રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રી રત્નો/શ્રીમતી (બીજી)

← કળાવતી રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રીરત્નો
શ્રીમતી (બીજી)
શિવપ્રસાદ દલપતરામ પંડિત
જયંતી →


२०–श्रीमती (बीजी)

નો જન્મ રાજપુરીનગરીમાં થયો હતો. એના પિતાનુ નામ ધનદત્ત અને માતાનું નામ ધનશ્રી હતું. સાત પુત્ર પછી એક પુત્રીનો જન્મ થયાથી શ્રીમતી માતાપિતાના બહુ સ્નેહને પાત્ર બની હતી.

એક વખત એ રાજ્ય ઉપર શત્રુએ આક્રમણ કર્યું અને જીવ બચાવવા સારૂ ગામના લોકોને નાસવું પડ્યું. શ્રીમતીની ધાવ એને લઈને નાસી ગઈ અને એક વનમાં વડવાઈની સાથે ઝોળી બાંધીને બાળકને સુવાડી પોતે પાણી પીવા ગઈ.

એવામાં રત્નપુરનો એક મોટો શેઠ જિનદત્ત ત્યાં આવી ચઢ્યો અને લાવણ્યમયી બાળાના રૂપ તથા સૌમ્ય મુખથી પ્રસન્ન થઈ, પોતાને ઘેર લઈ ગયો અને તેને પોતાની કન્યા પેઠેજ ઉછેરવા લાગ્યો.

જિનદત્ત શેઠે તેને સારું શિક્ષણ આપ્યું. સંગીતવિદ્યા ઉપર તેની વિશેષ રુચિ હતી. મૂળે તો તેનો કંઠ મધુર હતો અને પછી શાસ્ત્રવિધિથી સંગીતનું શિક્ષણ મેળવ્યું, એટલે તેના ગીતમાંથી એક અપૂર્વ મધુરતા આવતી.

એક વખત શ્રીમતી પોતાની સખીઓ સહિત રમી રહી હતી અને સંગીતનો વિનોદ ચાલી રહ્યો હતો, એવામાં રત્નપુરનો રાજા ત્યાં જઈ ચડ્યો અને તેના નૂપુરના ધ્વનિથી એટલો બધો પ્રસન્ન થયો કે, એને એ પોતાની પુત્રી સમાન ગણવા લાગ્યો.

વિવાહયોગ્ય વયની થતાં જિનદત્તે મદન નામના એક સુયોગ્ય યુવક સાથે તેનું લગ્ન કરી દીધું. એ લગ્નમાં રાજાએ પણ ઘણો સારો ભાગ લીધો અને પુષ્કળ વસ્ત્રાલંકાર ભેટ આપ્યાં. એ દિવસથી તે “આભૂષણવતી”ના નામથી પ્રસિદ્ધ થઈ.

શ્રીમતીનો ગૃહસંસાર બહુ પ્રશંસનીય હતો. વડીલોની સેવા અને પતિપ્રેમમાં તેનો સમય વ્યતીત થતો હતો. ગૃહસ્થાશ્રમમાં રહીને ધર્મસાધના કરવામાં પણ તે સદા તત્પર રહેતી.

એક દિવસ એક પરમ વિદ્વાન મુનિ રત્નપુરમાં પધાર્યા. શ્રીમતીના સસરા પણ ત્યાં જઈ ચડ્યા અને સાધુનો ઉપદેશ સાંભળ્યા પછી પોતાની પુત્રવધૂના સદ્‌ગુણોની ઘણી પ્રશંસા કરી અને પૂછ્યું કે, “આ શ્રીમતીએ પૂર્વજન્મમાં કયું સત્કાર્ય કર્યું હશે જેના પ્રભાવે એ આવી વિદુષી, શીલવતી અને પરોપકારી નીવડી ?” સાધુએ તેના પૂર્વજન્મનો વૃત્તાંત કહી સંભળાવ્યો કે, “પૂર્વજન્મમાં એ અનામિકા નામની તપસ્વિની હતી.”

એ વૃત્તાંત સાંભળ્યા પછી શ્રીમતીની મતિ ધર્મ ઉપર વધારે દૃઢ થઈ. તેણે તપશ્ચર્યા કરવા માંડી. વ્રતનાં ઉદ્યાપન કર્યાં અને સંયમપૂર્વક જીવન ગાળવા લાગી. મૃત્યુ પછી તે મુક્તિને પામી.