સરસ્વતીચંદ્ર ભાગ ૪/મોહનીમૈયાનો ઉગ્ર અધિકાર.

← અલખમન્દિરના શંખનાદ અને આયુષ્યની પૂર્ણાહુતિ. સરસ્વતીચંદ્ર ભાગ ૪
મોહનીમૈયાનો ઉગ્ર અધિકાર.
ગોવર્ધનરામ ત્રિપાઠી
બે યુગ વચ્ચેના પડદામાં પડતા ચીરા. →


પ્રકરણ ૪૭.
મોહનીમૈયાનો ઉગ્ર અધિકાર.


I, through the ample air in triumph high,
Shall lead hell captive, mauger hell, and show
The powers of darkness bound.-Milton,

જેચોકમાં ને કુંજવનમાં કુમુદસુન્દરીનું સાધ્વીઓયે સખીકૃત્ય કર્યું હતું તે જ સ્થાનમાં પ્રધાન કુટુંબને માટે મ્હોટા બેવડી કનાતના તમ્બુઓ માર્યા હતા, અને કુમુદ વસન્તગુફામાંથી નીકળી તે પ્હેલાં તો આ તમ્બુઓમાં એનું કુટુમ્બ દાખલ થઈ ગયું હતું. ત્યાંના કદમ્બવૃક્ષને વચ્ચે રાખી ચાર પાસ ચાર તમ્બુઓ ને વચ્ચે માંડવા અને રાવઠીઓ ઉભી કરી દીધી હતી ને છેટે કનાતના માંડવા રસોઈને માટે બાંધ્યા હતા.

મેાહની મૈયાને સંદેશો આ પ્હેલાંની રાત્રિએ ક્‌હાવ્યો હતો અને તંબુઓ આગળ પથરાઓ ઉપર ન્હાની શેતરંજીઓ પાથરી સર્વ દાતણ કરવા બેઠાં તે વેળા મોહની અંહી આવી, અને એને જોઈ દાતણ કરી રહેલી ગુણસુંદરી સામી ઉઠી.

“જય શ્રી યદુનંદન ”– કહી બે જણાં સામાસામી પથરાઓ ઉપર બેઠાં. મોહનીએ યદુનંદનનો પ્રસાદ પડીયામાં ભરેલો આપ્યો.

“સાધુજનોમાં શાંતિ અને સ્વસ્થતા છે ? – પરિવ્રાજિકાઓના ધર્મવ્યવહાર સુખથી નિર્વિદ્ય પ્રવર્તેછે ?” ગુણસુન્દરીએ પુછ્યું.

મેહની૦– મહારાજાની આણ વર્તે છે ને પ્રધાનજી હિતચિન્તન કરે છે ત્યાં સાધુજનોને બાહ્ય ભય તો નથી જ, અને વિષ્ણુદાસજી જેવા ગુરુજન જાગૃત છે ત્યાં સુધી પરિવ્રાજિકાઓ સાધુતાનો ઉત્કર્ષ જ અનુભવે છે.

ગુણ૦- મોહનીમૈયા, હું કાંઈ કાર્યસર આવી છું ને તેમાં તમારો આશ્રય શોધવાનો છે.

મેાહની૦- ગુણસુન્દરી જેવાં પ્રધાનપત્ની કાંઈ પણ સત્કાર્યની જ વાસના રાખશે. સામાન્ય જનને પણ સત્કાર્યમાં આશ્રય આપી સાધુજન કૃતકૃત્યતા માને છે તો આપની વાસનાની તૃપ્તિમાં તો સાધુજનોને એાર આનંદનું કારણ છે. ગુણ૦ –મ્હારાં માતા અને મ્હારાં બ્હેન ગણી તમારી સાથે વાત કરું છું.

મેાહની૦– પરિવ્રારાજિકામઠની અધિષ્ઠાત્રીને એવી વત્સલતાની ચિન્તાઓ પ્રકૃતિ થઈ પડી છે.

ગુણ૦- તમારી પાસે કાંઈ ગુપ્ત વાત ક્‌હેવી છે ને ગુપ્ત વાત પુછવી છે.

