સરસ્વતીચંદ્ર ભાગ ૪/સૂક્ષ્મ પ્રીતિની લોકયાત્રા.

← યજમાન કે અતિથિ ? અથવા પુણ્યપાપમાં પણ પરાર્થબુદ્ધિની સત્તા. સરસ્વતીચંદ્ર ભાગ ૪
સૂક્ષ્મ પ્રીતિની લોકયાત્રા.
ગોવર્ધનરામ ત્રિપાઠી
અર્જુનનો વાયુરથ અને દાવાનળ.  →


પ્રકરણ ૩૩.
સૂક્ષ્મ પ્રીતિની લોકયાત્રા
And we shall sit at endless feast,
Enjoying each the other's good;
What vaster dream can hit the mood
Of Love on Earth ?–Tennyson.
या कौमुदी नयनयोर्भवतः सुजन्मा ।
तस्या भवनापि मनोरथबन्धबन्धुः ॥
मालतीमाधव.

કુમુદસુન્દરી વસન્તગુફાને ઉપલે માળેથી નીચે ગઈ તો સર્વ સાધ્વીયોને પોતપોતાના પ્રાત:કાળના આહ્‌નિકમાં રોકાયલી દીઠી. બે સાધ્વીઓએ પાસેના જંગલમાંથી દંતધાવનને માટે દાતણ આણ્યાં હતાં અને કડકા કરી સઉમાં વ્હેંચતી હતી. બે સ્ત્રીયો સર્વેને પાસેના ઝરાઓમાંથી કીયામાં ન્હાવાને લઈ જવાં તેનો વિચાર કરતી હતી. બે સાધ્વીઓ આ ગુફાને સ્વચ્છ કરતી હતી, અને બાકીનું મંડળ સ્ત્રીજનો પરમાર્થ કેવી રીતે પ્રાપ્ત કરે તેની ચર્ચા કરતું હતું. કુમુદના પગ નીસરણીને ઉપલે પગથીયે દેખાતાં ભક્તિમૈયા તેના ભણી જોઈ રહી અને કુમુદનો નેત્રભાગ દેખાતાં ક્‌હેવા લાગી.

"મધુરીમૈયા, દન્તધાવન કરી, આ શૃંગ પાસેના નિર્મળ ઝરાઓમાં આપણે સ્નાન કરવા જવાનું ઠર્યું છે?"

કુમુંદ૦- જ્યાં સાધુજનોની પ્રવૃત્તિ ત્યાં મ્હારી.

પ્રીતિમાનિની– ત્હારા મુખની પ્રસન્નતા ઉપરથી અમે એમ જ સમજીયે છીયે.

વામની– મધુરી, સાધુજનોને શિર રાત્રિએ આરોપનું વાદળું ચ્હડ્યું હતું તે ચન્દ્રકિરણથી વેરાઈ ગયું હશે.

કુમુદ૦- હું ક્ષુદ્ર સંસારિણીને શુદ્ધ કરવા સાધુજનોનું જ માહાત્મ્ય સમર્થ છે, તે સમર્થતાને ઘુવડ જેવી હું દિવસે જોઈ શકી નહી તે રાત્રિ સમયે દેખતી થઈ છું, વામની૦ – એ સમર્થતાએ તને સુખી કરી કની ?

કુમુદ૦– એ સમર્થતાએ મને શુદ્ધ અને શાંત કરી.

ભક્તિ૦– મધુરી, ત્હારી તૃપ્તિ જોઈ ચન્દ્રાવલીનું હૃદય ઘણું શીતળ થશે.

બુદ્ધા– મધુરીમૈયા શાંત થઈ છે તો તૃપ્ત પણ થશે. જયાં સુધી એના અદ્વૈતાગ્નિની સુન્દર જ્વાલાઓ જગતને પ્રત્યક્ષ થઈ નથી ત્યાં સુધીનો કાળ રમણીય આપ્યાયનમાં જશે ને તૃપ્તિનો કાળ તો મહાત્મા પૂર્ણાહુતિ રચશે ત્યારે આવશે.

પ્રીતિ૦- મધુર મધુરી ! જે સાધુતાએ તને શુદ્ધ અને શાંત કરી છે તે જ સાધુતા ત્હારું કલ્યાણ કરશે.

કુમુદ૦- આપની મતિ આવી કલ્યાણકર છે તો તે સફળ થશે.

વામની૦– મધુરી, તું સુખી થઈ જાણીશું ત્યારે અમે સુખી થઈશું. તું હજી કંઈક વિચારમાં પડે છે.

કુમુદ૦– દુઃખની ભીતિથી હું કમ્પુ છું ખરી, પણ સુખના કરતાં કલ્યાણને વધારે પ્રાર્થું છું. એ પ્રાર્થના મને વિચારમાં નાંખે છે.

વામની૦– વારુ, તું વિહારમઠમાં ક્યારથી જઈશ ને સાધુનો વેશ કયા૨થી ધારીશ ?

કુમુદ કંઈ બોલી નહી.

પ્રીતિ૦- વામની, તું ત્હારા ધર્મનો અતિક્રમ કરે છે, જે અદ્વૈતાગ્નિની વેદીનું પોષણ કરવા સાધુજનોના પરિશ્રમથી મધુરીમૈયા તત્પર થઈ છે તે અગ્નિસાધનના એક પણ મંત્ર કે વિધિનું દર્શન ઇચ્છવા તને કે મને અધિકાર નથી. દયિતદયિતાનો યોગ થતાં સખીકૃત્ય સમાપ્ત થાય છે. તે પછી તેમની પ્રીતિના પડદાને ઉંચો કરી કરી તેમાં ડોકીયાં કરવાના કામને સાધુજન અધર્મ ગણે છે. પ્રીતિનું બાલવય થઈ ર્‌હેતાં તેનાં અંગ પર આચ્છાદન જ ઘટે છે ને એ મર્યાદા સર્વને કલ્યાણકર છે. જેની ચિન્તા નવીનચંદ્રજીના હૃદયમાં ચ્હડી ચુકી છે તેની ચિન્તા આપણે કરીયે તો આ૫ણામાં પ્રગલ્ભતાનો દોષ પણ આવ્યો સમજી લેવો. માટે, વામની હવે ત્હારા કુતૂહલને સાધુજનોને અનુચિત ગણી એ કુતૂહલનો નિરોધ કરી દે અને આપણા ઋણના મ્હોટા ભાગમાંથી આપણે મુક્ત થયાં ગણી,


