સરસ્વતીચંદ્ર ભાગ ૪/અર્જુનનો વાયુરથ અને દાવાનળ.

← સૂક્ષ્મ પ્રીતિની લોકયાત્રા. સરસ્વતીચંદ્ર ભાગ ૪
અર્જુનનો વાયુરથ અને દાવાનળ.
ગોવર્ધનરામ ત્રિપાઠી
કુરૂક્ષેત્રના ચિરંજીવો અને ભારતવર્ષનું ભવિષ્ય. →


પ્રકરણ ૩૪.
અર્જુન[૧]ના વાયુરથ અને દાવાનળ.
For, while the tired waves, slowly breaking,
Seem scarce one painful inch to gain,
Far back, through creek and inlet making,
Comes silent, flooding in, the main.
Quotation.

  1. ૧ પ્રકરણ ૧૧ થી આ પ્રકરણનો બોધ થશે.

एवमुक्तः स भगवान दाशार्हेणार्जुनेन च ।
तैजसं रूपमास्थाय दावं दग्धुं परचक्रमे ॥
सर्वतः परिवार्याथ सप्तार्चिर्ज्वलनस्तदा ।
ददाह खाण्डवं दावं युगान्तमिव दर्शयन ॥
तौ रथाभ्यां रथिश्रेष्ठै दावस्यॊभयतः सिथतौ ।
दिक्षु सर्वासुभूतानां चक्राते कदनं महत् ॥
મહાભારત-આદિપર્વ.

(ઉપરના શ્લોકમાં કૃષ્ણ અને અર્જુને ખાંડવવનમાં દાવાનળ લગાડી તેમાંનાં ચારે દિશાનાં ભૂતોનોને સંહાર કરી અગ્નિને તૃપ્ત કર્યાનું વર્ણન છે.)


नानाश्रान्ताय श्रीरस्तीति रोहित शुश्रुम ।
पापो नृषद्दरो जन इन्द्र इच्चरतः सखा ।।
पुष्पिण्यौ चरतो जङ्घे भूष्णुरात्मा फलग्रहिः ।
शेरेस्य सर्वे पाप्मानः श्रमेण प्रापथे हताः ।।
आस्ते भग आसीनस्योर्ध्वस्तिष्ठति तिष्ठतः।
शेते निपद्यमानस्य चराति चरतो भगः ।।
कलिः शयानो भ्वति संजिहानस्त द्वापरः ।
उत्तिष्ठंस्रोता भवति कृतं संपद्यते चरन् ।।

અર્થ:–“હે રોહિત ! એવી શ્રુતિ છે કે જુદી જુદી અનેક રીતોથી શ્રાન્ત થાય તેને માટે શ્રી છે – ફરે તે ચરે ! બેસી ર્‌હેનાર ને ન ફરનાર લોક પાપી છે! ઈન્દ્ર તો ફરનાર ચરનારનો જ સખા છે ! જ્યારે બે પુષ્પિણી જંધાઓ ચરે છે ત્યારે આત્મા ફલગ્રહી થાય છે; પ્રવાસમાં શ્રમ વડે કરીને એનાં સર્વ પાપ સુઈ જાય છે. બેસનારનું ભાગ્ય બેસી જાય છે; ઉઠનારનું ઉઠે છે; સુનારનું સુઈ જાય છે અને ચાલનારનું ભાગ્ય ચાલવા- વધવા – માંડે છે. સુઈ ર્‌હેનાર કલિયુગ થાય છે; બેસનાર દ્વાપર થાય છે; ઉઠનાર ત્રેતા થાય છે. અને ફરનાર – ચાલનાર – ઉદ્યોગી લોક કૃતયુગને - સત્યયુગને પામે છે – કૃતયુગરૂપ થાય છે.”

(ઐતરેય બ્રાહ્મણ: ઈન્દ્રે કરેલો ઉપદેશ)


સાધુજનોના પ્રસાદમાં ભળી જઈ સરસ્વતીચન્દ્ર સાધુઓ સાથે ચિરંજીવશૃંગના પ્રદેશે જોવા એક દિશામાં ફરવા ગયો, અને કુમુદસુન્દરીને લેઈ સાધ્વીઓ પણ બીજી દિશામાં - ફરવા ગઈ શૃગના કોટની બ્હાર એક ન્હાનું સરખું તળાવ હતું તેની ચારે પાસ આરા હતા. એ આરા ઉપર સરસ્વતીચન્દ્ર સર્વની સાથમાં ફરતો હતો તેવામાં શંકાપુરી ને શાન્તિદાસ પણ ત્યાં આવી ચ્હડયા. સરસ્વતીચન્દ્ર જરાક સઉથી છુટો પડી ઉભો ત્યાં શંકાપુરી એની પાસે આવી પહોચ્યો ને ધીમે રહી એના કાનમાં ક્‌હેતો હોય તેમ બોલ્યો:

“નવીનચન્દ્ર, સાધુનો વેશ લેઈ આવાં કામ કરે છે? પણ સરત રાખજે કે પસ્તાવું પડશે. See how you dissipate yourself under this mask !”

એને ઈંગ્રેજી બોલતો જોઈ અને આવાં વાક્ય ઉચ્ચારતો જોઈ સરસ્વતીચન્દ્ર કંઈક ચમક્યો, પણ તરત સ્વસ્થ થઈ બેાલ્યો; “ ભાઈ હું ધારું છું કે સાધુતાનું રહસ્ય તમે જાણશો તેમ તેમ મને એાળખશો, અને તેમ તેમ આ શબ્દો તમને દુઃખ કરશે; માટે સંસારની પ્રપંચજાળનાં સ્વપ્ન જોવાનો અભ્યાસ નીચલા દેશમાં પડ્યો છે તે ભુલી જઈ સુન્દરગિરિના અભ્યાસના સંસ્કાર પામવા જેટલું ધૈર્ય આણો ને તે પછી મ્હારો ન્યાય જે કરવો હોય તે કરજો.”

સુરદાસ અને માયાપુરી સાધુઓ આમની પાછળ ઉભા હતા તેમણે આ ચર્ચા સાંભળી ને કંઈક ક્રોધ કરી આગળ આવ્યા ને માયાપુરી શંકાપુરીને હાથ ઝાલી બેાલ્યો. “ઉત્તમાધિકારી સાધુજનની સાથે રાખવાનો વિનયધર્મ જે સાધુ પાળી શકતો નથી તે સુન્દરગિરિનો પણ અધિકારી નથી અને પુનઃ આવું વર્તન કરશો તો મણિરાજ મહારાજે આપેલા અધિકારથી ગુરુજી તમને નિમ્ન પ્રદેશમાં મોકલી દે એવી સૂચના મ્હારે કરવી પડશે.”

શંકાપુરી શાંતિદાસને લેઈ બેાલ્યા વિના ચાલ્યો ગયો અને કોટની બીજી પાસ સાધ્વીએ હતી ત્યાં જઈ તેમનાથી છેટે એક રસ્તાને છેડે બેસી કુમુદસુન્દરી સામે તાકી તાકીને જોવા લાગ્યો. કુમુદસુન્દરી જરાક ચમકી ને એને છળતી જોઈ બીજી સાધ્વીએાએ એની આશપાશ વીંટાઈ વળી ભક્તિ ને વામનીને શંકાપુરી પાસે મોકલી.

વામની૦- બિન્દુમતીને ત્રાસ દેનાર તમે ખરા કની ?

શંકા૦– તે પુછવાનો તમને શો અધિકાર?

ભક્તિ૦– તમે સંસારમાંથી નવા આવેલા જાણી સાધ્વીઓએ એક વાર તમને ક્ષમા આપી છે, જ્યાં સાધ્વીજનો વિશ્રાંતિ લેવા કે વિહાર કરવા બેઠી કે ફરતી હોય ત્યાં આમ બેસી ર્‌હેવું ને દૃષ્ટિને નિરંકુશ રાખવી તે સંસારીયોમાં નિર્દોષ ગણાતું હશે, પણ અમારે ત્યાં અસાધુતા ગણાય છે. માટે તમને પુછવાનો તો શું પણ અવશ્ય લાગે તો ઉચકીને આ શિલાઓ ઉપરથી નીચલા પ્રદેશમાં પડો એમ ગગડાવી પાડવાનો પણ અમને અધિકાર છે. તે અધિકાર વાપરવા જેટલી અમારી સંખ્યા અને શારીરક શક્તિ છે. માટે કૃપા કરી ચાલ્યા જાવ – નહી તો અમારો પૂર્ણ અધિકાર અમે વાપરીશું.

શંકા૦– ક્ષમા કરજો. અમે સહજ બેઠા હતા તે જઈયે છીયે. આ બનાવો ગુફામાં જઈ સઉ ભુલી ગયાં, અને સાયંકાળે સરસ્વતીચંદ્ર પોતાની ગુફામાં છેક ઉપલી અગાશીમાં બેસી ચારે પાસની સુન્દર ચિત્ર જેવી સૃષ્ટિને શાંત વૃત્તિથી એક પાસથી જોતો જોતો બેઠો અને પોતાની પાછળ આવી ઉભેલી કુમુદસુન્દરીના પગનો ઘસારો આ જોવાની લ્હેમાં સંભળાયો નહી. થોડી વારે કુમુદ જ ધીમે રહી બોલી.

"સરસ્વતીચંદ્ર !"

સરસ્વતીચંદ્રે પાછળ જોયું, કુમુદ થોડે છેટે બેઠી, ને બે જણ સૃષ્ટિને જોવા લાગ્યાં. થોડી વારમાં આકાશમાં ચન્દ્રબિમ્બ દેખાયું ને, અંધકાર વધ્યો તેમ તેમ, પ્રકાશમાં વધવા લાગ્યું. તો પણ દિવસ હજી અસ્ત થયો ન હતો અને ચારે પાસનાં પર્વતનાં શિખરો, આઘેનાં ઝાડો, અને તેથી આઘેની ભૂરેખા, એ સર્વે ઉપરથી રંગ ખસી જતા દેખાતા હતા અને સટે એકલા આકાર એને છાયાની સૃષ્ટિ દૃષ્ટિમર્યાદામાં ઉપસી આવતી હતી. પક્ષીઓ પૃથ્વીમાં સમાઈ ગયાં લાગ્યાં ને માત્ર છેક ઉંચે કોઈક પક્ષી દેખાતું ન દેખાતું હતું. આ સર્વે સૃષ્ટિ ઉપર ઉંચેથી આવતી ચન્દ્રની ચંદની પથરાતી હતી – બીડાતી હતી. થોડી વારમાં તે બીડાઈ જ ગઈ અને દિવસ ડબાઈને બે ૫ડની વચ્ચે થઈને બહાર નીકળી ગયો લાગ્યો. અા શાંતિને પોતે વધારતી હતી કે તોડતી હતી એની સમજણ કોઈને પડે નહી એવી રીતે આ સર્વ જોતી જોતી કુમુદ બોલી.

