← વસુકુમારી વીરક્ષેત્રની સુંદરી
મદિરાક્ષી
ડો. રામજી (મરાઠી)
૧૯૧૪
રાજકુમાર રક્તસેન  →


મદિરાક્ષીની વાર્ત્તા

ડોકટર સાહેબ ! પ્રતિષ્ઠાનપુર નામક નગરમાં પૂર્વે એક સરદાર રહેતો હતો. તેનાં માતાપિતાનો સ્વર્ગવાસ થયા પછી તેણે કેટલાક દિવસ સુધી ગૃહમાં જ બેસીને જે પોતાની વડિલોપાર્જિત સંપત્તિ હતી તે નાના પ્રકારના આનંદવિલાસમાં ખર્ચીને પૂરી કરી નાખી. એ પછી તેના મનમાં એવો વિચાર આવ્યો કે, 'આ તારુણ્યમાં હું વિષયલંપટ થઇને આમને આમ બેસી રહીશ, તો વૃદ્ધાવસ્થામાં અન્ન વસ્ત્રની મહા વ્યથા ભોગવવી પડશે; એટલા માટે અત્યારે શરીરમાં સામર્થ્ય છે તેવામાં જ દ્રવ્યોપાર્જનનો પ્રશ્ન કરવો જોઇએ.' આવો વિચાર કરીને તેણે પોતાની પત્ની તથા દાસીને કહ્યું કે;- હું વ્યવસાય માટે કોઈ અન્ય સ્થાનમાં જાઉ છું, એટલા માટે આપણા બાળકની તમે બન્ને મળીને સંભાળ રાખજો. હું ધન મેળવીને બનતાં લગી સત્વર જ પાછો આવીશ.” આમ કહીને તે ત્યાંથી અન્યત્ર જવાને ચાલ્યા ગયો.

તેની સ્ત્રી મદિરાક્ષી મહા સુંદર અને તરૂણ હોવાથી પતિના પ્રયાણ પછી એક પંજાબી સૈનિક સાથે તેણે પ્રેમસંબંધ કર્યો, પંજાબી સૈનિક પણ સુંદર, તરુણ અને બળવાન હોવાથી દિવસે દિવસે બન્નેનો પરસ્પર પ્રેમ વધતો ગયો અને બન્ને વિષયલંપટતાનાં જળમાં વધારે અને વધારે ઊંડાં ઊતરતાં ગયાં. એક દિવસ તેની દાસી નદીએ કપડાં ધોવાને ગઈ હતી અને તેનો દીકરો બહાર રમવાને ગયો હતો, એટલે એ પ્રસંગને સાધી મદિરાક્ષી પોતાના પંજાબી યારને ઘરમાં લઈ આવી. એટલામાં અકસ્માત તેને પુત્ર ઘરમાં આવી લાગ્યો અને પોતાની માતાને પરપુરુષ સાથે એક પલંગ પર જોઈને કહેવા લાગ્યા કે;-“મા ! આજકાલ આ કોણ નવીન પુરુષ આપણા ઘરમાં આવે છે અને આજે તું એની સાથે નિમગ્ન થઈ છે તેનું શું કારણ વારૂ ? મે સાંભળ્યું છે કે, આ નિંદ્ય કર્મ ઘણાકોના પ્રાણ લે છે અને પ્રતિષ્ઠાની સર્વથા હાનિ કરી નાખે છે. એટલા માટે મારા પિતાશ્રી જ્યારે પાછા ઘેર પધારશે, તે વેળાએ તેમને હું આ સર્વ વૃત્તાંત કહી સંભળાવીશ અને તમે બન્નેને યોગ્ય શિક્ષા કરાવીશ.” પુત્રના મુખમાંનાં આ વાક્યો સાંભળી હૃદયમાં અત્યંત ભયભીત થઈને મદિરાક્ષીએ પોતાના જારને ઈશારાથી સૂચવી દીધું કે;-“હવે વિલંબ ન કરતાં આના પ્રાણનો નાશ કરી નાખો, નહિ તે આ બધો ભાંડો ફોડી નાખશે અને તે આપણ બન્નેના પ્રાણ લઈ લેશે !” આટલું