૧ Audacity, તું નિવૃત્તિ પામ. મધુરીમૈયા, ત્હારી બુદ્ધિ કલ્યાણી છે તે સુખના કરતાં મ્હોટા સત્પદાર્થોનો તને યોગ કરાવશે અને તમારી અલખ પ્રીતિમાં અનેક કલ્યાણ-સમૃદ્ધિને ભરશે. સાધુજનોએ ત્હારી ચિકિત્સા કરી ને ઐાષધવિધિ દર્શાવ્યો તે ઉભયની સફલતા થવા માંડી છે ને તેના પરિણામમાં તું શુદ્ધ, શાંત, અને કલ્યાણપાત્ર થઈશ તેટલું ફળ અમારી ક્ષુદ્ર શક્તિઓને માટે ન્હાનું સુનું નથી. સાધુજનો, આ મંગળ દિવસને યોગ્ય મંગળ કાર્ય કરવાનો આરંભ કરો અને ચન્દ્રાવલીમૈયાને એ સમાચાર તરત ગુપ્તપણે ક્‌હાવો.

આ મંડળી આમ વાતો કરતી કરતી બહાર સ્નાનાદિક આહ્‌નિકને માટે ગઈ ને છેક મધ્યાહ્‌ને પાછી આવી.

આણી પાસ કુમુદ ગયા પછી સરસ્વતીચંદ્ર પણ નીચે ઉતર્યો ને સાધુજનોને મળી પોતાનું આહ્‌નિક કરી તરત ઉપર આવ્યો, ને કુમુદસુન્દરી પાછી આવી ત્યાં સુધી સાધુજનોએ આપેલા એક મ્હોટા કોરા પુસ્તકમાં પોતે રાત્રિયે દીઠેલાં વિચિત્ર સ્વપ્નની કથા ઉતારી. જે સ્વપ્ન લાગતાં કલાક બે કલાક થયા હશે તેની કથા ઉતારતાં ચાર કલાક થયા. તે લેખ પુરો કરી, ફરી ફરી વાંચી, તેનો વિચાર કરતો ઓટલા ઉપર બેઠો ને આશપાશનો દેખાવ જોવા લાગ્યો. જોતે જોતે વચ્ચે વચ્ચે પોતાનું પોટકું ઉધાડી ચંદ્રકાન્તના પત્રો પણ વાંચતો હતો. ઘણો કાળ એમ ગયો ત્યાં કુમુદસુન્દરી પાછી આવી ને કાગળોના પોટકાની બીજી પાસે બેઠી.

સર૦– તમે આજ કેવી રીતે કાળક્ષેપ કર્યો ?

કુમુદ૦– સાધુજનોના આહ્‌નિકને આટોપી આ ફલાહાર લેઈ આવી એ જ.

પોતાના પાલવ તળેની થાળી ઉઘાડી, કાગળો વચ્ચે માર્ગ કરી, ત્યાં થાળી મુકી, અને બીજો ફેરો ખાઈ આવી એક સ્વચ્છ શુદ્ધ દુધનો કલશ લેઈ આવી.

કુમુદ૦– આ શો સમારમ્ભ છે ?

સર૦- આજ મને વિચિત્ર બોધક સ્વપ્ન થયું હતું તે આ પુસ્તકમાં લખી ક્‌હાડયું છે.

કુમુદ એ વાંચવામાં લીન થઈ. સરસ્વતીચંદ્ર એના મુખ સામું જોઈ રહ્યો અને સર્વ સુન્દર અવયવો જોવામાં લીન થયો. થોડુંક વાંચી વિચારમાં પડી કુમુદ અટકી અને સરસ્વતીચંદ્રના નેત્રના વ્યાપારને જોઈ રહી, પણ તેનું સરસ્વતીચંદ્રને ભાન ન હતું. અંતે એને જગાડતી હોય તેમ સ્મિત કરી કુમુદ બોલી.

“સ્થૂલ કામ ને સૂક્ષ્મ કામ વચ્ચેની ભીંત કીલ્લા જેવી છે પણ એકમાંથી બીજામાં ચોરી કરી નીકળી પડવાનાં દ્વાર બહુ છે.”

સરસ્વતીચંદ્ર સાવધાન થયો.

“સત્ય છે. તરવારની ધાર ઉપર ચાલવું ને તરવાર પગમાં પેંસી જાય નહી એવી સંભાળ રાખવા જેવું આ અસિધારાવ્રત છે.”

કુમુદ૦– એમ જ છે. નિત્ય જોઈએ છીયે એવાં શરીરમાં આવી અને આટલી બધી મોહની કયાં ભરી રાખી હશે કે તેને હડસેલી ધક્‌કા મારવા છતાં પણ ખસતી નથી ને માત્ર ખસેડવા માટે આટલા પ્રયાસ કરવા પડે છે ? . સર૦- આપણે જે સત્ત્વને ખસેડવાને આટલો પ્રયાસ કરવો પડે છે તે જ સત્ત્વનું અભિનન્દન કરવું એ બીજાનો ધર્મ થાય છે ને તેમણે ક્‌હેવું પડે છે કે Resist not the weakness![૧] અલખના સાધુજનો આનો વિવેક સારો સમજે છે. કુમુદસુન્દરી, અભ્યાસથી અને અવધાનથી આપણે આ કષ્ટસાગરને તરી જઈશું.'

કુમુદ૦- લગ્ન કાળે કરેલી પ્રતિજ્ઞા ન તોડવાની પ્રતિજ્ઞાને પ્રાત:કાળે દયાએ ભુલાવી હતી. તમારી પાસે કરેલી પ્રતિજ્ઞાને ભુલું એમ નથી.

સર૦– તમે આ વાંચ્યું ?

કુમુદ૦- વિચાર કરું છું કે વાંચુ કે ન વાંચું?

સર૦– વાંચવામાં કંઈ બાધ છે?