"વિવાહવિધિમાં વર કન્યાને ક્‌હે છે કે હું આકાશ ને તું પૃથ્વી - તેશાથી ? આ મનોરથનું રહસ્ય શું હશે ને વિવાહથી એ મનોરથ કેવી રીતે પુરાતો હશે ? ”

સર૦– આકાશ પૃથ્વીનું આચ્છાદન કરે છે ને જળ વર્ષે છે, ને પૃથ્વી તે ધારે છે.

કુમુદ જરાક અચકી, ને અટકી, કંઈક ઓઠ કરડી, અંતે બોલી એટલો સ્થૂલ અર્થ જ હશે ? ” સરસ્વતીચંદ્ર આ પ્રશ્નથી સજ્જ થયો ને વિચાર કરી બોલવા લાગ્યોઃ “નાસ્તો ! આપણાં શાસ્ત્ર પ્રમાણે પૃથ્વીના અંગભૂત યા સમુદ્રનું પાણી આકાશમાં ચ્હડે છે ને આકાશ મેઘરૂપ ગર્ભનું ધારણ કરે છે, તે મેઘ પૃથ્વી ઉપર વર્ષે છે ને પૃથ્વી એ વૃષ્ટિના સિંચેલા જળને ગર્ભરૂપે ધરે છે, ને તેમાંથી અનેક સમૃદ્ધિઓને રસિક રૂપરંગ આપી પરમ પુરુષના મહાયજ્ઞને સમૃદ્ધ કરે છે, એ જ પ્રમાણે સૂક્ષ્મ અર્થ જોતાં પૃથ્વી જેવી સ્ત્રીના હૃદયના રસ આકાશ જેવા આચ્છાદક પુરુષના હૃદયમાં ચ્હડે છે, ત્યાં ગર્ભરૂપે ર્‌હે છે અને ત્યાંથી પાછા સ્ત્રીના હૃદયમાં સુવૃષ્ટ થાય છે. સ્ત્રી પણ એ રસથી સગર્ભા થઈ નવી સમૃદ્ધિઓને જન્મ આપે છે તે દમ્પતીના યજ્ઞમાં ઉપયોગી થાય છે. કુમુદસુંદરી ! સૂક્ષ્મ રસની પ્રથમ ઉત્પત્તિ જેવી સ્ત્રીના હૃદયમાં છે તેમ એ રસનો લય પણ એજ હૃદયમાં છે ને ફળદાતા પણ એજ હૃદય છે. પુરુષ તો માત્ર મધ્યકાળે એ રસને લેનાર થઈને તેનો જ પાછો આપનાર થાય છે.”

કુમુદ૦– એટલો બધો વિચાર આ ઉપમામાં હશે?

સર૦– એની સાથે જ બીજી ઉપમા છે કે સ્ત્રી તે ઋચ્ છે ને પુરુષ તે સામ છે. ઋફસંહિતાના સાગરમાંથી સામની ઉત્પત્તિ છે ને સ્થિતિ છે તેવીજ સમુદ્રવાળી પૃથ્વીમાંથી આકાશના મેઘની, ને તેવીજ સ્ત્રીના હૃદયમાંથી પુરુષના હૃદયની, ઉત્પત્તિ સ્થિતિ છે.

કુમુદ૦- જો એટલું હોય તે બીજું આ પણ તેમાં ખરું કે પૃથ્વીના સાગરનું ખારું પાણી આકાશના જ પ્રતાપથી મીઠું થાય છે ને ઋક્‌સંહિતાના ઉચ્ચાર સામરૂપ પામીને ગાનરૂપ થાય છે. સ્ત્રીહૃદય પણ પુરુષના હૃદયને પામીને અને પુરુષના હૃદયની શક્તિથીજ જીભને, ને કાનને માટે મધુર થઈ જતું હોય તો હોય.

સરસ્વતીચંદ્રે સ્મિત કર્યું: “સ્વપ્નનું મંગળસૂત્ર અત્યારે પણ તમારા હૃદયને શક્તિ આપતું દેખાય છે. તમે ક્‌હો છો તે પણ સત્ય છે. માટે જ લોકયાત્રામાં પ્રીતિરથના બે અશ્વ પેઠે એક ધુરીએ જોડાયલાં દમ્પતી હૃદય રથમાં બેઠેલાં દમ્પતીજીવનનું વહન કરે છે ને તેમના યજ્ઞ તેમના પરસ્પરબળથી વેગ પામે છે.”

કુમુદ૦- લોકયાત્રાને માટે આવી ધુરીએ જોડાવું તે વિવાહ ! એમ જ કે નહી ?

સર૦– એમ જ.

કુમુદ૦– આપણા દેશમાં તેની અવસ્થા કેવી હશે ? સર૦– આ પ્રશ્ન મ્હારું દુ:ખ તાજું કરે છે ! કુમુદસુન્દરી, આવી ધુરીઓ આપણા દેશમાં તો પેલા રાફડાએામાંથી નીકળેલી તેજસ્વી છાયાઓ જેવી જ છે – ને બાકી તો રાફડાએમાંનાં માટી ને જન્તુ તમે જોયાં.

કુમુદ૦– આપણે તે રાફડામાંથી મુકત થયાં છીયે.

સર૦– આપણાં સૂક્ષ્મ શરીર તમારા જ રસને ધારે છે.

કુમુદ૦– પણ એ રાફડાએાને સ્થાને તેની પાસેના પ્રકાશમય કુંડ કે તળેના મણિમય માર્ગ શું કોઈ દિવસ પણ નહી ઉત્પન્ન થાય ?

સર૦– ઈશ્વરને શું અશક્ય છે? પણ એ રાફડાઓ પ્રકાશમય થતાં ઘણી વાર ને ઢીલ થશે ને તેટલામાં પરદેશી પવનથી એ રાફડા સુદ્ધાંત તેમના આધારભૂત ખડકોની શી સ્થિતિ થશે તે કલ્પાતું નથી. પરદેશી અગ્નિરથમાંનાં મનુષ્યોની ત્વરા આગળ આપણાં ક્ષુદ્ર જંતુઓ પ્હોચી વળવાનાં નથી ને જ્યારે ચારે પાસથી પવન વાશે ત્યારે તે સર્વે દોલાયમાન થશે. કુમુદસુન્દરી ! પાશ્ચાત્ય પવનના ઝપાટાઓ વચ્ચે આપણા રાફડાઓ ઉભા છે તેના કણેકણ અાકાશમાં ઉડશે. એ રાફડાએાની રેતીનાં ઉડતાં વાદળ આ પૃથ્વી પરના અત્યારના અન્ધકાર પેઠે જામી જશે ને આટલો ચન્દ્ર દેખાય છે તે પણ પાછલી રાત્રે અસ્ત થશે.

કુમુદ૦– આ રાત્રિનો અન્ધકાર ચન્દ્રની ચન્દ્રિકાથી ચંપાય છે ને ચન્દ્રના અસ્ત પછી થોડી વારે જ સૂર્ય ઉદય પામશે.

સર૦– તમારું મંગળસૂત્ર આજના જાગૃતમાં ઉજ્જૃમ્ભણ પામે છે ને મ્હારા નેત્ર આગળ આપણી અને આકાશની વચ્ચે કંઈ નવાં જ સત્ત્વ તરતાં ઉડતાં દેખાય છે.

કુમુદ૦- આ ગુફાઓમાંનાં પુતળાં જીવતાં થઈ ઉંચે ઉડતાં હોય એમ લાગે છે. મ્હારી આંખો નિદ્રાથી ઘેરાય છે.

કુમુદ અગાશી વચ્ચે નિદ્રાવશ થઈ ગઈ – સુઈ ગઈ.

સરસ્વતીચંદ્ર પણ નિદ્રામાં પડ્યો.

ચંદ્રિકા ચળકતા પાણીમાં રમતી હોય તેમ આમનાં શરીર ઉપર રમવા લાગી. આકાશમાં ચંદ્ર ચળકતા રુના ઢગલા જેવા એક લાંબા વાદળાથી છવાતો હતો. થોડી વારે કોણ જાણે ક્યાંથી થોડું થોડું ચારે પાસ ઝાકળ પડવા લાગ્યું ને કોણ જાણે ક્યાંથી આમનાં મસ્તિકમાં સ્વપ્ન સરવા લાગ્યાં. થોડી વારમાં કુમુદ ઝબકી ઉઠી ને સરસ્વતીચંદ્રને ઉઠાડી ક્‌હેવા લાગી. “અંહી ઝાકળ પડે છે, આપણે નિદ્રાળુ છીયે, નીચે જઈ સુઈએ ચાલો.”

નિદ્રામાં ડોલતો ડોલતો સરસ્વતીચંદ્ર આગળ ચાલ્યો. એને સંભાળતી સંભાળતી કુમુદ પાછળ ચાલી. નીચે જઈ એક ઓટલા ઉપર સરસ્વતીચંદ્ર સુઈ ગયો ને બીજી પાસને ઓટલે કુમુદ સુઈ ગઈ. પળ વારમાં નિદ્રા આવી તો તેને પગલે સ્વપ્ન પણ આવવા લાગ્યું – બેને એક જ સ્વપ્ન થયું.

સ્વપ્નનો પ્રથમ ચમકારો થયો તેની સાથે સિદ્ધાંગનાઓની પ્રસાદીઓ જાતે પ્રાપ્ત થઈ ગઈ. તેજોમય વસ્ત્રના છેડાએાથી બે જણ સંધાયાં, પાંખો પ્રાપ્ત થઈ અને તેની સાથે જ સૌમનસ્યગુફાની અગાશીમાંથી બે જણ ચન્દ્રલોક ભણી ઉડવા લાગ્યાં. થોડી વારમાં તેમની અને પૃથ્વીની વચ્ચે ઘણું અંતર પડી ગયું. ઉડ્યાં તેવામાં તો ક્‌વચિત્ ધુવડ અને કવચિત્ ચકોર વિના બીજું કોઈ પક્ષિ તેમને મળતું ન હતું. ધીમે ધીમે તે સર્વ પણ બંધ થયાં અને માત્ર ચન્દ્રના પ્રકાશથી ચળકતાં વાદળાં ચાર પાસ છુટાં છવાયાં ઉડતાં મળ્યાં. ધીમે ધીમે તે પણ બંધ થઈ ગયાં. નીચેની પૃથ્વી છાયા અને ચન્દ્રિકાના સંયોગથી દ્વિરંગી લાગવા લાગી અને ઉપરનું આકાશ ઉંચું જતું દેખાયું ને તારામંડળ પાસે આવતું લાગ્યું.

