અખેગીતા/કડવું ૨૬ મું - શૂન્યવાદીનો વિતંડાવાદ

←  કડવું ૨૫ મું - પરબ્રહ્મનો ભેદ અખેગીતા
કડવું ૨૬ મું - શૂન્યવાદીનો વિતંડાવાદ
અખો
કડવું ૨૭ મું - જ્ઞાનીના અનુભવનો લક્ષ →


કડવું ૨૬ મું - શૂન્યવાદીનો વિતંડાવાદ

રાગ ધન્યાશ્રી

હવે કહું અધમ એ શૂન્યવાદીજી, જેને શૂન્યની શુધ્ધ ન લાધીજી;
પ્રપંચ ન ટળ્યો નિંદા વાધીજી, તેણે મિથ્યા બુધ્ધિ સાધીજી. ૧

પૂર્વછાયા

તે પ્રપંચને મિથ્યા કહે, પણ હૃદે જગત સાચું સહી;
અધમ નામ તે માટે એહનું, જે શૂન્યવાદીએ પૂરા નહિ. ૧

તે કરતવ્યથી નવ ઓસરે[૧], ઉત્તમ તજે ને મધ્યમ ભજે [૨];
દેહઆસક્ત [૩] રહે સદા, સુખદુઃખ પામે જયવિજે[૪]. ૨

જુગતે[૫] જગતના દોષ દેખે, પોતાપ્રતે[૬] તે વસે;
અજ્ઞાનને તે જ્ઞાન માને, ઈંદ્રિના સુખને ધસે[૭]. ૩

ક્યારે કહે એ આતમા, ક્યારે કહે એ શૂન્ય છે;
ક્યારે એ જગત સાચું, ક્યારે કહે એ મુન્ય[૮] છે. ૪

વાદ કરે એ તે સહુજ સાથે, નિંદે પણ લક્ષ નવ લહે;
બ્રહ્મવિદ્યાનો ભેદ ન જાણે,વેદ વિટલ[૯] તેહને કહે. ૫

નાસ્તિ[૧૦] કહે નારાયણને, પણ પ્રપંચ [૧૧] ન છુટે મનથી;
સંસારનાં સુખ અતિ વલ્લભ[૧૨], મન ગયું પાપપુન્યથી. ૬

નમે નહિ મહાપુરૂષને, દોષ દીએ છે અણછતાં [૧૩];
અજ્ઞાનને આગળ કરિને, પ્રબોધે પોતે હુંતા [૧૪]. ૭

આચાર્ય થઇને અન્યને, વાત કહે તે નાસ્ત્યની[૧૫];
ભાવભરોસો નહીં જ દેહનો, જુગત ન સમઝે આસ્ત્યની[૧૬]. ૮

અધમ શૂન્યવાદીનાં એજ લક્ષણ, તે શૂન્યવાદી પૂરા નહી;
ખરા શૂન્યવાદી તેહને કહીએ, વસ્તુવિશ્વ બે ન કરે સહી [૧૭]. ૯

કહે અખો સહુકો સુણો, એ સમજે સુખ બહુ જંતને;
સમી સમજણ તેહ સમજે, જે સેવે હરિ-ગુરુ-સંતને. ૧૦


  1. પાછા હઠે.
  2. સેવે
  3. શરીરમાં અતિ પ્રીતિવાળા
  4. જયને પરાજયમાં
  5. યુક્તિથી.
  6. પોતાનામાં.
  7. દોડે.
  8. ન કહી શકાય એવું.
  9. ઠગ.
  10. નથી.
  11. જગત.
  12. વહાલાં.
  13. ન હોય એવા
  14. હું પણા વડે.
  15. નાસ્તિકની
  16. આસ્તિકની
  17. સત્ય.