કુમુદ૦– મને પણ આજ મહાસ્વ્પ્ન થયું હતું તેનોજ આ ઈતિહાસ આપે જાણ્યે લખ્યો હોય એમ છે. ને એમાં પણ મોહક ભાગ છે તે સ્વપ્નસ્થ મટી જાગૃતસ્થ થાય તો આ પ્રતિજ્ઞા તુટે.

સર૦- શું તમને પણ આવું સ્વપ્ન થયું હતું ? તેમાં ને આમ કંઈ ફેર નથી ?

કુમુદ૦- કંઈ ફેર નથી. માત્ર આમાં આપની સહચારિણી કોણ હતી તે આપે લખ્યું નથી તે ઠેકાણે મ્હારું નામ લખ્યું હત તે બરોબર મ્હારું જ સ્વપ્ન પૂર્ણ થાત.


  1. ૧ Shelley.

સર૦– સ્વપ્નશાસ્ત્રના પણ વિચિત્ર ચમત્કારો છે. કુમુદસુંદરી ! આ સ્વપ્નમાં મહાબોધ છે.

કુમુદ૦– છે જ. આપના જેવાના સંસ્કારો એવાં સ્વપ્નમાં અવિક્ષિપ્ત સ્વરૂપ પામે છે. જે વિષયોમાં આપ અનેક ગ્રન્થ લખી શકો તે વિષયો ગુરુજીના પ્રતાપથી આપને આમ સ્વપ્નકાળમાં પ્રત્યક્ષ થયા છે, ને આપની પ્રીતિને યોગે મને પણ પ્રત્યક્ષ થયા. આવું થવાના સંભવની વાતો સાધ્વીજનાએ મને પ્રથમથી કહી હતી અને માટે જ હું ચરણસ્પર્શના લોભમાંથી સ્વપ્ન સમાપ્ત થતા સુધી છુટી શકી નહી.

સર૦- કુમુદસુન્દરી ! હું બહુ દુ:ખી છું.

કુમુદ૦- મ્હારા દુઃખનો નાશ આપે કર્યો ને આપના દુ:ખને મ્હારાથી નાશ નહી થઈ શકે તો હું તેમાં ધર્મસહચારિણી સમભાગિની થઈશ.

સર૦– તમારું દુ:ખ મને વીંછીના દંશ પેઠે શરીરમાં અંદર સાલતું હતું, પણ આ દુ:ખ તો પવન પેઠે ચાર પાસથી બાંધી લે છે.

કુમુદ૦- એ દુ:ખ શું છે!

સર૦– આપણા દેશની ને લોકની સ્થિતિ – એ હવે મ્હારું એકલું દુ:ખ છે તેમાંથી કેમ મુક્ત થવું એ વિચાર હૃદયને હલમલાવી નાંખે છે.

કુમુદ૦– ગુરુજીના રચેલાં સ્વપ્નાદિ યોગ એ દુઃખનો નાશ કરશે અથવા નાશનો માર્ગ બતાવશે.

સર૦– ક્યાં આ એકાન્તવાસી સાધુજન અને ક્યાં આ અનેક વાયુચક્ર જેવા ગુંચવારાઓથી ભરેલી દેશની દશા ? હું તેની તમારી પાસે પણ શી વાત કરું ?

કુમુદ૦– હું એ વાતે સાંભળવાને પાત્ર નથી ને સમજવાને શક્તિવાળી નથી; પણ તે સાંભળવા – સમજવા – નો અધિકાર મને ધીમે ધીમે આપવો એ આપની કૃપાને યોગ્ય કાર્ય છે.

સર૦-એ તો આપણા સહવાસનો જેવો ક્રમ.

કુમુદ૦– એ ક્રમ બંધાઈ ચુક્યો આપને દેખાતો નથી?

સર૦– સાધુજનોને જે ક્રમ વ્યવસ્થિત છે તેમાં સંસાર ગમે તેવે કાળે અવ્યવસ્થા નાંખી શકશે.

કુમુદ૦– તમારા વિના મ્હારે કોઈ રહ્યું નથી, અને સાધુજનોએ ઘડેલી વ્યવસ્થાથી જો આપની પવિત્ર સ્થિતિ જળવાઈ શકશે તો પછી મને મળેલો લાભ આપ પાછો ખેંચી નહીં લ્યો.

સર૦- હું તો નહી ખેંચી લેઉં; પણ તમારો ધર્મ તમને કેવે પ્રસંગે કેણી પાસ નહી પ્રેરે એ ક્‌હેવાતું નથી. કમુદ૦– પ્રેરશે ત્યારે પ્રેરશે. મ્હારો ખપ આપના વિના બીજું કોઈ કરે એમ હવે નથી. જગત મને ડુબેલી સમજતું હશે, માતાપિતા અને શ્વશુરગૃહ પણ એ જ બુદ્ધિથી મ્હારો શોક કરી રહ્યું હશે અને કાળક્રમે તેમના મનમાંથી હું ખસવા પણ માંડી હઈશ. હું એ સંસારને મનથી વિસારું છું; આપ પણ વિસારો. જ્યાં સુધી આપણે અધર્મના માર્ગથી દૂર છીયે ત્યાં સુધી ભાવી પ્રસંગો એ શું થશે ને શું નહી થાય એ તર્ક કરવા તે પેટ ચોળી પીડા ઉભી કરવા જેવું નથી?

સર૦– એ પણ સત્ય છે.

કુમુદ૦– તો એ વાત પડતી મુકી ને મને ક્‌હો કે આપ આ આશ્રમમાં આપનો કાળ કેવી રીતે ગાળવા ધારો છો? ને આપના મનના સંતાપને કેવી રીતે દૂર કરવા ઈચ્છો છો ?

સર૦– મ્હારું આત્મહિત વિચારવાનાં સાધન તો આ મઠોમાં ઘણાં પડ્યાં છે. દેશહિત કરવાને માટે દ્રવ્યની અને પ્રતિષ્ઠાની મહત્તા જોઈએ તે અંહી નથી, પણ દ્રવ્ય અને પ્રતિષ્ઠા ઉભય હોય તો તે વડે દેશહિત કેમ કરવું તે આ ભવ્ય સ્થાનમાં રહી સુઝશે તેવું અન્યત્ર નહી સુઝે. લોકહિત – સર્વ પૃથ્વી–લોક–નું હિત – એ સાધવાની શક્તિ તો દ્રવ્ય અને પ્રતિષ્ઠાથી પણ દુર્લભ છે, એ શક્તિ તો કેમ પ્રાપ્ત કરવી એ જ વિકટ પ્રશ્ન છે. તેનું સમાધાન સુન્દરગિરિ સુઝાડશે.