આવે સ્થાને બે જણ દશે દિશાઓની સુન્દરતા જોવા ઉડતાં ઉડતાં અટકયાં ને અદ્ધર લટકયાં - ત્યાં તેમની સામે ક્ષત્રિયવેશધારી છાયા આવતી દેખાઈ. મલ્લરાજના ભાયાત સામંતરાજની તે મૂર્તિ હતી. સરસ્વતીચંદ્રે તેને ઓળખી ને એ બોલે તે પ્હેલાં આ છાયા જ બોલી.

“સરસ્વતીચંદ્ર, મ્હારી રાજભક્તિથી આ દેશ સુધી હું આવ્યો છું પણ સિદ્ધનગરમાં પ્રવેશ પામવાનો અધિકાર સાત્ત્વિક દૃષ્ટાઓને જ છે ને હું તેવો દૃષ્ટા થાઉં ત્યાં સુધી આ બાહ્ય દેશમાં ફરું છું. મને જે અધિકાર મૃત્યુ પછી પણ મળ્યો નથી તે તમને આજથી છે તો મ્હારા ઉપર એક કૃપા કરજો. આ મ્હારા પોપટને તમારી જોડે આવવા દેશો તો આવશે. મ્હારી વાસનાઓ ને જિજ્ઞાસાઓ તેને જિવ્હાગ્રે છે ને તમે જ્યાં જશો ત્યાં તે તેના ઉચ્ચાર કરે ત્યારે ત્યારે સાંભળજો ને તેને કોઈ ઉત્તર ન આપે તો તમે આપજો. એની જિવ્હા એ ઉત્તર મને કહી બતાવશે એટલે મ્હારી વાસના શાંત થશે ને જિજ્ઞાસા તૃપ્ત થશે તેની સાથે મ્હારી દૃષ્ટિ સાત્ત્વિક થશે એવો સિદ્ધાદેશ છે.”

સર૦– એટલું હું આનન્દથી કરીશ. પણ અમે કેણી પાસ જઈએ છીયે તે તમે કહી શકશો? સામન્ત૦- આ સ્થાને પૃથ્વીના વાયુ બંધ થાય છે ને જરીક ચ્હડશો કે સૂર્યમંડળનાં એકલાં આકર્ષણના મહાસાગરમાં તમે જશો. આપણા મૃત્યુલોકનાં ભાગ્યનાં આકર્ષણ કરનાર ચિરંજીવો જ સિદ્ધનગરમાં દર્શન આપે છે તે તમને થોડીવારમાં મળશે. આખી પૃથ્વીના મનુષ્યલોકનાં ભાગ્યની દોરીઓ તમે અંહી જોશો ને આપણા દેશની દોરીયો પણ તમે જોશો.

આટલું બોલતામાં એ છાયા અદૃશ્ય થઈ ને મ્હોટા વાદળ જેવું વાયુ- વિમાન–બલૂન–દ્રષ્ટિયે પડયું. એ વિમાનમાંથી અનેક સોનારુપાની ને અન્ય ધાતુઓની દોરીયો નીચે લટકતી હતી ને પૃથ્વીના ગોળા ભણી ખેંચાતી હતી તેમ પૃથ્વીને ખેંચતી હતી. આ વિમાનમાંના આસન ઉપર પ્રકાશમય ધનુર્ધર મૂર્તિઓ દેખાતી હતી, તેમનું ધ્યાન તેમની ક્રિયાઓમાં હતું અને તેમની ક્રિયામાત્ર આ દોરીયો દ્વારા થતી હતી.

સર૦– કુમુદ ! મલ્લરાજ મહારાજે જે મહાત્મા અર્જુનનો સાક્ષાત્કાર પામી પોતાની રાજ્યવેધશાળા બંધાવી છે તે અર્જુનદેવનું આપણે આ વિમાનમાં દર્શન કરીયે છીયે. તું તેમનું કલ્યાણકારક મુખ તો જો!

કુમુદ૦– સંસાર એમ જાણે છે કે ગાણ્ડીવધનુનો ધરનાર અસ્ત થયેા છે!

સર૦– આપણા દેશમાંથી તે અસ્ત થયો છે પણ સૂર્ય અને ચંદ્ર જેવો જ તે ચિરંજીવ પૃથ્વીની પ્રદક્ષિણા જ કરે છે.

કુમુદ૦- આજ એમની ચંદ્રિકા કીયા ગોલાર્ધમાં સ્ફુરે છે?

સર૦– નીચેની પૃથ્વી જોઈશ તો તે દેખાશે. આ વિમાનમાંથી લટકતી દોરીયો જે જે પ્રદેશમાં ખેંચાય છે ત્યાં અર્જુનના મુખચંદ્રની ચંદ્રિકા સ્ફુરે છે.

કુમુદ૦- પૃથ્વી પર એની દોરીયો ખેંચનાર તો બહુ દેખાય છે! એ ખેંચનાર તે તે મનુષ્યો છે કે ઇતર પ્રાણીયો છે?

સર૦- તેમની મનુષ્યક્રિયાઓ ને શુદ્ધ રૂપરંગ તો પૃથ્વી ઉપર ઉતરીશું ત્યારે જણાશે, પણ અંહીથી તો વિચિત્ર પ્રાણીયો જ દેખાય છે. આપણે જે પૃથ્વી દેખીયે છીયે તે પૃથ્વી નથી પણ પિતામહપુરમાં પડેલી પૃથ્વીની ગોળ છાયાઓ છે ને આ વિમાનની દોરીયો તે પ્રતિબિમ્બરૂપ છાયાઓ સુધી જ દેખાય છે ને તે પછી તે ગુરુત્વાકર્ષણ પેઠે જાતે અદૃશ્ય સ્વરૂપે અને ફલપરિપાકમાં જ દૃશ્યરૂપે જણાય છે. કુમુદ૦– આ દોરીયો કોણ ખેંચે છે?

સર૦- એક પાસ પૃથ્વીનો પૂર્વ ભાગ છે ને બીજી પાસ પશ્ચિમ ભાગ છે તે બેનાં પ્રાણીયો જુદાં જુદાં છે તેમાંથી કોઈ ખેંચે છે ને કોઈ નથી ખેંચતાં.

કુમુદ૦– આ પેલી પાસ કીયો પ્રદેશ છે?

સર૦– એ ભૂમધ્ય સમુદ્ર પાસેના ગિરિરાજ છે તે અંહીથી પાળે જેવા લાગે છે. તેના પશ્ચિમ તટ ઉપર અર્જુનનો વાયુરથ આજ ચાલે છે. એના પૂર્વ તટ ભણી એ રથની પુઠ છે.

કુમુદ૦- પૂર્વ તટે કોણ વસે છે ને પશ્ચિમમાં કોણ વસે છે ?

સર૦– આ રથ પ્રથમ એ પાળોના પૂર્વ ભાગમાં ને દક્ષિણ ભાગમાં ચાલતો હતો. હાલ તમે જુવો છો કે એ પશ્ચિમ તટથી પણ પશ્ચિમમાં જતાં છેક પશ્ચિમે દ્વીપ છે ત્યાં કપિલોક વસે છે ને આ રથનાં સુવર્ણસૂત્ર એ કપિલોક અતિબળથી ખેંચે છે. એની નીચે જે પક્ષિરાજ બીજું સૂત્ર ખેંચે છે તે દિવસે ગરુડ થાય છે ને રાત્રે ચકોર થાય છે - આપણને તે આજ ઉભય રૂપે દેખાય છે તે આ ચિન્તામણિની શક્તિથી. ત્રીજી પાસથી ઉપરનું સૂત્ર પેલો ગજરાજ ખેંચી રહેલ છે ને તેની દક્ષિણે ટૌકા કરતો રસિક મયૂર એક સૂત્ર ખેંચે છે.

આ વાક્ય નીકળી રહ્યું તેની સાથે સામન્તનો પોપટ ઉડવા ને ગાવા લાગ્યો.

“ હા ! હા !

"केकामिर्नीलकण्ठस्तिरयति वचनं ताण्डवादुच्छिखण्डः ।
"कान्तामन्तः प्रमोदादभिसरति मदभ्रान्तरश्चकोरः ॥
"गोलाङगूलः कपोलं छुरंयति रजसा कौसुमेन प्रिवायाः ।
"क्ं याचे यत्र तत्राप्यनवसरग्रस्त एवार्थिभावः॥[૧]

કુમુદ૦- આ વૃદ્ધ શુક શું ક્‌હેછે ને કોની વાતો કરે છે અને એને શું જોઈએ છીયે?

સર૦- આપણા દેશની દેશવત્સલ રાજસી વાસનાઓનું સૂક્ષ્મ જીવન તે આ સિદ્ધનગરનો પુરાણ પોપટ છે. આપણા દેશનો ઉદ્ધાર કેમ થાય તે વિષયનું એ રાત્રિદિવસ રટણ કર્યાં કરે છે. એ વાસનાની તૃપ્તિને માટે એ અર્થી છે ને એ તૃપ્તિને માટે જ યોગ્ય સ્થાને યાચના કરે છે."


  1. ૧. માલતીમાધવ.

આ પોપટ વળી બોલવા લાગ્યો.

“હું કાંઈ જેની તેની પાસે યાચના કરતો નથી. પણ મ્હારી યાચના સાંભળી તેને સફળ કરવાના અધિકારી પાસે જ જવાનો વિચાર કરું છું. પરંતુ ત્યાં પણ તેમની પોતાની પ્રવૃત્તિને લીધે મ્હારું કોઈ સાંભળે એમ નથી તેથી આ પાંખો ઉપર એક વૃક્ષથી બીજે વૃક્ષે આથડું છું. આ પુરાણ પ્રાચીન મયૂર મૂળ કાર્તિકસ્વામીનું વાહન હતો ને રોમના રાજ્યમાં એના ટૌકા થતા હતા ત્યારે અર્જુન ત્યાં મેઘ પેઠે વર્ષતો હતો. કાર્તિકસ્વામી ત્યાંથી ગયા તો પણ મયૂરને પાછળ મુકીને ગયા ને આજ સુધી એ મયૂર ચિરંજીવ રહ્યો છે તે ઘડીમાં પીછાંનો કલાપ કરી નૃત્ય કરે છે ને ઘડીમાં કલાપને સંકેલી દે છે ને ઘડીમાં પાડી નાંખે છે. હાલમાં તેનો કલાપ ઉઘડે છે પણ એ મયૂરનામાં પોતાની મયૂરીનું પોતાના જ વૃક્ષ ઉપર રંજન કરવા ઉપરાંત વધારે શક્તિ, વૃત્તિ, કે ગતિ કાંઈજ નથી તેની યાચના કરીને શું કરું ? એ દેશના સંસારથી મ્હારા દેશના સંસારે શી સૂચના લેવી ? એ મયૂરની પોતાની ગતિ બહુ ઉંચી હવે નથી. તે જાતે રમણીય, સુન્દર, ને રસિક છે પણ મ્હારા દેશમાં એના જેવા મયૂર થઈ ગયા છે ને નાશ પણ પામ્યા છે.”