કહીને જ તે અટકી નહિ, પણ તત્કાળ તેણે એક ખંજર લાવીને પોતાના જારના હાથમાં આપ્યું, અને પુત્રને ભૂમિપર પછાડીને કહ્યું કે;-“આ આપણો બાપ થવા આવ્યો છે, માટે હવે મનમાં લેશમાત્ર પણ દયા ન લાવતાં આનો વધ કરી નાખો, નહિ તો એ આપણા બન્નેના નાશનો હેતુ થઈ પડશે !” માતાનો આવો રંગ જોઈને તે પુત્ર અત્યંત ભયભીત થઈ હાથ જોડીને માતાને પ્રાર્થના કરવા લાગ્યો કે:-“માતા ! મારું મરણ ન નીપજાવો. તમે બન્ને હમેશાં ગમે તેમ વર્ત્યા કરો, તો તે માટે મારી ના નથી. હું પ્રાણ જતાં ૫ણ આ વાત મારા પિતાને કહીશ નહિ. વળી હું તને કાશીની યાત્રાએ લઈ જઈશ અને સદાસર્વદા તારી જ આજ્ઞાનું પાલન કરીશ.” આવી રીતે તેણે અનેક પ્રકારે માતાની પ્રાર્થના અને આર્જવતા કરી, પણ તેનું તે કામાંધ અને નિર્દય નારીના હૃદયમાં કશું પણ પરિણામ થયું નહિ. તે દુષ્ટાએ રાક્ષસીનો અવતાર ધારીને તે ક્ષણે જ પોતાના હાથે જ પોતાના પુત્રનું ગળું કાપી નાખ્યું. અદ્યાપિ દિવસ હોવાથી પુત્રના શબને તેણે ઢોર માટે જે નીચેના એક ઓરડામાં ઘાસ અને બળતણ વગેરે વસ્તુઓ રાખવામાં આવતી હતી તે ઓરડામાં રાખી દીધું. એ પછી થોડીવારમાં જ દાસી કપડાં ધોઈને ઘેર આવી પહોંચી અને તેણે છોકરાને ન જોઈને શેઠાણીને પૂછ્યું કે;–“આપણો બાબુ ક્યાં ગયો વારૂ ?” શેઠાણીએ આંખો ફેરવીને જવાબ આપ્યો કે;-“હમણાં જ મારી માનું માણસ આવ્યું હતું તે તેને મેાશાળમાં લઈ ગયું – બે ચાર દિવસ રહીને તે પાછો આવશે !” શેઠાણીનું આ ઉત્તર સત્ય ન ભાસવાથી દાસી બાબુને આમતેમ શોધવા લાગી, એટલામાં ગાય આવી અને તેને માટે ઘાસને પૂળા કાઢવા તે એારડામાં જતાં ત્યાં બાબુનું મડદુ પડેલું તેના જોવામાં આવ્યું, હૃદયમાં અત્યંત શોક થવાથી તે શબને આલિંગન આપીને દાસી મોટા સ્વરે વિલાપ કરવા લાગી, અને બોલી કે;-“જો શેઠ આવશે, તો આનો શો જવાબ આપીશ ?” દાસીનો રોદનધ્વનિ સાંભળી મદિરાક્ષી ત્યાં આવી અને તેણે દાસીને શબને ખોળામાં રાખી વિલાપ કરતી બેઠેલી જોઈ. તત્કાળ તેણે પોતાના જારને બોલાવ્યો અને કહ્યું કે;-“અત્યારે અને આ ક્ષણે જ આ દાસીનો પણ જીવ લેવો જ જોઈએ; કારણ કે, એ જીવશે, તો આ વાતની હોહા કરીને આપણ બન્નેનો જીવ લઈ લેશે.” આ વાત સાંભળતાં જ તે પાપી જારે તે ભલી દાસીની છાતીમાં તત્કાળ ખંજર ભોંકીને તેના પ્રાણનો પણ ભોગ લીધો. તે બન્નેનાં મડદાંને ત્યાં જ પડતાં મૂકીને