મોહની– દમ્પતીનાં પરસ્પર રહસ્ય વિના અન્ય વાત સાધુજનોને પોતાને ગુપ્ત નથી, તેમ વિશ્રમ્ભથી અને ગુપ્ત રાખવા દુ:ખી જનોએ ક્હેલી કથા ગુપ્ત રાખવી એ તો દુ:ખી જનને માટે પ્રથમ ઐાષધ છે તેમાં સાધુજનની વૈદ્યવિદ્યા ચુકે એમ નથી. બાકી આ તો આપનું જ મંડળ છે તેનાથી શું ગોપ્ય છે તે આ૫ જાણો.

ગુણ૦– આ મંડળથી કાંઈ ગોપ્ય નથી. મોહનીમૈયા, મધુરીમૈયા નામની બાલા તમારે ત્યાં છે ?

મોહની૦– એણે અમારા આતિથેયનો સત્કાર કર્યો છે, એ સર્વ સાધુજનોનું અને સાધ્વીઓનું જીવન થઈ પડી છે, અને પરમ દિવસ જ એ સ્વયંભૂ અભિલાષથી કન્થાધારિણી થઈ છે.

ગુણ૦- અમેં ડુબી ગઈ ધારેલી મ્હારી પુત્રી એ હોવાનો સંભવ છે.

મેહનીo – કમળમાં પરાગ ઉદ્ભવ પામે તો તે ઉચિત જ છે.

ગુણ૦– એનું મૂળ નામ કે એના કુટુંમ્બનું નામ કોઈ સાધુજન જાણે છે ?

મોહની૦– એક જાણે છે એ પોતે ને બીજા ગુરુજીના પરમ પક્ષપાતનું સ્થાન થયેલા પરમ સાધુજન નવીનચંદ્રજી જાણતા હોય એવું અનુમાન છે.

ગુણ૦– એ મ્હારી પુત્રી હશે તો સાધુજનોએ એને અમારે સ્વાધીન કરવી પડશે.

મેાહની૦- સ્વાધીન થવાની એની ઇચ્છા હશે તે સાધુજનોનો ધર્મ તેમાં અંતરાય થઈ પડવાને નથી. પણ સાધુજનોને શરણે આવેલી મધુરીને એની ઇચ્છા ઉપરાંત કોઈને સ્વાધીન કરવાનો સાધુજનોનો ધર્મ નથી અને તેમ કરતાં તેમના જીવ ચાલે એમ પણ નથી. સાધુજનને આશ્રિત થયેલાં સાધુ જીવનને દુભવવાને કે પોતાને વશ કરવાનો અધિકાર રત્નનગરીના મહારાજોને પણ નથી એ સુપ્રસિદ્ધ વાત આપનાથી અજાણી નહી હોય. સુન્દર૦- શું મોહનીમૈયા, આ મ્હારી કુમુદ તમારામાં સાધુડી થઈ ને ર્‌હેશે ને તમે અમને પાછી નહી સોંપો ?

મોહની સ્મિત કરતી બોલી : “સુન્દરગેોરી, અમે કોઈને શરણે લેઈએ છીયે ખરાં પણ પારકાને શરણે મુકતાં નથી.”

કુસુમ૦– હાશ, કાકી હાર્યાં, હવે તો કુમુદ ને કુસુમ બે જણ બાવીઓ થશે ને કાકીનું ચાલવાનું નથી.

ક્રોધમાં બોલવા જતી સુંદરને ગુણસુંદરીએ અટકાવી ને પોતે બોલી, “મોહનીમૈયા, તમે સત્ય બોલો છે, પણ મ્હારા જેવી માતાના હૃદયના દુઃખને શાંત કરવું તે તમારો ધર્મ છે.”