પોપટ આટલું બેાલ્યો ત્યાં મયૂરે ઝાલેલા સૂત્રમાંથી સ્વર નીકળવા લાગ્યા :

“મૂર્ખ પોપટ ! દેખે તેને માટે સ્થાને સ્થાને ઉપદેશ છે ને વધારે દેખનાર આત્મપરીક્ષકને તો પોતાના જીવનમાં જ ઉપદેશ છે. ત્હારો દેશ મ્હારા દેશ જેવો એક કાળે હશે; પણ તું જોતો નથી કે ત્હારા દેશમાં જે અનેક ખડકો બંધાયા છે ને તેના પર રાફડા બંધાયા છે તે તમારાં જન્તુઓને જડ કરી નાંખે છે, તેમની ગતિને રોકે છે, તેમની દૃષ્ટિને અન્ધ કરે છે, તેમના કાનને બધિર કરે છે, ને તેમનાં રસેન્દ્રિયને માટીનાં રસિક કરી મુકે છે ? કીયા અધિકારથી આવો દેશ અર્જુનનો પ્રસાદ ઇચ્છે છે? મ્હારા દેશની સ્થિતિમાંથી હીરા જેવા વ્યાધિ મ્હેં વેળાસર દૂર કરેલા છે. ઘડીમાં પડી, ઘડીમાં ઉઠી, અસ્તોદયનાં અનેક ચક્રોમાં ફરી હું સજીવ રહ્યો છું ને આજ અર્જુનના વિમાન સાથે ઉડું છું!”

પોપટ બીજી દોરી જોવા લાગ્યો ને ક્‌હેવા લાગ્યો “ આ દોરી ઝાલી રાખનાર પારીસ નગરના અને દેશના ચકોર ! તું દિવસે ગરુડની ગતિ અને શક્તિ ધરાવે છે ને રાત્રે ચકોર થઈ ચન્દ્રબિમ્બ ભણી ઉડે છે ! ત્હારામાં બળ અને રસ ઉભય છે ! મ્હારા દેશમાં પણ એક કાળે તેવું જ હતું, મ્હારા દેશનો એવો શો દોષ છે કે આ દોરીયો ઝાલવા જેમ એ દેશ પ્રયત્ન કરે છે તેમ તેમ હાથમાં આવી ન આવી દોરીઓ સરી પડે છે, હેલારે ચ્હડે છે, ને અમારી પાસે તેનો તન્તુ પણ ર્‌હેતો નથી?"

ચકોરપક્ષી અર્જુનના રથની દોરી ઝાલી ઉડતું હતું તે ઉભું રહ્યું.

“પૂર્વના પવનના અનુભવી પોપટ ! પશ્ચિમની મ્હારી સ્વતન્ત્ર ઉદ્ગાર પ્રજાના ઉચ્ચગ્રાહ રાત્રે ચકોર જેવા થાય છે ને દિવસે ગરુડ જેવા થાય છે. મ્હારી પ્રજાના ભવિષ્યમાં પૃથ્વીની સર્વ પ્રજાએાનું ભવિષ્ય બંધાયલું છે – એમ હું ગણું છું તે સત્ય હો કે ન હો - પણ અમારી આવી શ્રદ્ધા જ ઉચ્ચગ્રાહિણી છે ને અર્જુનના રથનાં રત્નજડિત સૂત્રો ઝાલવાની વૃત્તિ અને શક્તિ આપનાર તે એ જ શ્રદ્ધા છે! પૃથ્વીની સર્વ પ્રજાઓ મળી જે સમષ્ટિ થાય છે તે શરીરના ઉત્તમાંગનું મસ્તિક – મગજ – તે અમે છીયે ! અમારા સંસ્કારી અભિલાષ અમે સર્વ મનુષ્યજાતિઓમાં વીજળીના તારથી મોકલીશું ને જેની શક્તિ હશે તે તેને ઝીલશે ને સચેતન થશે. અમે ત્હારા જડ દેશ ઉપર રાજ્ય કરવા ઈચ્છતા નથી, પણ ચન્દ્ર જેવા અભિલાષ ભણી ઉડીયે છીયે ને ત્હારા દેશને એ અભિલાષ જોઇતો હોય તો તેનાં સાધન સંપાડવાં એ ત્હારા હાથની વાત છે. પોપટ ! મિથ્યાધર્મની અને અવિચારની જાળમાંથી તું જાતે મુક્ત થા ને ત્હારા દેશને મુકત કર.”

પોપટ૦ - અરે ભુંડા ચકોર ! મ્હેં જાણ્યું કે આ મયૂર મને પોતાના જેવો જાતે કલાપ કરવાનું શીખવશે ને તું ત્હારા સમર્થ ગરુડ-રૂપ જેવું પ્રજાસત્તાક રૂપ ધારવાની કળા શીખવીશ. તમે બે જણે મ્હારી આશાને નષ્ટ કરી ને ઉલટા હારા દોષ દર્શાવો છો.

ચકોર૦–મૂર્ખ પોપટ ! ત્હારે ગરુડ જેવું થવું હોય તો ત્હારા દોષ પ્હેલા જાણી લે – આત્મપરીક્ષક થા. આત્મપરીક્ષક શક્તિ અને આત્મદોષદર્શક દૃષ્ટિ મ્હારાં પ્રિય સાક્ષર બાળકોને હું ધાવણમાં [૧]આપું છું તેમ તું


  1. ૧. In M. Zola's case it has always been his purpose to expose the evils from which society suffers, in the hope of directing attention to them and thereby hastening a remedy; and thus, in the course of his works, he couldnot do otherwise than drag the whole frightful mass of human villa'ny and degradation into the full light of day.
    D. A Vizetali's Preja to his translation of Zo'a's Peris.”

આપ. મ્હારા પ્રજાસત્તાક સ્વરૂપથી તું મોહ પામીશ નહી. એ સ્વરૂપ તો આ ચંદ્રિકાના પાનને માટે હું ધરું છું અને જ્યારે પરાક્રમ કરવું હોય ત્યારે તો નેપોલીયનો જેવાઓ જ મને ગરુડનું સ્વરૂપ આપે છે. ત્હારે ગરુડ જેવાં થવું હોય તો જે કપિલોક સાથે તું સંધાયો છે તેને ખભે બેસી જા ને તે લઈ જાય ત્યાં જા. રાજા નામના અનેક સામન્તોના ચક્રના ચક્રવર્ત્તી ગરુડલોકનું સ્વરૂપ ત્હારા કપિલેાક ક્યાં ધારતા નથી જે ગરુડનો લોભ તું અન્યત્ર કરે છે ? ચન્દ્રિકાનું પાન કરવું પ્રિય હોય તો મ્હારા જેવું સ્વરૂ૫ કર્યા વિના મ્હારા કરતાં વિશેષ પાન ચંદ્રકાંતની શિલાઓ કરે છે – તેમાં ત્હારે તો માત્ર ચંદ્રિકાનું સ્થાન જાણવાની આવશ્યકતા છે, મ્હારું સ્વરૂપ પામવાની કંઈ જરુર નથી.

પોપટ૦– અમે અસ્ત્રહીન લોક એ ચન્દ્રિકાને શું કરવાના હતા ?

ચકોર૦– તું આશ્વાસન પામ. જે લોક અને પ્રાણીયો આજ અસ્ત્ર ધરે છે તેમનાં અસ્ત્ર જાતે એમના હાથમાંથી ખરી પડશે. એક કાળ એવો આવશે કે જયારે સર્વ પૃથ્વીમાં એક શાંત ચંદ્રિકા પ્રકાશશે અને મનુષ્યને હાથે મનુષ્યનું શરીર ક્ષત નહી થાય, ક્ષત્રતા ક્ષત કરવામાં નથી પણ ક્ષતથી ત્રાણ કરવામાં છે - क्षतात्किल त्रायत इत्युदग्रः क्षत्रस्य शब्दो भुवनाधिरूढः – એ ત્હારા દેશનું વાક્ય સર્વ પૃથ્વીમાં સત્ય થશે અને કેવળ સત્ય, ન્યાય, અને શાંતિનો યુગ થોડા કાળમાં પ્રવર્તશે – એ મ્હારું ચંદ્રબિમ્બ – અને એ જ મ્હારી ચન્દ્રિકા ! જો સાંભળ – આ મ્હારું ઝાલેલું અર્જુનરથનું સૂત્ર બોલવા માંડે છે તે સાંભળઃ

એ સૂત્ર કમ્પવા લાગ્યું ને તેમાંથી શાંત શ્વેત પ્રકાશના અંકુર ફુટવા લાગ્યા ને તેમાંથી શબ્દોચ્ચાર નીકળવા લાગ્યા.

“In the twentieth century, there will be an extra- ordinary nation. This nation will be great, but its greatness will not prevent it from being free . . . . In the twentieth century, the country of this nation will be called Europe, and in after Centuries, as it still and ever develops, it will be called Mankind. . . . Throughout historical times, the world has ever had a city which has been The City. The brain is a necessity. Nothing can be accomplished without the organ whence come both initiative and will. Acephalous civilization is beyond conception. It is from three cities, Jerusalem, Athens, Rome, that the modern world has been evolved. They did their work. Of Jerusalem there now remains but a gibbet, Calvary ; of Athens, a ruin, the Parthenon ; of Rome, a phantom, its empire. Are these cities dead, then ? No. A broken eggshell does not necessarily imply that the egg has been destroyed; it rather signifies that the bird has come forth from it, and lives. From out of those shells lying yonder – Rome, Athens, and Jerusalem – the human ideal has sprung and soared. From Rome has come Power; from Athens, Art ; from Jerusalem, Freedom ; the great, the beautiful, the true. . . . . And they live anew in Paris, which in one way has resuscitated Rome, in another Athens, and in another Jerusalem ; for from the cry of Golgotha came the principle of the Rights of Man. And Paris also had had its crucified; one that has been crucified for eighteen hundred years - its People. But the function of Paris has been to spread ideas. Its never ending duty is to scatter truths over the world, a duty it incessantly discharges. Paris is a sower, sowing the darkness with sparks of light. It is Paris which, without a pause, stirs up the fire of Progress, It casts superstitions and fanaticism, and hatred and folly and prejudice on to this fire, and from the darkness comes a blaze of light. . . Moreover, Paris is like the centre of our nervous system ;each of its quivers is felt throughout the world. And, further, it is like a ship sailing on through storms and whirlpools to unknown Atlantides, and ever towing the fleet of mankind in its wake. There can be no greater ecstasy than that which comes from the perception of the universal advance, when one hears the echoes of the receding of tempests, the creaking of the rigging and the painting of the toiling crew, when one feels the straining of the timbers, and realises the speed with which, in spite of all, one happily travels onward. Search the whole world through; it is ever upon the deck of Paris that one may best hear the flapping and quivering of the full- spread, invisible Bails of human Progress.”*[૧]

આ સ્વર બંધ પડ્યો તેની સાથે અર્જુનરથની દોરીઓમાં નવા તેજના ચમકારા થવા લાગ્યા ને તેને વળગી રહી તેને ખેંચનાર ચકોરની પાંખો વધતી વધતી ગરૂડના જેવી થવા લાગી. અંતે ચકોર બેાલ્યો.