પાછાં તેઓ યથેચ્છ વર્તન કરવા લાગ્યાં. ભાવિનો પ્રતિકાર કદાપિ થઈ શકતો નથી, એ નિયમાનુસાર મદિરાક્ષીનો સ્વામી પણ એ જ વેળાએ અચાનક ગ્રામાંતરથી ઘેર આવી પહોંચ્યો. તેણે આવતાની સાથે જ પોતાની પત્નીને પૂછ્યું કે;–“આપણો બાબુ ક્યાં છે વારૂ ?” એના જવાબમાં દુષ્ટ દારાએ જણાવ્યું કે;-“દાસી તેને લઈને મારી માને ઘેર ગઈ છે; અને તેઓ ચાર છ દિવસ પછી આવવાનાં છે!” પિતાને પુત્રમાં અતિશય પ્રેમ હોવાથી અને પુત્રને જોવાની તેની ઇચ્છા બળવતી થએલી હોવાથી તેણે પોતાનાં સાસરિયાંના ગામ ભણી તેને લાવવા માટે કાસદને મોકલવાની તૈયારી કરવા માંડી. આવી સ્થિતિ જોઈને સ્ત્રી કહેવા લાગી કે;-“હવે બે ચાર દિવસમાં શું ખાટું મોળું થઈ જાય છે કે વળી કાસદ મોકલો છો ? હજી તો કાલે જ ગયા છે; જો ઊતાવળ હોય તો બે દિવસ પછી બોલાવી લેજો. અત્યારે જ પાછો બોલાવીશું, તો મારાં પીયરિયાંને ખોટું લાગશે.” સરદારને પણ પત્નીની આ વાર્ત્તા યોગ્ય લાગવાથી તે શાંત થઈને બેસી રહ્યા. ત્યાર પછી રાત્રિના સમયે તે સ્ત્રીએ વિચાર કર્યો કે;–“જો આજની રાતમાં જ આ પીટ્યા ધણીનું કાસળ નહિ નીકળે, તો આવતી કાલે મોટો ગજબ થઈ જશે.” આવી ધારણાથી તેણે નાના પ્રકારનાં ભેાજન તૈયાર કરીને તેમાં પ્રાણહારક વિષ ભેળવી દીધું અને સ્વામીને પોતાના હાથે સ્નાન આદિ કરાવીને જમવા માટે બેસાડ્યો. વિષ એવું તો પ્રબળ હતું કે, તે સરદાર અડધો જમ્યો એટલામાં તો તેના મુખમાં શુષ્કતા થતાં તેનો જીવ મુંઝાવા લાગ્યો અને તેથી પીવાનું પાણી તેણે માગ્યું, “પાણીનો છાંટો પણ ઘરમાં નથી” એમ કહી ગાગર લઈને તે જારિણી પાણી ભરવાને કૂવા પર ચાલી ગઈ, પાછળ તે બિચારા સરદારને અત્યંત પીડા થવાથી વખતે નીચે ગાય માટે પાણી ભરી રાખ્યું હશે તેમાંથી થોડુંક પાણી પીને શાંત થઈશ.” એવી આશાથી તે હાથમાં દીવો લઈને ધાસવાળા ઓરડામાં ગયો, તો ત્યાં તેણે દાસી અને પુત્ર બન્નેનાં મૃત શરીરોને પડેલાં જોયાં. પુત્રના શબને આલિંગન આપી “મારો બાબુ, મારો બાબુ !” એ પ્રમાણે આક્રોશ કરી તેણે પણ ત્યાં જ થોડા વખતમાં પોતાના પ્રાણ ત્યાગી દીધા ! મદિરાક્ષી આખી રાત પોતાના જાર સાથેના વિલાસમાં વીતાડીને પ્રાત:કાળે ઘરમાં આવી અને જોયું તો પોતાના કરેલા વિષપ્રયોગના પ્રતાપથી પુત્ર અને દાસી પ્રમાણે તે પણ યમધામના માર્ગનો પ્રવાસી થઈ ચૂક્યો હતો. તેના આનંદનો અવધિ થયો.