કુમુદ૦– એ વસ્તુઓને જોનાર ને દેખાડનાર તો આપની બુદ્ધિ અને વિદ્યા જ છે; તેમાં સુન્દરગિરિ શી અધિકતા કરવાનો હતો ? સંસારના પ્રશ્રોનું સમાધાન સંસાર જ કરી શકે ને અંહી તે સંસાર ભણી આપે આંખો જ મીંચીને અદ્રષ્ટા થવાનું છે.

સર૦– વિદ્યા બુદ્ધિને વ્યાયામ અને શક્તિ આપે છે. સંસાર એ વ્યાયામને અને શક્તિને વિષય આપે છે, પણ એવા વિષયનું જ્ઞાનેન્દ્રિયમાં ગ્રહણ કરી તેનું ચર્વણ ને પાચન કરવાનો અવકાશ અને પ્રભાવ આવાં સ્થાનમાં સવિશેષ મળે છે એમ પાશ્ચાત્યો માને છે ને અનુભવે છે તેમ આપણા પ્રાચીન લોક પણ સમજતા હતા [૧]અને આપણી બુદ્ધિમાં જે નવું સ્વાસ્થ્ય આપણે અનુભવીએ છીયે તે પણ આ ગિરિરાજનો જ મહિમા સમજવો. તીર્થોમાં તેમ ક્ષેત્રવિશેષોમાં તેનાં સૌંદર્યથી, શાન્તિથી, ભવ્યતાથી, અને એવાં અનેક કારણોથી કંઈક એવી શક્તિવાળો સૂક્ષ્મ પવન વહન કરે છે કે તેનાથી આપણાસ્થૂલ અને સૂક્ષ્મ ભાગોમાં-જડ અને ચેતન અવયવોમાં – નવીન પવિત્રતા, બુદ્ધિ, અને સ્વસ્થતા ઝરાના પાણી પેઠે, ફુવારા પેઠે, સ્ફુરી આવે છે.

કુમુદ૦– એ તો સત્ય હશે, મ્હારી પોતાની બુદ્ધિને પણ કંઈક આવો જ લાભ મળ્યો લાગે છે.

સર૦– તે વિચારો–પ્રસંગ મળ્યે સમજાવું છું કે મ્હારા અનેક નિર્ધન વિદ્વાન મિત્રોને મુંબાઈ જેવી ઘટ વસ્તીમાં બારે માસ ભરાઈ ર્‌હેવું પડે છે અને ઈંગ્રેજોની પેઠે આવાં સ્થાનમાં આવી આરોગ્ય અને સ્વાસ્થ્ય પામવાને તેમની પાસે નથી દ્રવ્ય અને નથી અવકાશ – એટલો વિચાર થતાં મને કેવું દુ:ખ થવું જેઈએ ? આ ગિરિરાજના દર્શનથી મને એક લાભ તો આ દુઃખનો થયો છે.

કુમુદ૦– આપના ઉદાર દેશવત્સલ હૃદયને એ દુઃખ તો ખરું, પણ એ દુ:ખના લાભને લાભ કેમ ગણો છો ?

સર૦– કેમ ગણું છું ? મુંબાઈ હતા ત્યારે સુઝતું ન હતું કે મ્હારા આટલા બધા દ્રવ્યનો ઉપયોગ શેમાં કરવો ને આ ગિરિરાજે ને આ પોટકામાંના પત્રોએ આ નવી બુદ્ધિ આપી ને એમ હવે સમજું છું કે બીજું કંઈ ન થાય તે મ્હારા એ વિદ્વાનોને માટે આ દ્રવ્ય ખરચી તેમને આવા ગિરિરાજ ઉપર રાખું ને તેમનાં આરોગ્ય ને બુદ્ધિઓ વધારું !

કુમુદ૦– શ્રીકૃષ્ણના હૃદયમાં તેમના ભક્તો અને વિપ્રો હતા તેમ આપના હૃદયમાં આ વિદ્વાનો છે.

સર૦– એમ જ, આપણા દેશનું અને દેશમાંના લોકનું કલ્યાણ કરવાની શક્તિ આજ બે વર્ગમાં છે. પ્રથમ છે ઈંગ્રેજોમાં અને પછી છે આ વિદ્વાનોમાં.

કુમુદ૦– ઈંગ્રેજોમાં તો શક્તિ ખરી.

સર૦– ને વિદ્વાનો વિદ્યાનો ઉપયોગ કરવાની શક્તિ પામે તો તેમનામાં પણ દેશસેવાની શક્તિ સ્ફુરે. તેમના ઈંગ્રેજોના પરસ્પર સંમેલનથી, પરસ્પરાનુકૂલ પ્રવૃત્તિથી, અને પરસ્પર પ્રેમબન્ધનથી, આ શક્તિ ઉભયમાં વિકાસ પામશે ત્યારે આખા આર્યદેશની શ્રદ્ધાના તેઓ પાત્ર થશે. કુમુદ ગુણીયલબા ઉપર જે અનુકૂળતા તમારા ચતુર પિતાની હતી તેવી આપણા વિદ્વાનો ઉપર ઈંગ્રેજોની થશે, અને એ પિતાની તેમ પિતાના કુટુમ્બની સંભાળ લેવાની જે શક્તિ ગુણીયલબાને તેમની ક્ષમાએ, ઉદારતાએ, ધીરતાએ, સ્વાર્પણે, અને ચતુરતાએ આપી હતી તેવી શક્તિથી આપણા વિદ્વાનો આપણા દેશની સંભાળ લેતાં શીખશે ત્યારે સર્વનું કલ્યાણ થશે. મ્હારી આવી શ્રદ્ધા છે માટે જ સર્વ કરતાં હું આપણા વિદ્વાનોને મ્હારા હૃદયમાં સતતવાસ આપું છું, અને તેમને માટે આવી આવી ચિન્તાઓ કર્યા કરું છું.

કુમુદ૦– તમે તેમને માટે શું ઈચ્છો છો?