મેાહની૦– જો તે કાર્ય ધર્મથી સધાશે તે મોહની તેમાં સજ્જ છે. પણ, પ્રધાનપત્ની, માતાનો ધર્મ એ છે કે સંવનનથી વનિતા થઈ હૃદયથી વરેલા દયિત જનથી પુત્રીને છુટી કરવા પ્રયત્ન કરવો નહી. પણ મધુરી તમારી પુત્રી હોય તો તમે મધુરીને એક વાર વિયોગિની કરી, તે પછી એનો પરજન સાથે વઞ્ચના – વિવાહ કરાવી, એની પાસે પરગૃહમાં વાસ વસાવી, અને એક વાર આ મહાન્ અપરસ અનર્થ અધર્મ કરી, હવે ફરીથી એવું કાર્ય આરંભવા ઈચ્છશો તો સાધુજનો મધુરીનું પરમ રક્ષણ કરશે. જો મધુરી જાતે જ તમારી ઇચ્છાને આનંદથી સ્વીકારશે તો સાધુજનો તેને પતિત્યાગના પરમ અધર્મમાંથી નિવારવા ગુરુ પ્રયત્ન કરશે અને એ પ્રયત્નમાં નહી ફાવે તો મધુરીને અધર્મિણી અને સ્વૈરિણી ગણી એનો ત્યાગ કરવો ઉચિત ગણશે તે આપને પણ ગમશે. આપના ભયથી કે લજ્જાથી કે સ્ત્રીહૃદયની ગુહાઓ ઉપરના અનેક પટમાંના કોઈ પણ પટના આકર્ષણથી તે આપની જોડે આવવાની મુખથી હા ક્‌હેશે તો સાધુજનો એની અબળા જિવ્હાનો આધાર ન રાખતાં એના હૃદયના અંતર્ભાગની શુદ્ધ વાસનાને સૂક્ષ્મ ચિકિત્સા કરી જાણી લેશે. તે ચિકિત્સાને અંતે એને જો આપની જોડે આવવું ઇષ્ટ જણાશે તો સાધુજનો વાંધે નહીં પાડે; પણ સાધુજનોના શુદ્ધ ધર્મને અનુસરી નવીનચંદ્રજી સાથે કે અમારા મઠમાં ર્‌હેવાની એની અંતર્વાસના જણાશે તો સુન્દરગિરિ એને સુંદર આશ્રય આપશે, એ આશ્રય આપતાં સ્થૂલ બળના જે પ્રહાર પડશે તે સાધુજનો સહી લેશે, ને બાહ્ય શીતૌષ્ણયથી જેમ આપે એને નવ માસ સુધી ગર્ભમાં સુરક્ષિત રાખી હતી તેમ સાધુજનો એના આયુષ્ય-પર્યંત એને પોતાની વચ્ચોવચ, પરમ બળથી અને અલખના અધિકારથી, સુરક્ષિત રાખી શકશે ને રાખશે. પણ અધર્મ જેમાં પ્રાપ્ત નહીં થતો હોય એવો કોઈ માર્ગ આપને કે મધુરીની મધુર બુદ્ધિને સુઝશે તે યદુનન્દનના સર્વ પ્રસાદની સામગ્રી આપના દુઃખની શાન્તિને માટે સર્વથા સ્વાધીન સમજવી.

ગુણ૦– સાધુજનોનો અધિકાર એના ઉપર શી રીતે આવ્યો ? એનું વૈધવ્ય ગણો તો એણે શ્વશુરકુટુમ્બમાં જવું જોઈએ ને કૌમાર ગણો તો અમારી પાસે એણે વસવું જોઈએ એવી સંસારની વ્યવસ્થા છે, ધર્મશાસ્ત્રનો આદેશ છે, ને મહારાજ મણિરાજની સાર્વજનિક આજ્ઞા છે. સાધુજનો સાધુજનો ઉપર પોતાને અધિકાર વાપરે તે યોગ્ય છે. પણ સંસારીયોનાં કુટુમ્બ ઉપર તમે અધિકાર વાપરો તેથી તમારી મર્યાદાનું ઉલ્લંઘન નહી થાય ? ક્રોધ ન કરશો.

મેહનીo– “પ્રધાનપત્નીજી, પ્રશ્ન પુછો છો તેમાં સાધુજનો શા માટે ક્રોધ કરે ? તેમાં આ તો ઉચિત પ્રશ્ન છે. તો ઉત્તર સાંભળો. સંસારને માટે બંધાયલાં ધર્મશાસ્ત્રમાં તો न स्त्री स्वातन्त्र्यमर्हति એટલે સુધી છે; પણ અલખ માર્ગનું ધર્મશાસ્ત્ર સ્ત્રીને અધ્યાત્મ દૃષ્ટિથી જુવે છે ને આ સૂત્રને ક્ષુદ્ર ગણે છે. સંસારની વ્યવસ્થા તો ત્રીશ વર્ષના પુત્રને પણ માતાપિતા પાસે બાળક ગણાવે છે ને એવા પુત્ર ઉપર સંસારી માતાપિતા આજ્ઞા કરતાં લજ્જાનું કારણ જોતાં નથી. અલખ યોગીયોની મઠવ્યવસ્થામાં વયોબાલ યુવાન થાય છે તેની સાથે પોતાના હૃદયકમળમાં ર્‌હેલા પરમજ્યોતિને પ્રત્યક્ષ કરે છે ને એ જયોતિના પ્રકાશને મનુષ્યની આજ્ઞાથી અવચ્છિન્ન કરવો કે અસ્વતંત્ર કરવો તેને અમારો સાધુસંપ્રદાય એક મહાન્ અધર્મ અને અનર્થ માને છે. મહારાજ મણિરાજની આજ્ઞાઓ સંસારમાં આવશ્યક છે પણ સુંદરગિરિ ઉપરના સાધુજન સાધુતાને વશ ર્‌હે ત્યાં સુધી મહારાજની આજ્ઞાઓ પણ માત્ર સૂચનારૂપ ગણાય છે એવા વિચાર, લેખ, અને આચાર પરાપૂર્વથી છે.

