કલાપીનો કેકારવ/મૃત પુત્રી લાલાંની છબી દ્રષ્ટીથી ખેસવતાં

← પશ્ચાત્તાપ કલાપીનો કેકારવ
મૃત પુત્રી લાલાંની છબી દ્રષ્ટીથી ખેસવતાં
કલાપી
વિના કૈં પાપ પસ્તાવું →


મૃત પુત્રી લાલાંની છબી દ્રષ્ટીથી ખેસવતાં

લાલાં! જોયું તુજ મુખ બહુ આજ વ્હાલી છબીમાં;
વર્ષો વીત્યાં, છબી પણ હવે છેક ભુંસાઈ, લાલાં!
ત્હારા મ્હોંની તુજ છબી હવે વાત કાંઈ કહે ના,
એ તો લાગે મુજ નયનને અન્યનું ચિત્ર, લાલાં!

બાપુ! ત્હારી મરણતિથિથી આજ યાદી થતાંમાં
હૈયે જાગે સ્ફુટ છબી અને આંખમાં આંસુ આવ્યાં;
છેલ્લે ચુમ્બી તુજ પ્રતિકૃતિ દૂર, લાલાં! કરૂં છું,
ભૂલી જાવું દુઃખ ઉચિત છે કાળથી જે ભુલાયું.

ના લેણું તો ઘટિત નહિ તે વ્યર્થ શી ઉઘરાણી?
લાલાં! શાને દુઃખની કરવી વ્યર્થ વીતેલ ક્‌હાણી?
લાલાં! અર્પી પ્રભુપદ કને પુષ્પની જે કલી મેં
તેને માટે મુજ નયનમાં આંસુડું હોય શાને?

રોયો છું હું - જિગર નબળું યોગ્યતા બ્હાર રોયું,
તું જાણે તો દુઃખ પણ તને થાય એવું રડ્યો છું;
એ રોવું, એ સ્મરણ કરવું યોગ્ય સંસારમાં ના,
રોવાથી કૈં વધુ જરૂરનાં કાર્ય છે સાધવાનાં.

લાલાં! તું તો રુદન હસવું સર્વ ભૂલી ગઈ છે,
વા આ મ્હારૂં સુખ દુઃખ સહુ મોહ માની હસે છે;
એ શાન્તિનું સ્મરણ કરતાં યોગ્ય છે શાન્ત ર્‌હેવું,
ત્હારા જેવું જીવન જીવતાં ગાળવું યોગ્ય, બાપુ!

કો વિક્ષેપે મુજ નયન આ ત્હોય ભીંજાય જ્યારે,
લાલાં! ત્હારૂં મુખ ફરી ગફરી આવશે યાદ ત્યારે;
આંસુડાં એ ખરી પણ જશે પ્રેમ વૈરાગ્યનાં બે,
વ્હાલી લાલાં! ક્યમ મળી શકે જ્ઞાન શાન્તિ પરાણે?

૮-૬-૧૮૯૬