સર૦- તેમનાં ગૃહરાજ્યમાં ગુણસુન્દરીયો, કુમુદસુન્દરીયો, સૌભાગ્યદેવીયો, ને ચન્દ્રાવલીયો ફરતી જોવા ઈચ્છું છું. તેમનાં વૈભવ વધેલા જોવા ઇચ્છું છું. તેમના ભંડાર ભરાતા જોવા ઇચ્છું છું. તેમને આધિ અને વ્યાધિથી મુક્ત, આરોગ્ય, સુશરીર, સ્વસ્થ, અને સ્વતંત્ર જોવા ઇચ્છું છું. એમને ત્યાં સરસ્વતી અને લક્ષ્મીના સમાગમ દૃઢ જોવા ઇચ્છું છું. એમને ત્યાં પ્રીતિ અને સદ્ગુણના સહચાર થતા જોવા ઇચ્છું છું. એમનામાં દેશોન્નતિની વાસનાઓને વીર્યવતી અને ફલવતી થતી જોવા ઈચ્છું છું. કુમુદસુન્દરી ! રાત્રે આપણે જે મહાન્ રાફડાઓ જોયા તે રાફડાઓની ધુળ તેમનાં શરીરની ચારે પાસેથી ઉડી જાય અને સોનાની ખાણના પ્રદેશ ઉપરની કાઞ્ચનની રેતીનાં વાદળ એમની અાશપાશ, ઉડી રહે એવું જેવા ઇચ્છું છું. એ રેતી કાઞ્ચનમયી થાય ને આ રાફડાઓમાંનાં સર્વ જન્તુઓને એ કાઞ્ચનની સમૃદ્ધિ મળે, રંગીન ને શ્વેત પ્રકાશના માર્ગોમાં પ્રવૃત્તિ મળે, અને સ્થાને સ્થાને જે મણિમય ઉદ્યાનમાં આપણે ઉભાં હતાં એવું અંહી થઈ જાય એ જોવાની મ્હારી તીવ્ર વાસના છે.

કુમુદ૦– એ વાસના કેવાં સાધનથી તૃપ્ત કરવા ધારો છો ?

સર૦- એ સાધનનું બીજ દ્રવ્ય મ્હારી પાસે હતું તે મ્હેં નાંખી દીધું.

કુમુદ૦- તમે મને ઑસ્ટેનનું વાક્ય એક કાળે સંભળાવ્યું હતું કે It is a truth universally acknowleged that a man in possession of a good fortune must be in want, of a wife. આમાં પણ તમારા સાધનનું બીજ કંઈ રહ્યું નથી ?

સર૦– છે તો છે, ને નથી તો નથી. કુમુદ૦– તમે ઘડી ઘડી ક્‌હેતા હતા કે આર્યદેશની સ્ત્રીયોને આર્યપદને યોગ્ય ઉત્કર્ષ આપવાની તમારી વાસના છે - તે હજી છે કે નથી?

સર૦- શું કહું ? એ વાસનાની વસ્તુ વળી એથી પણ વધારે દુર્લભ છે ને તેની પ્રાપ્તિના માર્ગને માટે પૂર્વે કરેલાં મનોરાજ્યને સ્મરું છું તેની સાથે જ તમારા પણ સંસ્કારો હૃદયમાં ખડાં થાય છે ને ક્‌હેવડાવે છે કે-

इदमसुलभवस्तुप्रार्थनादुर्निवारम्
प्रथममपि मनो मे पञ्चवाणः क्षिणोति [૨]


કુમુદ૦– જે વસ્તુ આપને આજ નહી તો બે વર્ષે પ્રાપ્ત થવી સુલભ છે તેને દુર્લભ ગણવા જેવી અધીરતા તમારામાં નક્કી નથી જ, The time will come you need not fly. [૩]

સર૦– કાળ તેને સુલભ કરશે પણ આપણી ધર્મબુદ્ધિ શું સુઝાડશે તે કોણા જાણે છે ? કુમુદસુંદરીનો ત્યાગ ન કર્યો હત તો પઞ્ચબાણથી નિર્ભય રહી તેમને જ સ્વરૂપે - તેમના જ દ્વારા – મ્હારો જીવ સર્વ સ્ત્રીસૃષ્ટિનાં સુખ-દુ:ખના દુર્લભ દર્શનને સુલભ કરી લેત અને તેના ઉપાય શોધત. પવિત્ર પ્રિયજન ! એ નિર્ભયતા હવે મને મળવામાં જેટલી શંકા છે તેટલી જ દેશની સ્ત્રીસૃષ્ટિનાં સૂક્ષ્મ શરીરની ચિકિત્સા થવી અવિવાહિત વૈદ્યને માટે દુર્લભ અને અનુચિત છે. સ્ત્રીની નાડી જોતાં તે નાડીના સ્પર્શથી જ જ્યારે તે નાડી કે વૈદ્યની પોતાની નાડી ચમકે ત્યારે વૈદ્યે નાડી જોવી જ મુકી દેવી યોગ્ય છે. મન્મથનો પરાભવ કરવો કેવો વિકટ છે તે આપણે અાજ પ્રત્યક્ષ કર્યું છે. તમારી અપૂર્વ સહાયતા મને ન મળી હત તે મન્મથે આજ મ્હારી ધજા તોડી પાડી હત. સ્ત્રીસૃષ્ટિનાં દુ:ખ દૂર કરવાનાં સાધનમાં આવી સહાયતા ન મળે તેને એ સાધન દુર્લભ છે - છતાં એ સાધનના સાધ્યને પ્રાપ્ત કરવાની મ્હારી વાસના ખસતી નથી માટે જ હું અસુલભ વસ્તુની પ્રાર્થના કરનાર મૂર્ખ છું. કોઈ નિમિત્તે કોઈ સ્ત્રીનું મ્હારે દર્શન થાય છે ત્યાં તમને દેખું છું, ને તમને સ્મરું છું ત્યાં સર્વ સ્ત્રીજાતિનાં સુખદુઃખ સ્મરું છું. તમને દેખું છું કે સ્મરું છું તેની સાથે સ્વયંભૂ મન્મથ મ્હારી સામે ધનુર્ધર થઈ ઉભો ર્‌હે છે ને તેનાં ભયથી તમારું સ્મરણ કરાવનાર કંઈ પણ મનોરાજ્ય લાગે તે પડતું મુકું છું. પણ પેલા રાફડાઓમાંથી જે દિવ્ય મૂર્તિઓ નીકળી કાલ આપણી પાસે ઉપદેશ કરતી ચાલી ગઈ એવી અનેક મૂર્ત્તિઓ નીકળતી જોવાની મ્હારી વાસના તો ખસતી જ નથી !