“ચંદ્રાવલીમૈયાને આપનો સંદેશો કાલ પ્હોચ્યો હતો તે એમણે મને વિદિત કર્યો હતો તે ઉપરથી આપને દર્શાવવાને માટે આ લેખોમાંના પ્રતિલેખ [૧]પરિવ્રાજિકા મઠમાં રહે છે તે મ્હેં આણ્યા છે તે દેખાડીશ. જે શરીર બાળક છે ને સંસારીને ત્યાં જન્મ પામેલું છે તેના ઉપર અમારો અધિકાર નથી. પણ એ શરીર બાળકવય મુકી તરૂણ થઈ અમારો આશ્રય શોધે ને અમે આપીયે તો એ શરીર ઉપર તેનાં જનકજનનીના અને સર્વ સાંસારિક સંબંધીયોના સંબંધ ત્રુટી જાય એવો અમારો અધિકાર આ


  1. ૧. નકલ

લેખોએ વારંવાર સિદ્ધ કરેલ છે. મહારાજ મણિરાજનું બાળક તરુણ થઈ આ સ્થાને શરણ માગે તો તેના ઉપર પણ અમારે અધિકાર પ્રાપ્ત થાય છે ને મહારાજની આજ્ઞાઓ તેને પ્હોચતી નથી.”

સુંદર વ્હીલી અને દુઃખી થઈ બોલી: “ત્યારે શું મ્હારી કુમુદ અમારી મટી ?”

મોહની૦– સુંદરગૌરી, શા માટે શોક કરો છો ? એ મમતામૂલક પ્રશ્ન અમારે ત્યાં નિષ્ફળ છે. સાંસારિકી મમતાનો અમે ત્યાગ કરીયે ને કરાવીએ છીએ.

સુંદર૦- ત્યારે શું કુમુદનું કલ્યાણ કરવાનો અમારો અધિકાર ઉતરી ગયો ?

હસીને મોહની બોલી : “તમે વળી કયે દિવસે એ અધિકાર તમારી પાસે રાખ્યો છે જે ? તમે વિવાહની વઞ્ચના કરી એના ક્‌હેવાતા પતિને એને સોંપી દીધી તે દિવસથી તમારો અધિકાર તમે એ ક્‌હેવાતા પતિને સોંપી દીધો. તમારી પાસે તે હવે ક્યાં છે ? સત્ય જોતાં તો એ સોંપવાનો અધિકાર પણ તમારી પાસે તમે માન્યો તે તમારો મહાન્ દૃષ્ટિદોષ થયો, એ દોષ જે કાર્યનું કારણ થયો તે મહાન્ અને ક્રૂર અધર્મ થયો, એથી તમારી નિર્દોષ પ્રિય પુત્રીને જે પ્રહાર વેઠવા પડ્યા તેથી સિદ્ધ થયું કે તમે એનું કલ્યાણ કરવાને શક્તિહીન છો, અને જે કલ્યાણ કરવા માતાપિતા અશક્ત નીવડ્યાં તે કલ્યાણ અમ સાધુજનોએ એને પ્રાપ્ત કરાવ્યું. હજી વધારે સૂક્ષ્મ વિચાર કરો તો આ અધર્મ અને અકલ્યાણનું પાપ આવી વ્યવસ્થાની કારણભૂત રાજનીતિને અને એ નીતિ પાળનાર રાજાને પણ સ્પર્શે છે, ભારતવર્ષના મહારાજ , ભરતના પિતા દુષ્યન્તનું વાક્ય છે [૧] કે જ્યારે જ્યારે માતાપિતા આદિ સ્નિગ્ધ સંબંધીઓને મ્હારી પ્રજાનો વિયોગ થશે ત્યારે ત્યારે તેમનું અપાપ સંબંધિકૃત્ય હું કરીશ. આ વિયોગ તો કેવળ મૃત્યુજન્ય નહી પણ બુદ્ધિભ્રરમાદિજન્ય ગણવો એટલે બુદ્ધિભ્રમથી માતાપિતાદિક વર્ગ પુત્રાદિકનું સ્નેહથી કલ્યાણ કરવું મુકી દે ત્યારે પણ એ સ્નેહમય માતાપિતાદિનો પુત્રાદિકને વિયોગ થયો જ ગણવો; અને એ માતાપિતાદિકે પડતું મુકેલું કાર્ય રાજાએ આરંભવું એવું અમારા પ્રાચીન રાજધર્મવેત્તાઓ લખી ગયા છે.