“પોપટ ! તું કપિલોકની ભીતિ રાખીશ નહી. જે કલ્યાણયુગ અમારા સત્વથી સંસારમાં બેસવાનો છે તેના આગમન પ્હેલાં આ વહી જતા યુગમાં જાદવાસ્થળી થશે; દીવો હોલાતાં હોલાતાં ઝબુકે; મનુષ્ય મરતે મરતે સન્નિપાત ને ત્રિદોષથી લવવા માંડે; તેમ આ યુદ્ધકાળ ઉન્માદ પામશે ને જગતને કંપાવશે. “ We shall then witness War's last agony [૨], and war will kill war† and the spirit of war. જ્યારે સંસાર આમ પ્રસવવેદના ભોગવશે ત્યારે નવો યુગ બેસવાનો અને જે સૂત્રો અમે તાણીયે છીયે તે આખી પૃથ્વીનાં મનુષ્યોને ખેંચશે, તે કાળે,–પોપટ, ત્હારા દેશનું પણ સર્વના ભેગું કલ્યાણ થશે, એ કલ્યાણ પ્રાપ્ત કરવાને માટે અસ્ત્રની કે શસ્ત્રની આવશ્યકતા નથી, અને બીજાં જે સત્વથી એ કલ્યાણ પ્રાપ્ત કરાય છે તે ત્હારા દેશમાં છે કે નથી તે ત્હારા લોકના ઇતિહાસને પુછ, ત્હારા લોકનાં મનોરાજ્યને પુછ, અને ત્હારી નૌકાના સુકાન આગળ બેઠેલા કપિલોકને પુછ. જેમાં સર્વ મનુષ્યલોકને આશા છે તેમાં પણ તું આશા બાંધી ન શકે તો આ સિદ્ધિનગરમાં છેટે ત્હારા દેશના ચિરંજીવ છે તેને જઈને પુછ. પણ આત્મપરીક્ષાનો ત્યાગ કરી પારકા દોષ જ વિચારવાની મૂર્ખતા ન કરીશ !”

ચકોર પોતાના રજ્જુ ઉપર હીંચકા ખાવા લાગ્યો, ને પોપટે ઉત્તર દીધો નહી. સરસ્વતીચન્દ્ર ને કુમુદ સુવર્ણસૂત્ર ભણી ઉડ્યાં ને એના


  1. * Victor Hugo
  2. † Zola.
આમળા ઝાલ્યા તેની સાથે તેનાં ઉપસૂત્ર જુદાં પડી ગયાં. એ ઉપસૂત્રો

અંહી વલોવવાના વલોણાની દોરીયો પેઠે ચારે પાસ ઉડવા લાગ્યાં ને તેના છેડાઓ પૃથ્વીની ચારે પાસના સમુદ્રમાં બોળાવા લાગ્યા. એ સમુદ્ર પોતાના ભવ્ય વિસ્તાર સાથે નીચે અને ચારે પાસ ખળખળ બોલતો પ્રત્યક્ષ થયો ને તેના તરંગો ઉંચા ઉંચા ઉછળવા લાગ્યા ને ચન્દ્રનાં અસંખ્ય પ્રતિબિમ્બોનાં વક્રીકરણ પામેલાં કિરણથી ચળકવા લાગ્યા. આ કેવળ સમુદ્ર નહી પણ ક્રમેક્રમે મહાસાગર જણાયો. થોડી વારમાં એ મહાસાગર પૃથ્વીના પંચમહાસાગરથી ભરેલો દેખાયો.

સર૦– આ દિવ્ય સ્વપ્નની સહચારિણી પ્રિયા ! આ મહાસાગરોનો ઠાઠ તો જો ! કેટલા દ્વીપ ! કેટલા ખંડ ! તરંગનો ને ખડકોનો તો પાર જ નથી !

કુમુદ૦– એ મ્હારા પ્રિયતમ ! આ મહાસાગરો ઉપર ચારે પાસ કપિલોકનાં યૂથનાં યૂથ ચાલે છે ! જ્યાં દ્વીપ ત્યાં દિવ્ય શક્તિવાળા વાનરોને દેખું જ છું ! આ લોક ઘડીકમાં વાયુને વશ કરે છે તો ઘડીકમાં એનાં મોજાંને જ વશ કરે છે ને ત્રીજે સ્થાને અગ્નિને ને આકાશમાંની વીજળીને વશ કરે છે !

સર૦– વરુણ, વાયુ, અગ્નિ, અને ઇન્દ્ર સર્વ અર્જુનને સાધનભૂત થયા છે ને અર્જુને તેમના દેશમાં પોતાનો રથ ફેરવેલો છે. કુમુદ ! આવા આ રથ જ્યાં ફરે ત્યાં સત્યયુગ સમજવો એવા અર્જુનના પિતા ઇન્દ્રનો ઉપદેશ છે.[૧]

પોપટ–પણ બીજા લોકને મુકી આ કપિલોકમાં આજે કેમ આટલું બળ છે ?

સર૦– અર્જુન કપિકેતન છે તેનું બધું રહસ્ય આપણા ચિરંજીવો ક્‌હેશે. પણ એ કપિલોક ચરે છે તેથી ઇન્દ્રપુત્ર તેનો પક્ષપાત કરે તે જ સ્વાભાવિક છે. આપણા લોક સુઈ ર્‌હે છે માટે તેમાં કલિયુગ છે અને આ લોક ચરે છે માટે સ્વર્ગનો મહારાજ તેમનો મિત્ર જ છે. इन्द्र एच्चरतः सखा ! એ ઇન્દ્રનું જ વચન છે, એ ઇન્દ્રનો પુત્ર આવા પ્રવાસ ન કરે તો બીજું કોણ કરે ? કુમુદ ! ઉત્તમ સ્વપ્નની સહચારિણી પ્રિય કુમુદ ! ઇન્દ્રરાજે કહેલા કૃતયુગના તીર ઉપર ચરતાં આ અનેક સત્વોને જોઈલે ! આ મયૂર અને ચકોર કેવળ પક્ષિધર્મથી ઉડે છે ને પેલા છેટેના


  1. ૧. આ પ્રકરણને મથાળે મુકેલા ઐતરેય બ્રાહ્મણના શ્લોક
ઋક્ષ[૧] અને ગજરાજ મહાબળથી ચાલે છે ને તેમના પગમાં ને પગલામાં

વિકટ બળ છે ત્યારે આ કપિલોકનાં કમાન જેવાં અસ્થિપંજર ને સ્નાયુઓ તેમને પક્ષીની પેઠે સમુદ્ર ઓળંગવાની શક્તિ આપે છે ને તેમની સ્થિતિસ્થાપકતા તેમને સર્વ ક્‌લેશનું સહન કરવાની શક્તિ આપે છે. આફ્રિકાના તાપને ને હિમાલયના હિમને તેઓ વેઠી શકે છે, ને જ્યાં કુદે છે ત્યાં રહી શકે છે. કુમુદ ! ઋક્ષ અને ગજ જ્યારે પગે ચાલે છે ત્યારે વાનરલોક મ્હોટી મ્હોટી ફાળો ભરે છે ને ઝાડે ઝાડે, પર્વતો ઉપર, રણોમાં, ને સમુદ્રો ઉપર કુદાકુદ કરી આ ચોખંડ પૃથ્વીમાં તેઓ અર્જુનના રથનાં અસંખ્ય સૂત્રો ખેંચી જાય છે. તું જુવે છે કે આ મહાસાગરમાં જ્યાં જ્યાં નૌકાઓના સ્હડ ને ધુમાડાના ગોટ ચાલે છે ત્યાં તુતક ઉપર કે સુકાન ઉપર કે સંચા ઉપર કપિલેાક જ હોય છે ?

કુમુદ – આ ચિત્રદર્શન હું મહાવિસ્મયથી જોઉં છું. અર્જુનદેવ તેમને બહુ લાડ લડાવે છે.

પોપટ – અર્જુન આટલો પક્ષપાત શા માટે કરે છે ?

“ત્હારા ચિરંજીવોને પુછજે !” આકાશવાણી થઈ.

સર૦– આ એમનાં ખેંચેલાં અર્જુનરથનાં સૂત્ર તો જો ! તેમાં શી ક્રિયા ચાલે છે ?

કમુદ૦– આ વાનરોયે એ દોરડાંના તંતુમાત્રને છુટા કરી નાંખ્યા છે ! અને એના ઝીણામાં ઝીણા તન્તુ તે મ્હારા હાથ જેવા જાડા છે ! કોઈ તન્તુમાંથી વિદ્યા વીજળીના ચમકારા પેઠે નીકળે છે તો કોઈમાંથી ધનના ઢગલા વાદળાં પેઠે નીકળે છે. બીજા તન્તુઓની ક્રિયાઓનો પાર નથી, હું જેઉ છું, મોહું છું, પણ વર્ણન કરી શકતી નથી. પેલા ગજ અને ઋક્ષ કોણ છે ?

સર૦– ઋક્ષ લોક રશિયાનો છે ને પેલો પ્રાચીન ગજ તે જર્મનીના મહારાજ્યનું સ્વરૂપ છે. આ કપિલોકમાં જ્યારે પાઞ્ચાલીનું રાજ્ય છે ત્યારે ઋક્ષ અને ગજલેાકમાં દુર્યોધનનું રાજ્ય છે.

કુમુદ૦– એ લોક શું અર્જુનના રથથી ખેંચાતા નથી ?