  1. १ अलमेष विलोकितः प्रजानां सहसा संहतिमंहसां विहन्तुम् ।
    घनवर्त्म सहस्रधेव कुर्वन् हिमगौरैरचलाधिपः शिरोभिः ॥
    वीतजन्मजरसं परं शुचि ब्रह्मणः पदं उपैतुं इच्छतां ।
    आगमादिव तमोपहादितः सम्भवन्ति मतयो भवच्छिदः ।।
    किरातार्जुन, इन्द्रकीलवर्णनम्
  2. ૧. કાલિદાસ
  3. ૨. ટૉમ્સન
કુમુદ૦– તમારાં નેત્રપુટમાંથી આ અશ્રુધારાઓ વહી જાય છે તે

મ્હારા હૃદયને વીંધે છે, તમે સ્વસ્થ થાવ. તમારા સાધ્યમાં હું સાધનભૂત થઈશ ને ધર્મને જ માર્ગે થઈશ.

સર૦– કુમુદસુન્દરી ! આ પત્રોના ઢગલા પ્રિય ચંદ્રકાંતના હાથમાંથી પ્રારબ્ધે મ્હારા હાથમાં ખેંચી આણ્યા છે તે વાંચું છું ને હૃદય ફાટે છે. મ્હારા પ્રિય મિત્રો ને દેશનાં નીવડ્યાં રત્નો ધુળમાં રગદોળાય છે તે આજ સુધી હું જાણતો ન હતો તે આ પત્રોથી માત્ર કંઈક જાણ્યું ને કેટલું હજી દૃષ્ટિબ્હાર હશે ? પ્રમાદધને તમને સુખી કર્યાં હત તો હું જાતે બહુ સુખી થાત – પણ તેમણે અવળું કર્યું તેથીજ સ્ત્રીજાતિની દુ:ખસૃષ્ટિનાં કંઈક કિરણ મ્હારા નેત્રમાં આવવા પામ્યાં ! આ સૃષ્ટિમાં કેટલી સ્ત્રીયોની કેટલી વેદનાઓ ઉભરાતી હશે, કેટલાં કોમળ હૃદય દળાઈ જતાં હશે, કેટલાં આંસુની નદીયો ચાલતી હશે? ચંદ્રકાન્તના દુઃખના પત્ર વાંચ્યા પણ આ દુ:ખો કીયા પત્રોમાંથી જડવાનાં હતાં ? લક્ષ્મીનો અને તમારો ત્યાગ કરતી વેળા આ ચિત્રો પ્રત્યક્ષ હતા તો મ્હારો ધર્મ કંઈ જુદો જ પ્રાપ્ત થાત. હું મ્હારા રાફડામાંથી છુટવા પામ્યો પણ તેની સાથે આ સર્વ જોવાના પ્રકાશ જોવાનું મ્હારું નેત્ર પણ મ્હેં હાથે કરી ફોડી દીધું અને આર્યલોકની અર્ધી વસ્તીની અને તે પણ સુન્દર અનાથ વસ્તીની દશા સુધારવાનું મ્હારું સાધન મ્હેં જાતે ભાગી નાંખ્યું. હવે તે બની બનાઈ બન ગઈ એ વાત સત્ય છે. પણ – તો પણ – હવે આ વિષયમાં શું કરવું, આ સર્વનાં દુઃખ કેવાં હશે, એ કેમ જાણવાં, એ કેમ મટાડવાં, એ સર્વ વિચાર થાય છે ત્યારે તમે અત્યારે દેખો છો એવી અશ્રુધારા આ નયનોમાં ચાલે છે, કહ્યું માનતી નથી, અને અટકતી નથી. હું એ ધારાઓ જોઈને જ તૃપ્ત થાઉં છું, જે વાતમાં મ્હારો ઉપાય નથી તેમાં કંઈ ધર્માધર્મ પણ નથી ને જેવી રીતે મ્હારી વાસનાને શાંત કરતી વેળા તૃપ્ત થાઉં છું તેથી ઉલટી રીતે આ અશ્રુઓને વ્હેવા દઈને તૃપ્ત થાઉં છું.

કુમુદ૦- જે ત્યાગ જાતે ધર્મબુદ્ધિથી કર્યો તેના અણધાર્યા પરિણામથી ખિન્ન થવું એ અધર્મ નથી?

સર૦- જે વાત હાથમાં છે તે કરવા ન કરવામાં ધર્માધર્મ છે. જે હાથમાં નથી તેમાં ધર્મ પણ નથી ને અધર્મ પણ નથી. સીતાનો ધર્મબુદ્ધિથી ત્યાગ કરી રામચંદ્ર પ્રીતિને બળે રોયા હતા. કુમુદસુન્દરી, ધર્મપ્રમાણે આપણે પ્રીતિને લાત મારી પ્રવૃત્તિના વિષયમાંથી બ્હાર ક્‌હાડવા સમર્થ થઈએ છીયે પણ પ્રીતિને હૃદયમાંથી ક્‌હાડવી તે આપણા હાથની વાત નથી. પ્રીતિની ઉત્પત્તિ જેવી અનિવાર્ય છે તેવી તેની નિવૃત્તિ પણ અસાધ્ય છે. અને તેટલા માટે જ પ્રમાદધનના મન્દિરમાં સરસ્વતીચંદ્રની અનુકમ્પા તમે કરી તે ધર્મરૂપ જ હતી.

કુમુદ૦– શુદ્ધ ઐાષધબળે આંખનાં પડળ ખરી પડે છે તેમ શુદ્ધ પરમ જ્ઞાનથી પ્રીતિનો પટ હૃદયમાંથી સરી પડે છે એમ મહાત્માઓના અનુભવ છે.