  1. १. येन येन वियुज्यन्ते प्रजाः स्निग्धेन बन्धुना ।
    स स पापादृते तासां दुष्यन्त इति घुष्यताम ॥
    (शाकुन्तल)
આપણા મહારાજ એ ધર્મ પાળતા નથી તે તમારી ભ્રષ્ટ સંસારને

ગમતું હશે, પણ અમારા સુન્દરગિરિ ઉપર તો મહારાજે પડતો મુકેલો એ ધર્મ પાળવાનું કામ અમે ત્રિમઠનું અધિષ્ઠાતૃમંડળ કરીયે છીયે ને એવા એવા રાજધર્મથી સાધુજનોનાં કલ્યાણ સાધીયે છીયે. સુન્દરગૌરી, તમે મધુરીનું જે કલ્યાણ ધારો છો તે તેના હૃદયને પણ કલ્યાણરૂપ ભાસશે તો અમે એના હૃદયનાં જ્યોતિને પરવશ નહી કરીયે, પણ તેમ નહી હોય તો તમે તેને પરવશ કરો એવું થવા પણ નહી દઈએ.

ગુણ૦– મ્હારા સ્વામીનાથે તમારો આ અધિકાર મને કહી દીધો છે ને એ અધિકારને વશવર્ત્તિની થઈને તમારો આશ્રય માગવાનું કહ્યું છે.

મોહની૦– તેઓ શુદ્ધધર્મજ્ઞ છે.

ગુણ૦– તો તમે કેવે પ્રકારે આશ્રય આપી શકશો ?

મોહની૦- ગુરુજીની આજ્ઞાથી નવીનચંદ્રજી ચિરંજીવશૃંગ ઉપર વસતા હતા અને અમારા સખીકૃત્યથી મધુરી મૈયાને તેમનાં દર્શનનો ને સમાગમનો લાભ થયલો છે. મધુરીમૈયાએ કન્થા ધારી તે પણ આ પુણ્ય સમાગમનું જ ફળ થયું છે. નવીનચંદ્રજી અત્યારે ત્યાંથી પાછા ફરી ગુરુજી પાસે ગયા હશે, અને મધુરીમૈયાને લેઈ ચન્દ્રાવલીમૈયા અમારા મઠમાં પાછાં આવશે. મ્હારું કામ ન હોય તો હું ત્યાં જઈ તેમને અંહી મોકલીશ, અને મધુરીમૈયા આપની પુત્રી જ નીવડે તો તેના હૃદયની ઇચ્છા જાણી લેઈ ચન્દ્રાવલીને ક્‌હેશો, અને તેનાથી તે જાણી, શો નિર્ણય કરવો તે વિચારવા હું સમર્થ થઈશ.

સુન્દર૦– કુમુદ અમારે ઘેર આવવાની હા ક્‌હેશે ત્હોયે તમે એને નહીં આવવા દ્યો ?

મેાહની૦– એ હા એના હૃદયની હશે તો આવવા દેઈશું – નીકર નહી. એનું મુખ એના હૃદયનો મન્ત્ર પ્રકટ કરે છે કે નહી તે અમારે વિચારવાનું.