સર૦– એ રથનાં દોરડાં ઝીલવા ને ખેંચવા એમના દુર્યોધન મહાપ્રયત્ન કરે છે. પણ જ્યાં પાઞ્ચાલી સુખી નથી ત્યાં અર્જુનના રથની ગતિ ધીમી હોય છે. આ ઋક્ષલોકનાં રીંછની શંખણી જેવી રીંછડી પાઞ્ચાલીની કાંઈ


  1. ર. ઋક્ષ = રીંછ (રશિયાના મહારાજ્યની સંજ્ઞા “રીંછ” છે.)
પણ સમૃદ્ધિ પામી નથી. ગજરાજની પાઞ્ચાલી હસ્તિની છે ને હસ્તી અને

હસ્તિની ઉભયની પ્રીતિ ઝાઝી છે પણ તેની પ્રીતિક્રિયાના સંસ્કાર સંપૂર્ણ નથી.

કુમુદ૦– શી રીતે?

સર૦– હાથીની સુંડમાં જે સૂત્ર છે તેનો જ સ્વર નીકળે છે તે સાંભળેા.

એ સ્વર સંભળાયો.

"[૧]लीलोत्खातमृणालकाण्डकवलच्छेदेषु संपातिताः ।
पुष्यत्पुष्कररवासितस्य पयंसो गण्डूशसंक्रान्तयः ॥
सेकः सीकरिणा करेण विहितः कामं विरामे पुन-
र्न स्नेहादनरालबालनलिनेपत्रातपतं धृतम् ॥"

સર૦– આપણે અંહી બહુ વેળા વીતી ગઈ. આપણા ચિરંજીવોને જોવાને તેટલો વિલમ્બ થાય છે.

કુમુદ૦- સત્ય છે – પણ આ પોપટ કંઈક બોલે છે.

પોપટ૦– અમેરિકાના, અને મહાસાગરો વચ્ચે ઉભેલા દ્વિપોમાંના, કપિલેાક ! તમને મ્હારી વાસના અને જિજ્ઞાસા તૃપ્ત કરવાનો અવકાશ નથી ?

દોરડે દોરડે કપિલોકનાં ટોળાં વળગી પડેલા હતાં તે ગર્જી ઉઠ્યાં.

“England expects every man to do his Duty. Do thou thine !"

પોપટ૦– મ્હારો દેશ ક્યારે મ્હોટી સ્થિતિમાં આવશે ? એની જન્મપત્રિકા કરો !

એક કપિ દોરડે વળગી ચ્હડતો ચ્હડતો ઉંચે આવ્યો ને બોલવા લાગ્યો.

“પોપટ ! તને કહ્યું કે ત્હારો ધર્મ જાણ ને તે પ્રમાણ વર્ત્ત. એટલે ત્હારાં દેશનું કલ્યાણ થશે. ટુંકી શીખામણ શા માટે સમજતો નથી ?”

પોપટ૦– આ ચકોરે લાંબી શીખામણ દેઈ પોતાની બડાશો મારી ને અંતે આખી દુનીયામાં જાદવાસ્થળી થવાની બતાવી ને છતાં મ્હારે કરવાનું તે કંઈ ન બતાવ્યું ! તમે એક પાસથી લ્હડો છો ને અનેક દેશનાં અનેક પ્રાણીયો ઉપર અનેક અધર્મ કરો છે ને મને ટુંકો ધર્મ બતાવે છે તે શું તમારો કપટદમ્ભ નથી ?


  1. ૧ માલતીમાધવ

વાનર૦– અમે શો અધર્મ કર્યો ! અર્જુનના રથને દેશે દેશ ખેંચવો એ અમારો ધર્મ છે ને જે લોક એ રથનાં સૂત્ર જાતે ઝાલતા નથી તેને અમે લલચાવી, બ્હીવડાવી, નખ ભરી, એ સૂત્ર ઝાલતાં શીખવીયે છીયે. આમાં અમે અધર્મ જોતા નથી. તમે તમારા દેશમાં જ અર્જુનની ક્રિયાઓ જુવો. અનેક રાજાઓને અને રાજ્યોને, અનેક ભૂતોને અને સત્ત્વોને, વશ કરવામાં તમારા અર્જુને જો અધર્મ કર્યો હોય તો અમે તે કરીયે છીએ ને તેનો માર્ગ જો ધર્મનો હોય તો અમારો પણ ધર્મનો છે. મૂર્ખ પોપટ ! જો અર્જુનનો રથ અમે ખેંચીયે છીયે તો અર્જુન ત્હારા જ દેશમાં જન્મેલો છે ને ત્હારો દેશ ભ્રષ્ટ થયો એટલે અર્જુને એનો ત્યાગ કર્યો. એ અર્જુને જ અમારા લોકને પોતાના અધિકારી ગણ્યા છે. તેની નીતિ ને ક્રિયા ત્હારા દેશમાં બીજરૂપે હતી તેને અમારા લોકની બુદ્ધિએ વૃક્ષનું રૂપ આપ્યું છે, ને તેનાં ફલ-પુષ્પનો ત્હારા દેશને પણ સ્વાદ અમારો આપ્યો પડવા લાગ્યો છે. છતાં ત્હારા રાફડાએામાં આ વાયુરથનાં લંગર નાંખવા જેટલી ખીલી તેમાં ઠોકીયે તેટલામાં ત્હારો દેશ રોકુટ કરવા બેસે છે તે ત્હારા દેશના માનેલા ધર્મ તે ધર્મ કે અમારા ધર્મ તે ધર્મ તેનો વિચાર તારા દેશના ચિરંજીવોને પુછી જોજે.

સર૦– કપિરાજ, તમારા લોકમાં બે યૂથ દેખાય છે, તેનો શો વિવેક છે?

વાનર– તમારા દેશના વાલી અને સુગ્રીવના જેવા અમારામાં પણ બે ભેદ છે. અમારા વાલી અને સુગ્રીવ ઉભય અમારી પાંચાલીની અનન્ય સેવા કરે છે પણ એ સેવાના વિધિમાં તમારા શ્રૌત સ્માર્ત વર્ગ જેવા ભેદ છે; સુગ્રીવપક્ષ સનાતન ધર્મને દિવસે દિવસે વધારે વધારે સંસ્કાર આપી તે પ્રમાણે વર્તવા ઇચ્છે છે; વાલીપક્ષ દેશકાળના ધર્મને અનુકૂળ હોય તેટલો જ સનાતન ધર્મ સ્વીકારે છે. પેલા ચકોર પક્ષીએ જે અભિલાષ બતાવ્યો તેમાં તે પોતાના રાજનગરને ઉત્કર્ષ આપે છે તે બાદ કરશો તો બાકીનો ઉત્કર્ષ સુગ્રીવના અભિલાષનો વિષય છે. હું વાલીપક્ષમાં છું.

પોપટ– વાલી ધર્મની વાર્ત્તા કરે તે કોણ સાંભળે ?

વાનર– અમારા અભિલાષ અમારી પાંઞ્ચાલીના કલ્યાણને માટે બંધાય છે; તમારા દેશના પાંડવો વચ્ચે પાઞ્ચાલીની કાલક્રમથી સેવા કરતા હતા. અમે બે ભાઈઓ કાલક્રમથી નહી પણ પાઞ્ચાલીની મનોવૃત્તિ પ્રમાણે તેની સેવાનો અધિકાર પામીયે છીયે. સુગ્રીવપક્ષ સેવા કરે છે અમારી પાંચાલીની, પણ તેમનું ચિત્ત સર્વ મનુષ્યજાતિને જ પાંચાલી ગણે છે ને શશશુંગ જેવા અભિલાષો બાંધી અનેક મૃગતૃષ્ણાએ પાછળ દોડે છે. “We believe in the survival of the fittest and labour to be fittest. They believe in their power of making the unfit fit and fail, and by failures fall among the unfit class.” “Unless the vigorous nation or race can continue, as throughout history, to expand and grow stronger at the expense of the decaying nation or race, the fundamental condition of human advance will not be fulfilled, and a stage of stagnancy, ending in social death, will be substituted for a State of Progress. The only means, revealed to us by past experience, whereby the vigorous people has supplanted the weaker, has been war, without which change and movement must have ceased. Thus viewed, it will be seen that war appears simply a phase in that tremendous and ceaseless process of competition which prevails alike on sea and land–in the ocean-depths, in the paths of the air, in field and forest, throughout insect and animal and vegetable life. The recoil from war, which is felt by so many minds, is only another instance of the eternal contrast between the upward trend of the human spirit and the physical environment by which that spirit is conditioned. But to strive to reach the ideal by a short cut, is not only to fail to attain it, but also actually to postpone its arrival. [૧]

પોપટ– The cat is out of the bag at last. Enough ! I can hear or bear no longer. My country has no hope from thee.

વાનર- Nor from thee and thy people, either.

પોપટ– You wish my extinction, then ?

વાનર– It is not a question of my wish but a matter


  1. 1 From the Ninteenth Century, Feb, 1893, p. 222.
inevitable in the long run unless you strive to benefit

by our Society which I am sure you won't.

પોપટ– Would you struggle then to hasten my extinction – if you believe in my doom as an inevitable result of an inexorable law ? Why waste your strength to achieve what is sure to come to you without that waste ?

વાનર-You are a fatalist; I am not.

પોપટ– You would commit a sin because it is destined.

વાનર– I do my duty even when I know the result.

પોપટ- I am undone.

વાનર– I can't help it. It is your own doing.

આ ઝપાઝપી ચાલે છે એટલામાં એક બીજો વૃદ્ધ વાનર એક બીજા સુવર્ણરજ્જુ ઉપર ચ્હડી આવ્યો ને બેાલવા લાગ્યો.

વૃદ્ધ વાનર- રંક પોપટ ! હું સુગ્રીવપક્ષનો વૃદ્ધ વાનર ત્હારા આશ્વાસન માટે ઉપર ચ્હડી આવ્યો છું.

પોપટ– બધા ઠગ છો. શું તું અમારા સ્વાર્થ કરતાં ત્હારા સ્વાર્થને ઓછો ગણે એવો છે ? અમારા કેટલા બધા દેશી રાજાઓને તમારા લોકે વચન આપી આપી ઠગ્યા છે ? કરાર કરી તોડ્યા છે ? દિવસે દિવસે પાયમાલ કર્યા છે ? અમારી પ્રજાને કેવી કેવી આશાઓ આપી તેાડી છે? કેટલી પ્રતિજ્ઞાઓ મિથ્થા કરી છે ?