સર૦– તે સત્ય છે. પણ પ્રારબ્ધવાદનો અને જ્ઞાનનો પણ દુરુપયોગ થાય છે. જે કાળે ધર્મથી કંઈ ક્રિયા કર્તવ્ય થાય છે તે કાળે પ્રારબ્ધવાદી થઈ બેસી ર્‌હેવું ને ક્રિયાના આરમ્ભમાંથી નિવૃત્ત થવું એ મહાન અધર્મ છે. પ્રારબ્ધવાદનો ઉપયોગ સુખદુઃખની નિવૃત્તિને માટે છે, ધર્મની નિવૃત્તિને માટે નથી; તેમ જ જ્ઞાનનો ઉપયોગ અલક્ષ્ય સ્વરૂપના પ્રબોધને માટે છે. લક્ષ્યધર્મની નિવૃત્તિને માટે નથી; અહંકાર અને મમતાના પ્રધ્વંસને માટે છે, સર્વ ભૂતાત્મતામાંથી ઉત્પન્ન થતા પંચમહાયજ્ઞના પ્રધ્વંસને માટે નથી. આરંભવાચક પ્રારબ્ધમાં અનારંભના ધર્મ જોનાર, કર્મ શબ્દનો અકર્મ ભાગ્યવાચક અર્થે પ્રયોગ કરનાર, ઉંધી પુતળીની આંખોવાળાં જન્તુ આપણે પેલા રાફડાએામાં જોયાં તેમણે આ દેશનાં સજીવ પવનને અને પાણીને સ્થાને જડ ચીકણી માટીના ખડક ઉભા કર્યા છે. તેમની તામસી દૃષ્ટિના પ્રભાવથી જ જ્ઞાનનો આવો દુરુપયોગ થયો છે, આત્માગ્નિના યજ્ઞ હોલાઈ ગયા છે, ને દેખીયે છીયે એ દેશકાળ આપણે શિર ખડો થયો છે. અહંકાર ને મમતામાંથી ઉત્પન્ન થયેલી સકામ અને વાસનાયુક્ત પ્રીતિ આપણા સૂક્ષ્મ શરીરમાંથી ખસી જાય તો તે જ્ઞાનનું સાફલ્ય છે. નિરહંકાર અને નિર્મમ સર્વભૂતાત્મકતાના પરિણામરૂપ નિષ્કામ ફલ-અભેાગી મહાયજ્ઞોમાં પ્રીતિ જ્યારે સાધન થાય છે ત્યારે જ એ યજ્ઞમાં આહુતિ શુદ્ધ સત્વર અને સંપૂર્ણ થાય છે. જીવ, ઈશ્વર, ને બ્રહ્મની જેવી ત્રિપુટી ગણી છે તેવી જ ક્રિયા, ધર્મ, ને જ્ઞાનની ત્રિપુટી છે. ધર્મને ક્રિયાના નિયન્તાનો અધિકાર છે, ને જ્ઞાન તે નિર્ગુણ અને કૃતકૃત્ય ધર્મનું ફળ છે. ધર્મ કૃતકૃત્ય થાય ત્યાં સુધીનું જ્ઞાન સંસિદ્ધ દશામાં સોળે કળાથી પ્રકાશ પામતું નથી અને ધર્મવિનાનું સંપૂર્ણ ક્‌હેવાતું જ્ઞાન તે, ગ્રસ્ત થયેલા સંપૂર્ણચન્દ્ર જેવું, છતે પ્રકાશે, અંધકારરૂપ છે. એકલા આવા જ્ઞાનનું સેવન કરનારની ગતિને શ્રુતિમાં અંધતિમિરથી ભરેલી કહી છે અને તેવા જન્તુ “અસૂર્ય” લોકને પ્રાપ્ત કરે છે એમ કહેલું છે. અંહીના સાધુજને આનો મર્મ સમજે છે. આવા ગ્રહણથી મુક્ત થયલું જ્ઞાન તે જ સાત્વિક જ્ઞાન છે અને એજ જ્ઞાનપદને પામનાર સાધુજન બ્રહ્માદ્વૈત પામે છે. એવા સાત્વિક જ્ઞાનરૂપ થયલાં સાધુજનોના મનુષ્યયજ્ઞોમાં પ્રીતિ સોમરસનું કામ કરે છે; અને, કુમુદસુંદરી, શું તમારે માટે, કે શું આ દેશને માટે, માંડેલા મ્હારા મહાયજ્ઞને માટે પ્રાપ્ત થયેલા મ્હારા સોમરસને હું ધર્મરૂપ જ ગણું છું ને તે ઉપરથી ઈંગ્રેજ કવિનું વાક્ય સમજજો કે–

”Tis better to have lov'd and lost
Than never to have lov'd at all.[૧]

કુમુદ૦– પ્રીતિ પણ શું વાસના નથી ?

સર૦– સકામ વાસનારૂપ પ્રીતિ તે વાસના છે, તે કામથી ઉત્પન્ન થાય છે ને કામક્ષયથી ક્ષીણ થાય છે. નિષ્કામ પ્રીતિ જ્વાલારૂપ છે, પૃથ્વી અને ચંદ્રની વચ્ચેના પરસ્પર ગુરુત્વાકર્ષણના જેવી સહચાર પ્રદક્ષિણાની સાધક છે, અને કેવળ સ્વયંભૂ છે. એ સ્વયંભૂ છે માટે જ જ્ઞાનવિના અન્યથી નિવાર્ય નથી, ને પ્રીતિ ધર્મ્ય હોય છે ત્યારે જ્ઞાન પણ એનું નિવારક નથી. માતાપિતાની પ્રીતિનું નિવારણ કોઈ જ્ઞાન કરતું નથી. તે સઉ આ કારણની કલ્પનાથી સ્ત્રીપુરુષની પ્રીતિને આપણા લોક ક્ષુદ્ર ગણે છે. તે તેમાં વાસનાની કલ્પનાથી. આર્યસંસાર એવો ક્ષુદ્ર થઈ ગયો છે કે દમ્પતી વચ્ચે પ્રીતિનું મૂળ કામવાસના વિના કે પુત્રવાસના વિના અન્ય હોવાનો સંભવ પણ સ્વીકારતું નથી એવું ચંદ્રકાંત ક્‌હેતો હતો અને તેના ક્‌હેવામાં કોણ જાણે કેટલું સત્ય હશે ?