ત્યાર પછી ખંજરથી પોતાના પતિનું ગળું કાપીને તે પાપિની મેાટા સાદે રડી રડીને પોકાર કરવા લાગી કે;–“દોડો રે દોડો - મા પીટ્યા ચોરોએ અમારું તો સત્યાનાશ કાઢી નાખ્યું - બાપલિયારે - નખ્ખોદ વાળી નાખ્યું !” આ પોકાર સાંભળીને પાડોશીઓ અને આસપાસના બીજા લોકો ત્યાં એકઠા થઈ ગયા અને તેઓ અનેક પ્રકારે તેના મનનું સાંત્વન કરવા લાગ્યા. તે રંડાએ કોઈનું કાંઈ પણ ન સાંભળતાં પોતાના અત્યંત દુષ્ટ કર્મને છુપાવવા માટે પતિના શબ સાથે બળીને સહગમન કરવાની તૈયારી કરવા માંડી, અને પોતે પુરુષનો પોશાક પહેરી પેાતાના સ્વામીના અશ્વ પર બેસીને વાજતેગાજતે સ્મશાનમાં જઈ પહોંચી. એ વેળાએ એ તમાશાને જોવા માટે નગરમાંનાં નાનાં મોટાં બધાં માણસો આવીને એકઠાં થયાં હતાં. એ લોકોના સમુદાયમાં તેનો જાર પણ હતો. તેને પોતા પાસે બોલાવીને તે સ્ત્રીએ કહ્યું કે;-“આ ચાર મનુષ્યોનો નાશ કેવળ તારા કારણથી જ થયો છે, એટલા માટે હવે મને છેવટનો એકવાર ભેટી લે.” તે જાર તેની પાસે ગયો એટલે તત્કાળ તેણે તેને સળગેલી ચિતામાં ખેંચી લીધો અને એવી રીતે પાંચ મનુષ્યોનો એક સાથે અંત આવી ગયો. ડૉકટર સાહેબ ! આ કથાને સારાંશ એટલો જ છે કે, જેવી રીતે એ મદિરાક્ષીએ વિષય લંપટતા અને પ્રતિષ્ઠા માટે બીજા ચાર મનુષ્યોને લઈને પોતાના પ્રાણનો ત્યાગ કર્યો હતો, તે પ્રમાણે જ હું પણ અમુક મનુષ્યોને સાથે લઈને જ મરવાની છું. તમે મારા હાથમાં આવો, એટલા માટે મેં ઘણા કાળનો અને દ્રવ્યનો ભેાગ આપીને અનેક યત્ન કર્યા અને છેવટે તમે મારા હાથમાં આવ્યા તો ખરા, પણ આ દુષ્ટ આચરણથી બહુધા મારી પ્રતિષ્ઠાનો નાશ તો થઈ જ ચૂકયો. હવે આ વાર્તા મારા પતિના કાને જતાં મારા પ્રાણનો નાશ થશે, એમાં તો સંશય નથી જ, અર્થાત્ કદાચિત આ ગૃહને ત્યાગી તમારી સાથે ન્હાસી જવાથી કદાચિત પ્રાણ બચે, એવી આશાથી મેં તમને એ પ્રાર્થના કરી; પણ તમે તો કાંઈ માનતા જ નથી; એથી હવે ફજેતો કરાવીને પતિના હાથે મરવું તેના કરતાં અત્યારે તમને સાથે લઈને મરી જવું, એ મારા વિચાર પ્રમાણે વધારે સારૂં છે. કારણ કે, આવી રીતે મરવાથી પાછળ લોકો એટલું તો જરૂર બોલશે જ કે, “રાંડ મરી તો ગઈ, પણ ધગડાને સાથે લઈને મુઈ !” કારણ કે, પુરુષો માત્ર ગરજના સાથી અને પ્રેમરસ ચાખી નિર્દયતાથી પરનારીનો નાશ કરનારા જ હોય છે.

હે અનંગભદ્રા ! તેની આ વાણી સાંભળીને હું કહેવા લાગ્યો કે, “સુંદરી ! તેં જેવી રીતે મને આ મદિરાક્ષીની કથા કહી સંભળાવી, તેવી જ એક કથા હું પણ તને કહી સંભળાવું છું, તે સાંભળીને પછી તારે જે કાંઈ કરવું હોય તે ખુશીથી કરજે.” એના ઉત્તરમાં તે બોલી કે-“પ્રાતઃકાળ સુધીનો સમય આપણો છે, માટે ત્યાં સુધીમાં જે કાંઈ પણ કહેવું હોય તે આનંદથી કહો.” એ ઉત્તર સાંભળી હું તેને નીચેની કથા સંભળાવવા લાગ્યો:–