સુન્દર૦– ઠીક ભાભીજી, એટલી છોકરી ક્‌હેશે તે ખરું ને તમે એનાં મા ક્‌હેશો તે ખોટું. આપણે કોઈને મળ્યા વિના અંહીથી જ પાછાં જઈયે તો હવે શું ખોટું ? એ રાંક છોકરીને આ બાવાબાવીઓયે સાંઢ જેવી કરી.

મેાહની૦– તમને ન રુચતું હોય તો પણ અમે અવશ્ય એ મહાફળ સાધ્યું છે ને તમારે જવું કે ર્‌હેવું તે તમારી સ્વતંત્રતાની વાત છે. ગુણ૦– મોહનીમૈયા, ચિરંજીવશૃંગ ઉપર કુમુદ નવીનચંદ્ર જોડે કેવી જાતના સંસર્ગથી રહી હતી ?

મોહની૦– અન્ય જનથી તો તે ગોપ્ય જ હોવું જોઈએ. પણ તમે તેની જનની છો ને ચંદ્રાવલી ખરા સમાચાર જાણતાં હશે તો તમને આ વાત ક્‌હેશે.

ગુણ૦– કુમુદને તમારે ત્યાં ર્‌હેવાનું ઠરે તો ક્યાં રાખશો ?

મેાહની૦– વિહારમઠમાં નવીનચંદ્રજી જશે તો તેની સાથે, ત્યાં નવીનચંદ્રજી નહી જાય તો મધુરીમૈયા મ્હારી સાથે પરિવ્રાજિકામઠમાં ર્‌હેશે, અને ગુરુજી અન્યત્ર વાસ આપશે તો ત્યાં જશે, પણ જ્યાં જશે ત્યાં સુંદરગિરિની છાયામાં ર્‌હેશે.

ગુણ૦– જ્યાં સુધી અમે આ સ્થાનથી રત્નનગરી જઈએ ત્યાં સુધી અને અમને અવશ્ય લાગે તો તે પછી કુમુદનું નામ અને તેનો અમારો સંબંધ ગુપ્ત રાખવાનું બનશે ? તમે જેને પુણ્ય સમાગમ ક્‌હો છો તેને અમે અધોગતિ કહીયે છીયે તે વસ્તુ કુમુદ પામી હોય તો તેને પણ ગુપ્ત રાખી શકશો ?

મોહની૦– એનો પૂર્વાશ્રમ પ્રકટ ન કરવો એ તો અમારો ધર્મ જ છે. એનો સમાગમ જાતે સર્વને પ્રત્યક્ષ થશે તો અમે તટસ્થ રહીશું ને પરેાક્ષ ર્‌હેશે તો અમે પ્રકટ નહીં કરીયે. તેને ઉન્નતિરૂપ ગણવો કે અધોગતિરૂપ ગણવો એ તો હૃદય હૃદયનો પોતાનો જેવો અધિકાર.

ગુણ૦– એટલું બહુ છે, તેટલું ગુપ્ત રાખજો ને તમે જઈને એને મોકલો.

મોહની૦– અમારા અધિકારના ઉલ્લેખ આપને જોવા છે ?

ગુણ૦- એ જોવા કરતાં ન જોવા સારા છે. કુસુમ, એમાં ત્હારે વાંચવા જેવું નથી – જે હોય તે એમને આપી દે.

કુસુમ આપતી આપતી વાંચતી રહી નહી ને મ્હોટેથી વાંચતી વાંચતી એક પછી એક પત્ર આપતી ગઈ.

“These anchorites live an innocent, free, unalloyed holy and refined life which is quite anomalous, not only in this province, but in the whole of modern India. Probably they are a relic of some very ancient stage of the glorious days of Indian civilization. The Chiefs of this State have always not only extended to them liberal assistance and encouragement;but they have also, with genuine veneration, allowed to them all the sphere and privileges of self-government and all the protection against any trespasses by a depraved outside world, which a microscopic but nobly planned indigenous republic might have the rare luck of desiring and enjoying in the midst of the semi-barbarous age surging outside their castle-walls. The British Government has therefore wisely, not only confirmed, but even guaranteed the independence and integrity of this body of holy men, lest a change of views among the rulers of the State should ever tempt any future incumbents of the gadi to contaminate or crush so noble and well-deserving an institution.”- Extract from the Correspondence of the British Representative to H. H. the Maharaja of Nagaraja.”