લોચન-મનનો ઝઘડો
દયારામ



પદ ૪થું – રાગ સાખી.

લોચન મનનો રે, કે ઝઘડો લોચન મનનો !
રસિયા તે જનનોરે, કે ઝઘડો લોચન મનનો ! –ટેક.
પ્રીત પ્રથમ કોણે કરી, નંદકુંવરની સાથ;
મન કહે લોચન તેં કરી, લોચન કહે તારે હાથ. ઝઘડો લોચન.
નટવર નિરખ્યા, નેણ તેં, સુખ આવ્યું તુજ ભાગ;
પછી બંધાવ્યું મજને, લગન લગાડી આગ. ઝઘડો લોચન.
સુણ ચક્ષુ હું પાંગળું, તું મારું વાહંન;
નિગમ અગમ કહ્યું સાંભળ્યું, દીઠા વિના ગયું મંન. ઝઘડો લોચન.
ભલું કરાવ્યું મેં તને, સુંદરવર સંજોગ;
હુંને તજી તું નિત મળે, હું રહું દુઃખવિજોગ. ઝઘડો લોચન.
વનમાં વ્હાલાજી કને, હું વસું છું નેણ;
પણ તુંને નવ મેળવે, હું નવ ભોગવું ચેન. ઝઘડો લોચન.
ચહેન નથી મન ક્યમ તુંને ? ભેટે શ્યામ શરીર;
દુઃખ મારું જાણે જગત, રાત્ર દિવસ વહે નીર. ઝઘડો લોચન.
મન કહે : “ધીકું હૃદે ધૂમ્ર પ્રગટ ત્યાં હોય;
તે તુજને લાગે રે નેણ, તે થકી તું રોય. ઝઘડો લોચન.
એ બેહુ આવ્યાં બુદ્ધિકને, તેણે ચુકવ્યો ન્યાય,
મન ! લોચનનો પ્રાણ તું, લોચન તું મનકાય. ઝઘડો લોચન.
સુખથી સુખ, દુઃખ દુઃખથી, મનલોચન એ રીત,
દયા પ્રીતમ શ્રીકૃષ્ણશું બેહુ વડેથી પ્રીત. ઝઘડો લોચન.

અન્ય સંસ્કરણ ફેરફાર કરો

લોચન – મનનો રે, કે ઝઘડો લોચન – મનનો !
રસિયા તે જનનો રે, કે ઝઘડો લોચન – મનનો ! ટેક0

પ્રીત પ્રથમ કોણે કરી, નંદકુંવરની સાથ ?
મન કહે : “લોચન તેં કરી,” લોચન કહે : “તુજ હાથ.” 0ઝઘડો

“નટવર નિરખ્યા, નેન તેં, ‘સુખ આવ્યું તુજ ભાગ;
પછી બંધાવ્યું મજને, લગન લગાડી આગ ! 0ઝઘડો

“સુણ ચક્ષુ ! હું પાંગળું, તું મારું વાહન ;
નિગમઅગમ કહ્યું સાંભળ્યું, દીઠા વિના ગયું મન.” 0ઝઘડો

“ભલું કરાવ્યું મેં તને – સુંદરવરસંજોગ;
હુંને તજી નિત તું મળે, હું રહું દુઃખવિજોગ.” 0ઝઘડો

“વનમાં વ્હાલાજી કને, હું વસું છું સુણ નેન !
પણ તુજને નવ મેળવ્યે, હું નવ ભોગવું ચેન.” 0ઝઘડો

“ચેન નથી મન ! કેમ તુંને ? ભેટ્યે શ્યામ શરીર ?
દુઃખ મારું જાણે જગત, રાતદિવસ વહે નીર.” 0ઝઘડો

મન કહે : “ધીખું હું હ્યદે ધૂમ પ્રગટ ત્યાં હોય,
તે તુંને લાગે રે નેન, તેહ થકી તું રોય.” 0ઝઘડો

એ બેઉ આવ્યાં બુદ્ધિ કને, તેણે ચૂકવ્યો ન્યાય,
“મન ! લોચનનો પ્રાણ તું, લોચન તું મન-કાય. 0ઝઘડો

સુખથી સુખ, દુઃખ દુઃખથી, મનલોચન ! એ રીત,
દયાપ્રીતમ શ્રીકૃષ્ણ-શું બેઉં વડેથી પ્રીત.” 0ઝઘડો