વૃદ્ધ વાનર– પોપટ ! ત્હારી વાસનાના તીવ્ર દુઃખે તને ઘેલો કર્યો છે. એક મનુષ્યના આયુષ્યમાં પણ એવું થાય છે કે ધર્મથી કરેલી પ્રતિજ્ઞાઓનું પાલન ગમે તો અશક્ય થાય છે ને ગમે તો અધર્મ્ય થાય છે; અને તેવી સ્થિતિમાં જ તમારા દેશના કૃષ્ણ પોતાની અને ધર્મરાજાની પ્રતિજ્ઞાઓ મિથ્યા કર્યાના પ્રસંગે આવ્યા ક્‌હેવાય છે. તે પછી જીવતાં મનુષ્યોએ મુવેલાં મનુષ્યોએ કરેલી પ્રતિજ્ઞાઓને સર્વથા પાળવી એવો જો તું ધર્મ સમજતો હોય તે ત્હારી ભુલ છે, ત્હારા ક્‌હેવાતા રાજાઓને માટે અમારા લોકે કરેલી પ્રતિજ્ઞાઓનું શાસ્ત્ર આ વાલીપક્ષીના હાથમાંના સૂત્રમાંથી નીકળે છે તે સાંભળ.

એ સૂત્રમાંથી સ્વર નીકળ્યો. “In truth, there are the seeds of decay in every protectorate, however light is the Controlling haud and serious at the outset is the desire to keep alive the native Government. Insensibly goes on an attenuation of authority, and a paralysis creeps over the native Administration when a civilized power, strong and ambitious, daily confronts a weak, apathetic Government, and efficient and honest European officials press reforms on functionaries incapable, dilatory, and corrupt. Insensibly a protectorate approximates to annexation and all the more quickly if the agents of the protecting power are active and capable. Not necessarily from ambition or bad faith, but in obedience to an inexorable law, the weak power becomes weaker, and an education goes on fitting the subject for continued subjection. . . Legal forms refuse to lend themselves to the contradictory conditions such as are found arrayed against each other in conflicts between facts and documents, and diplomacy has to recognise facts to see what is really good for the people.” [૧]

વૃદ્ધ વાનર- આવે કાળે પ્રતિજ્ઞાઓને વળગી ર્‌હેવું એ અહંકાર છે, કોઈને ભોજન આપવાની પ્રતિજ્ઞા કરી હોય ને તે પ્રતિજ્ઞાનું પાલન કરવાથી તેનું મરણ થવાનું લાગે તો તેને મારવાને માટે પ્રતિજ્ઞા પાળવી એવો ધર્મ નથી. અસત્ય વચન ન ઉચ્ચારવું અને સત્ય જ બોલવું એ સનાતન ધર્મ છે. પણ પ્રતિજ્ઞા અને સત્ય વચન જુદા જુદા પદાર્થો છે તે ત્હારા ચિરંજીવ તને શીખવશે. આ અર્જુન ધર્મનો સેવક છે પણ ધર્મ કૃષ્ણનો સેવક છે ને કૃષ્ણને જ આ શાસ્ત્રમાં સિદ્ધિ હતી. તે પણ ત્હારા ચિરંજીવીને પુછજે.

પોપટ– ભલે આ સર્વમાં ધર્મ ન હો, પણ કીયો તે ધર્મ છે કે જે તમારો અર્જુન પાળે છે ને પળાવે છે?


  1. 1. The Nineteeth century for Dec, 1898, p, 912.

વૃ૦ વા૦- વાલીના ખેંચેલા તારમાંથી નીકળેલા સ્વર ત્હેં સાંભળ્યા. એ સ્વરનું તારતમ્ય તમારા અર્જુનનાં પરાક્રમથી પણ જોઈ લે. ખાંડવ વનમાં અસંખ્ય ભૂતોને જે દાવાગ્નિએ અર્જુન અને કૃષ્ણનું સાહાય્ય પામી બાળ્યાં હતાં તે જ સર્વ ભૂતનો સંહારક દાવાગ્નિ આ કાળમાં સર્વ સંસારને વીંટી લે છે. સમુદ્રના દેવ વરુણની પાસેથી અગ્નિને પ્રતાપે તમારા અર્જુનને જે રથ અને અસ્ત્ર મળ્યાં હતાં તે જ અમારા અર્જુનને એ જ વરુણ પાસેથી એ જ અગ્નિના પ્રતાપથી મળ્યાં છે, અને એવો જ દાવાગ્નિ સર્વ ભૂતોની આશપાસ સળગાવતો એવો જ રથ આ યુગમાં ફરી વળે છે. એ વરુણના આપેલા અને આ મહાસાગરો ઉપર ચાલતા આ રથની ધ્વજયષ્ટિ ઉપર અમે કપિલેાક અમારા સિંહકેતનને - British Lion ને – લેઈ બેસીયે છીયે. [૧]અમારી જોડે એ જ રથને શિરે બીજાં પ્રાણી પણ બેસે છે તે તમે જોયાં ને જોશો. ભાઈ પોપટ, ત્હારામાં ઉડવાની શકિત હોય તો ઉડીને આ રથ ઉપર બેસી જા. ત્હારો અમારો અર્જુન જુદો નથી, પણ પ્રવાસે નીકળેલો અર્જુન ત્હારા દેશને છેડી આણી પાસ આજ ફરે છે ને પંચમહાસાગર અને વચલી પૃથ્વી ઉપર એના વાયુરથનાં ચક્રો જેવાં આ અસંખ્ય સૂત્રો સર્વ દેશના વાતાવરણમાં ફરી વળે છે – તેનો ધર્મ હજી વધારે સમજવા, હોય તો ત્હારા ચિરંજીવીને પુછજે. મયૂરે તને કહ્યું તે સત્ય છે, ચકોરે ક્‌હેલું તે પણ સત્ય છે, આ વાલીએ કહેલું સત્ય છે, ને હું કહું છું તે પણ સત્ય છે. અમે પાળીયે છીયે તે ધર્મ ત્હારા દેશમાં પ્રવર્તશે તે તું આ રથની ધ્વજયષ્ટિ ઉપર બેસશે ને જો તે તેમ નહી પ્રવર્તે તો તે અને તું બે જણ અર્જુને પ્રકટાવેલા દાવાગ્નિની જ્વાલાઓમાં ભસ્મ થઈ જશો. તેમાં અમારો દોષ ક્‌હાડશો નહીં. . . અમે તો માત્ર એ રથ દોડે છે તેમ તેને માથે ખેંચાઈએ છીએ ને કલેાલ કરીયે છીયે. ત્હારે અમારા આનન્દમાં ભાગ લેવો હોય તો મ્હારા કપિલોકને તેટલા માટે જ ત્હારે ત્યાં મોકલ્યા છે–


  1. तापनीया सुरुचिरा धवजयष्टिर अनुत्तमातस्यां तु वानरॊ थिव्यः ::सिंहशार्थूललक्षणःदिधक्षन्निव तत्र स्म संस्थितो मूर्ध्न्यशोभत।ध्वजे भूतानि ::तत्रासन्विविधानि महान्ति च।।तत्रादैरिपुसैन्यानां श्रुत्वा संज्ञा प्रणश्यति ॥
    આદિપર્વ, ખાંડવ દહનપર્વ. અર્જુનને મળેલા રથનું વર્ણન.

પોપટ– તે તમે તે વાલી મોકલ્યા છે કે સુગ્રીવ ? તમારે ત્યાં પણ તમે વૃદ્ધ થયા છો ને તમારા કરતાં સંખ્યામાં ને બળમાં વાલીલોક વધી ગયા છે ને તમારો ભાવ કોણ પુછે છે કે અમારો પુછશે ? માટે જ મ્હારું પ્રથમથી ક્‌હેવું છે કે

"कं याचे यत्र तर्ताप्यनवसरग्रस्त एवार्थिभावः ॥"

આટલું બોલતાં બોલતાં પક્ષીના નેત્રમાંથી અશ્રુધારાઓ ચાલી અને નીચેના મહાસાગરમાં ટપકવા લાગી. તેની સાથે વૃદ્ધ વાનર નીચે ઉતરવા લાગ્યો, વાયુરથનાં સૂત્રો પવનના ઝપાટાથી દૂર ખેંચાઈ જઇ અદૃશ્ય થઈ ગયાં, અને માત્ર ઉપર વાયુરથનું તળીયું ને નીચે મહાસાગરનો અપાર વિસ્તાર દૃષ્ટિવિષયમાં બાકી રહ્યાં. પોપટની અશ્રુધારાઓ કોઈ વાદળા પેઠે નીચે વર્ષવા લાગી, કુમુદ તે જોઈ રોવા જેવી થઈ ને માત્ર સરસ્વતીચંદ્ર ઘડીક ઉંચે ને ઘડી નીચે જોઈ રહ્યો. પોપટને અને કુમુદને જોતાં એ પણ દયાર્દ્ર થયો ને કુમુદને છાતી સરસી ડાબી તેને, પોપટ સાંભળે એમ, ક્‌હેવા લાગ્યો.

“કુમુદ ! પ્રિય કુમુદ ! પ્રસન્ન થા ! આપણા દેશ ઉપર ઈશ્વરની કૃપા થશે. પાંડુરાજાએ પાંચ પુત્ર માગ્યા ત્યારે પ્રથમ પુત્ર જે ધર્મ માગ્યો તે જ ધર્મને આ અર્જુન પણ પોતાને જયેષ્ટ બન્ધુ ગણે છે, આપણો દેશ દ્રવ્યહીન છે, દુ:ખી છે, ક્લેશી છે, અધર્મી છે, શસ્ત્રહીન છે, પ્રવાસહીન છે, પ્રારબ્ધવાદી છતાં પ્રારબ્ધહીન છે, વિદ્યાહીન છે અને તેનો નાશ સમીપ દેખાય છે તેવે કાળે પણ આશાનાં ચિન્હ જો ! આટલે દિવસે જે ધર્મને આ પાશ્ચાત્ય અર્જુને મ્હોટો ભાઈ ગણ્યો છે[૧] તેનો અવતાર આપણા


  1. 1. In like manner it is qualities such as humanity, strength, and uprightness of character, and devotion to the immediate calls of duty withoutthought of brilliant ends and ideal results which have largely contributedto render English rule in India successful when similar experiments else-where have been disastrous. It is to the exercise of qualities of thisclass that we must also chiefly attribute the success which has so farattended the political experiment of extraordinary difficulty whichEngland has undertaken in Egypt. And it is upon just the same qualities,and not upon any ideal schemes for solving the social problem, that wemust depend to carry us safely through the social revolution which will beupon us in the twentieth century, and which will put to the most severetest which it has yet had to endure, the social efficiency of the varioussections of the Western peoples. lt must be noticed that the conclusion which is here emphasized is the same towards which the historian with the methods hither to at his command

દેશમાં પાંડુરાજાએ સર્વથી પ્હેલો માગ્યો છે, એ ધર્મના અવતાર ગઈ કાલ આપણે પિતામહપુરમાં દીઠા. મહારાજ મલ્લરાજની વેધશાળામાં તેનું જ શોધન છે, એ પુણ્ય અવતાર આપણા રાફડાઓમાં થશે ત્યારે આપણે ત્યાં પણ અર્જુનનો રથ આવશે.”