કુમુદ૦- ત્યાગ કાળે આપે દેશહિત દ્રવ્ય વિના કેવી રીતે કરવા ધારેલું ?

સર૦- સંસારમાં સ્થાને સ્થાને યાત્રા કરી, અવલોકન કરી, બોધ આપી,–

કુમુદ૦- ભગવાન બુદ્ધની પેઠે ?

સર૦– કંઈક એમ જ.

કુમુદ૦- હવે વિચાર શાથી ફર્યો ?

સર૦- નવા જોયલા રાફડાના ગઠ્ઠા એવા તો બાઝી ગયા છે કે તે પ્રકાશથી પીંગળે એમ નથી, અગ્નિથી બળે એમ નથી, ને કુહાડાથી ખોદી નંખાય એમ નથી. જ્યાં નાગલોકનાં મણિ અને વિષ પણ નિષ્ફળ થાય છે ત્યાં મ્હારા જેવાના શબ્દોદ્ગારની શી શક્તિ ? બુદ્ધ ભગવાનની


  1. *Tennyson's “In Memoriam.”
વાણી પ્રકાશમય જન્તુઓમાં ફરી વળતી હતી. આ કાળની વાણીનો જડ

રાફડાઓમાં પડઘો પણ નથી થતો.

કુમુદ૦– હવે કેઈ શક્તિ તમારી પાસે હોય તો કામ લાગે એવી છે?

સર૦– વિદ્યા, સાધુતા, અને લક્ષ્મી એ ત્રણ શક્તિયો જોઈએ તેમાં ત્રીજી નથી ને ચોથી તમારા હૃદયમાં છે તે જાણો છો.

કુમુદ૦– ત્રીજી ચોથી ન હોય તો ન જ ચાલે?

સર૦– સોમરસનું પાન જે સુઝાડે તે ખરું.

કુમુદ૦- કેવા પ્રકારનો સોમ ?

સર૦– દેશયજ્ઞમાં દેશપ્રીતિ એ જ સોમરસ.

કુમુદ૦– તે ક્યારે સુઝાડશે !

સર૦– એ રસથી આ હૃદયમાં સમુદ્રમન્થન થઈ ર્‌હેશે ત્યારે.

કુમુદ૦– આજ આપણે વિકાર વગર ફલાહાર લેઈ લીધો.

સર૦– દેશની પ્રીતિમાં વ્યક્તિની સ્થૂલ પ્રીતિ પેલા રાફડામાંના ફુહાડાની દશાને પામી.

કુમુદ૦- હું ત્યારે તમારા આ દેશપ્રીતિના નવા રાફડાનું પોષણ્ કરીશ ને તેના આ કુહાડાને તેમાં ડુબવા દેઈશ.

સર૦- મ્હેં તમને કહ્યું હતું કે તમે જે કંઈ કરશો તે શુદ્ધ અને સુન્દર્ જ હશે.

કુમુદ૦- હું તો આપની પાસે રહી શકવાના મ્હારા લોભી સ્વાર્થને માટે આમ કરવાની છું.

સર૦- સૂક્ષ્મ સુન્દર વાસનાઓમાંથી પારકાંનું પણ કલ્યાણ થવા પામે છે તેનું આ દૃષ્ટાંત.

કુમુદ૦- સૂક્ષ્મ કે સ્થૂલ સર્વ વાસનાઓની વાત જ ન કરવી; 'સ્વાર્થ' શબ્દ કરતાં 'વાસના' શબ્દ વધારે સૂચક અને ઉદ્દીપક છે.

સર૦– એમ લાગે છે.

કુમુદ૦- એ વિક્ષેપશક્તિનો જ વિક્ષેપ કરવાનો માર્ગ એ કે મ્હારે હવે જવું અને આપે આપનો લેખ હાથમાં લેવો.

સર૦- તમે કયારે આવશો ?

કુમુદ૦- સાધુજનો પ્રસાદ તૈયાર કરે છે તેમાં હું સહાયભૂત થઈશ ને સાયંકાળે આવીશ. સર૦– સાયંકાળ પણ સૂચક ને દીપક છે.

કુમુદ૦– હું ઉઠવા જાઉંછું ને જતી જતી બેસું છું. આપનો હાથ લાંબો થયો છે ને મ્હારો પાલવ તેમાં પકડાયો છે.

સર૦– અલકબ્હેન પાસે એ હાથને જે શક્તિયે પવિત્ર રાખ્યો તે આજ પણ રાખી શકશે.

કુમુદ૦- આપે આપની મેળે જ પાલવને છોડ્યો છે. મારા કરતાં આપની સમર્થતા વિશેષ છે.

સર૦- પવિત્ર ર્‌હેવામાં પણ આપણું અદ્વૈત જ સહાયક છે.

કુમુદ૦– એ પણ સત્ય છે. પણ શું આપણે એવાં અનાથ અને ક્ષુદ્ર પામર પ્રાણી છીયે કે ઘડી ઘડી આમ આટલા પ્રયાસ કરીયે છીએ ત્યારે જ આમ વ્યવસ્થિત રહી શકીયે છીયે?

સર૦– સર્વ સુવ્યવસ્થાનો લાભ અહંકારના ત્યાગથી, દીર્ધ સૂક્ષ્મ તપથી અત્યંત સાવધતાથી, અને સસિદ્ધસાધક બુદ્ધિપ્રયોગથી જ થાય છે. માન અને મદનો ત્યાગ કરી બુદ્ધિથી મુદિતાશયને માર્ગે પ્રવર્તવું એવી મને દીક્ષા છે.

કુમુદ૦– તેની સિદ્ધિ અસ્તુ ! હું આજ્ઞા માગું છું.

સર૦– જવાની ત્વરા જ છે ?

કુમુદ૦– પોતાનો પણ વિશ્વાસ નહીં ત્યાં ધર્મની ગતિ ત્વરિત કર્યાથી જ લાભ છે.

સર૦- મ્હેં તમને દુઃખમાં નાંખ્યાં તેને સટે તમે મ્હારું કલ્યાણ સાધો છો.

કુમુદ૦- ને સાથે મ્હારું પણ સાધું છું.

સર૦- ઈશ્વર તેમાં સિદ્ધિ આપો.