકાશ પ્રમાણે કકડે કકડે આગળા લખી આ માસમાં આ પુસ્તકા હું પૂરું કરી શક્યો છું.

અમદાવાદ
તા. ૧૩ નવેમ્બર, ૧૯૧૩

રમણભાઈ મહીપતરામ નીલકંઠ
 


[પાંચમી આવૃત્તિ]

ચોથી આવૃત્તિ જલદી ખપી જવાથી અને આ વર્ષે મુંબઈ યુનિવર્સિટીએ સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટની પરીક્ષા માટે પસંદ કરવાથી આ આવૃત્તિ વહેલી છપાવી છે. કિંમત એની એ રાખવી પડી છે; પરંતુ આમાં કાગળ વધારે સારા વાપર્યાં છે.

એપ્રિલ, ૧૯૨૩
૨. મ. ની.