કુમુદ સરસ્વતીચન્દ્રની છાતીએ જ વળગી રહી બોલવા લાગી.


has been already slowly feeling his way. Said Mr. Lecky recently, speaking of the prosperity of nations and the causes thereof as indicated by history: “Its foundation is laid in pure domestic life, in commercial integrity, in a high standard of moral worth and of public Spirit, in simple habits, in courage, uprightness, and n certain soundness and moderation of judgment, which springs quite is much from character as from intellect. If you would form a wise judgment of the future of a nation, observe carefully whether these qualities are increasing or decaying. . . . . It is by observing this moral current that you can best cast the horoscope of a nation.”

This is the utterance of that department of knowledge which, sooner of later, when its true foundations are perceived, must become the greatest of all the sciences. lt is the still small voice which anticipates the verdict which will be pronounced with larger knowledge, and in more emphatic term, by evolutionary science, when at no distant date it must enable us as we have never been enabled before, “to look beyond the smoke and turmoil of our petty quarrels, an I to detect, in the slow developments of thc part, the great permanent force that are beating nations onward to improvement or decay.”

The fuller light in which we are thus able to view the great fundamental problems of society cannot be without a strengthening and steadying influence on character. We see that, under all the complex appearances our Western Civilization presents, the central process working itself out in our midst is one which is ever tending to bring, for the first time in the history of the race, all the people into the competition of life on a footing of equality of opportunity. . . . . For in the vast process of change in progress. It is always the conditions of social efficiency, and not those which individuals or classes may desire for themselves, that the unseen evolutionary forces at work among us are engaged in developing. It is by the standard of social efficiency that we as individuals are ever being tested. It is in this quality of social efficiency that nations and peoples are being continually, and for the most part unconsciously, pitted against each other in the complex rivalry of life. And it is in those section of the race where, for the time being, this quality obtains the highest development, that we have present all the conditions favourable to success and dependency.

Social Evolution, by Benjamin Kidd.

“ઓ મ્હારા પ્રિયતમ આશ્વાસક ! મને તેની કાંઈ આશા પડતી નથી! ધર્મનો અવતાર આપણા દેશમાં થાય, તે પછી અર્જુનનો થાય, ને તેટલામાં જે યુગ વહી જશે તેટલામાં તો આ દાવાગ્નિની જવાળાઓ એમાં ફરી વળશે ને આ પોપટ, હું, અને તમે સર્વ તેમાં સપડાઈ જઈશું ! ઈશ્વર અનાથનો નાથ ક્‌હેવાય છે ને રંકનો બેલી ક્‌હેવાય છે એ શાસ્ત્ર અને તેની સાથે આપણી સર્વ આશાઓ આ જ્વાળાઓનાં ભયંકર મુખમાં હોમાઈ જશે ! મરવા પછી વરવાની આશા જેવી આ આશા ખોટી છે ! दैवं दुदुर्बलघातकम् । "

સર૦- કુમુદ ! તું શા માટે ગભરાય છે ! આ પોપટને મન એમ વસેલું છે કે આવા સાધારણ ધર્મના પાલનથી દેશનું શું કલ્યાણ થવાનું હતું ? એ પોપટ ક્ષત્રિય છે, ક્ષત્રિય સત્તાના મહાસાગરનાં મોજાંની ગતિ જુવે છે, ને તેમાં આપણા દેશની દીનતા જોઈને નિરાશ થાય છે. પણ તું મને ભેટે છે ને ત્હારું મંગળસૂત્ર મ્હારા મુદ્રામણિ સાથે ઘસાય છે તેના પ્રતાપથી થતું આ નવું જ દર્શન થાય છે તે જો. આ આપણી પાંખો હવે ઉડે છે ને આપણને જુદા દેશમાં આણે છે. આપણું હિમાચલ ગિરિરાજના શિખર ઉપર આપણે જઈએ છીયે. જો તો ખરી ! અર્જુનના વિમાનની દોરીયો દશે દિશાથી ખેંચતાં પ્રાણીયો : ઉત્તર પ્રદેશમાં છેટે પૂર્વ મહાસાગર પાસે કોલાહલ કરી મુકે છે ને આ કચ્ચર ઘાણ વળી રહ્યો છે તે કાનને બ્હેરા કરી મુકે છે. આ ગિરિરાજ નીચે દક્ષિણમાં આપણા દેશની સુન્દર વાડી ખીલી રહી છે ને લોક દેખતા નથી પણ કપિલોકની ચતુરતા પેલી દેરીયોને વાળ જેવી વણી મુકી આખી વાડીના કુવાઓને માથે જળ પેઠે ભરવે છે ને તેનું ફળ થોડા કાળમાં કંઈ અદ્દભુત જ થશે. પેલા મયૂરનાથી વધારે કલાપ આપણા દેશે કર્યો છે પણ તે જોનારી આપણા દેશની પાંચાલી મૂછાવશ થઈને સુતી છે ને આ મયૂરના કલાપ ભૂતકાળના સ્વપ્ન જેવા થઈ ગયા છે – પણ તું જો કે પેલા કપિલોક જ એ કલાપ જોવાના રસિક થાય છે! આપણી પાંચાલીનું આરોગ્ય અને શરીરસૌંદર્ય આપણા સાત્ત્વિક દ્રષ્ટાઓ. ને નાગલોક જોતા ને રચતા હતા અને તે કાળે પણ આપણો કલાપી કલાપ કરતો હતો ! ચકોરના અભિલાષ પાર પડે કે ન પડે, પણ તું જો તો ખરી કે પેલા રાફડાઓ વચ્ચે થઈને નીકળેલો આપણી ગીર્વાણ સરસ્વતીના પ્રકાશનો બિમ્બ અર્જુનના દાવાનળમાંથી આપણને રક્ષે છે ને અર્જુનના પક્ષમાં આપણને લેવાનો અભિલાષી થાય છે; એટલું જ નહી પણ કપિલોકનું અને આપણા આર્યોનું આર્યત્ત્વ અને બન્ધુત્વ એ બમ્બામાંથી નીકળી કપિલોકને તો શું પણ પેલા મયૂરને અને ચકોરને પણ છાંટે છે ! ચકોરને ચંદ્રદર્શન છેટેથી જ થાય છે, પણ આપણે ત્યાં તે બુદ્ધ ભગવાન ચંદ્રલોકમાં જાતે ગયા છે ને તેમની સાથે પચાશ કોટિ મનુષ્યોને ચંદ્રયોગ થયો છે. આપણા આવા દેશનાં બાલક ચંદ્રલોક પામશે. ક્ષત્રિય યુગનો નાશ પરશુરામે કર્યો, જાદવાસ્થલીથી થયો, તેમ આ ચકોર પણ આ કાળમાં સનાતન ધર્મને બળે આવા યુગનો નાશ દેખે છે તેમાં તું અસંભવિત શું જુવે છે ? જો ! જો ! સર્વ પૃથ્વીના લોક બ્રાહ્મણ થઈ જશે ને આપણા બ્રાહ્મણો શુદ્ધ થયા છે તે પણ બ્રાહ્મણ થશે. શૂદ્ર ને મ્લેચ્છ સર્વ લોક એક બ્રહ્મરંગની શાંતિમાં રંગાશે ! સર્વત્ર અલખ લખ થશે ! જો ! જો ! કપિલોકના પરસ્પર કોલાહલ આપણને બ્હેરા કરી મુકે છે, કપિલોકે આપણાં શસ્ત્ર લેઈ લીધાં છે, આપણાં ધનસંગ્રહ તેમના તેજમાં તણાય છે, આપણાં અનેક રત્ન તેમની દોડાદોડમાં ચંપાઈ જાય છે ને ધુળધાણી થાય છે, આપણાં અન્નમાં તેઓ ભાગ પડાવે છે ! પણ આ સર્વની સાથે કપિરાજે તને વચન કહ્યાં તેથી સમજ કે આપણો ને તેમનો અર્જુન મૂળ એક છે – એ અર્જુન ધર્મરાજનો ભાઈ છે – તેમને તેમ આપણે यतो धर्मस्ततो जयः ની જ સિદ્ધિ માન્ય છે ! આટલું આટલું છતાં આપણે અર્જુને આ ખાંડવવનમાં સળગાવેલા દાવાગ્નિમાં સપડાઈશું તો તે કોનો દોષ ? કપિલોકનો ? તેમનામાં વાલી ને સુગ્રીવ ઉભય છે ત્યારે આપણામાં હાલ તો રાફડાઓ જ છે, તેમાંના જન્તુઓ ક્ષુદ્ર અશક્ત ને જડ છે, ને આપણી પ્રકાશમયી મૂર્તિઓ છે તે આ મલિન રાફડાઓમાં ડટાઈ ગઈ છે ! આપણે તેને ક્‌હાડીશું ! કુમુદ ! ત્હારા મ્હારા હૃદયોનું અદ્વૈત આપણા રાફડાઓમાંનાં રત્નોને ધુળથી છુટાં કરી સંસ્કારી કરશે ને તેમના વધતા પ્રકાશથી આ રાફડાઓની માટી ઓગળી જશે ને તેને સ્થાને ત્હારા આ સ્પર્શમણિ જેવા અનેક સ્પર્શમણિના પર્વત આ દેશના ધરતીકમ્પને અંતે ઉભા થશે કુમુદ ! કુમુદ ! આપણી આંખેાથી આ પાસે પાસેનાં ખ-જેવાં–આકાશ જેવાં – સુખદુઃખ એકલાં દેખાય છે તે જોવાં મુકી દે, તેમનાં મોજાં ગણવાનો વ્યર્થ શ્રમ છોડી દે, અને તારા સ્પર્શમણિની સત્તાથી પેલા વિશાળ આકાશની પણ ઉપરના આકાશમાં વસતી આકાશગંગાનાં રત્ન જોવા માંડ ને આપણા દેશના ચિરંજીવીના તપોવનરૂપ કુરુક્ષેત્રમાં – ચાલ ! - આપણે ત્યાં ફરી લેઈએ ! વીતી વેળા ફરી નહીં આવે ! આજ હું ઘૌ છું– તું પૃથ્વી છે !”

“અખંડ ર્‌હો આ, અખંડ ર્‌હો આ, આપણી માઝમ રાત !”