← ઓતારદા વાયરા, ઊઠો! સિંધુડો
કોઈનો લાડકવાયો
ઝવેરચંદ મેઘાણી
વિદાય →


કોઈનો લાડકવાયો

રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે,
કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે:

ઘાયલ મરતાં મરતાં રે
માતની આઝાદી ગાવે.

કો'ની વનિતા, કો'ની માતા, ભગિની ટોળે વળતી,
શોણિતભીના પતિ-સુત-વીરની રણશય્યા પર લળતી;

મુખથી ખમ્મા ખમ્મા કરતી
માથે કર મીઠો ધરતી.

થોકે થોકે લોક ઊમટતા રણજોદ્ધા જોવાને,
શાહબાશીના શબદ બોલતા પ્રત્યેકની પિછાને;

નિજ ગૌરવ કેરે ગાને
જખ્મી જન જાગે અભિમાને.

સહુ સૈનિકનાં વહાલાં જનનો મળિયો જ્યાં સુખમેળો,
છેવાડો ને એક્લવાયો અબોલ એક સૂતેલો;

અણપૂછ્યો અણપ્રીછેલો
કોઇનો અજાણ લાડીલો.

એનું શિર ખોળામાં લેવા કોઇ જનેતા ના’વી;
એને સીંચણ તેલ-કચોળાં નવ કોઇ બહેની લાવી;

કોઇના લાડકવાયાની
ન કોઇએ ખબરે પુછાવી.

ભાલે એને બચીઓ ભરતી લટો સુંવાળી સૂતી,
સન્મુખ ઝીલ્યા ઘાવો મહીંથી ટપટપ છાતી ચૂતી:

કોઇનો લાડકવાયાની
આંખડી અમૃત નીતરતી.

કોઇના એ લાડકવાયાનાં લોચન લોલ બિડાયાં,
આખરની સ્મૃતિનાં બે આંસુ કપોલ પર ઠેરાયાં:

આતમ-દીપક ઓલાયા,
ઓષ્ટનાં ગુલાબ કરમાયાં.

કોઇનાં એ લાડકડા પાસે હળવે પગ સંચરજો,
હળવે એનાં હૈયા ઉપર કર-જોડામણ કરજો:

પાસે ધૂપસળી ધરજો,
કાનમાં પ્રભુપદ ઉચ્ચરજો!

વિખરેલી એ લાડકડાની સમારજો લટ ધીરે,
એને ઓષ્ઠ-કપોલે-ભાલે ધરજો ચુંબન ધીરે:
સહુ માતા ને ભગિની રે!
ગોદ લેજો ધીરે ધીરે
વાંકડિયાં એ જુલ્ફાંની મગરૂબ હશે કો માતા,
એ ગાલોની સુધા પીનારા હોઠ હશે બે રાતા;
રે! તમ ચુંબન ચોડાતાં
પામશે લાડકડો શાતા.
લાડકડાની પ્રતિમાનાં છાનાં પૂજન કરતી,
એની રક્ષા કાજ અહર્નિશ પ્રભુને પાયે પડતી,
ઉરની એકાન્તે રડતી
વિજોગણ હશે દિનો ગણતી.
કંકાવટીએ આંસુ ઘોળી છેલ્લું તિલક કરતા,
એને કંઠ વીંટાયા હોશે કર બે કંકણવંતાઃ
વસમાં વળામણાં દેતા,
બાથ ભીડી બે પળ લેતા.
એની કૂચકદમ જોતી અભિમાનભરી મલકાતી,
જોતી એની રુધિર-છલકતી ગજ ગજ પહોળી છાતી,
અધબીડવાં બારણિયાંથી
રડી કો હશે આંખ રાતી.
એવી કોઈ પ્રિયાનો પ્રીતમ આજ ચિતા પર પોઢે,
એકલડો ને અણબૂઝેલો અગન-પિછોડી ઓઢેઃ
કોઈના લાડકવાયાને
ચૂમે પાવકજ્વાલા મોઢે.
એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ-ખાંભી,
એ પથ્થ૨ ૫૨ કોતરશો નવ કોઈ કવિતા લાંબી;
લખજો: ખાક પડી આંહીં
કોઈના લાડકવાયાની’

1930, કારાવાસમાં, સાબરમતી જેલમાં અબ્બાસ સાહેબની વિદાયની સાંજરે સ્નેહ- સંમેલનમાં શ્રી દેવદાસ ગાંધીએ જૂની રૉયલ રીડરમાંથી મૅરી લા કોર્સ્ટ નામનાં કોઈ અજાણ બાઈનું રચેલું કાવ્ય 'સમબડીઝ ડાર્લિંગ' વાંચી સંભળાવેલું. તેણે પેદા કરેલા મંથનનું પરિણામ. અત્યારના આપણા સમયને અનુરૂપ ભાવ આપેલો છે. મારી આંખોનાં ખીલ ઠોલાવેલાં તે દિવસે જ લગભગ આંધળા આંધળા લખેલું હતું. મારું ઘણું જ લાડકવાયું ગીત, મારા કંઠના મુક૨૨ સૂરોમાંથી જ ઉદ્ભવેલું અને એ જ સૂરો વડે સતત સીંચાયેલું, તેને જ્યારે હું કાલીંગડા અને મરાઠી સાખીના મૂળ સૂરને બદલે ભૈરવીમાં ગવાયેલું સાંભળું છું, ત્યારે મારું પ્રિય સંતાન રિબાતું હોવાની વેદના મને થાય છે.