← અરવિન્દ. તરલા
લીલા.
ભોગીન્દ્ર દિવેટીયા
મેદાનીયા. →


પ્રકરણ ૫ મું.

લીલા.

વસન્તલાલે અરવિન્દને મુંબઈ આવવાનું કારણ પૂછ્યું ત્યારે પહેલાં તો વાત ઉરાડી. લીલાના હાથની માગણી કરવા આવ્યો છું, એમ બોલી શકાયું નહી. આમ છતાં મુંબાઈ આવવાનું આ શિવાય બીજુ એક્કે કારણ નહોતું. લીલા અને અરવિન્દના કુટુંબ વચ્ચે સંબંધ નવો કે ઉપલકીયો નહોતો. લીલાનો ભાઈ અને અરવિન્દ બન્ને એલ્ફીન્સ્ટન કૉલેજમાં સાથે ભણતા, સાથે ઉઠતા બેસતા. અરવિન્દ અનેક વાર લીલાને ત્યાં જમ્યો હતો, રહ્યો હતો, અને કુટુમ્બનો જ માણસ હોય તેમ આવતો જતો. કાળે કરી, રોજના અવરજવરથી એકાદ છોકરી અરવિન્દ સાથે પરણે તો ખોટું નહી એમ કુટુમ્બનાં વડિલોને થયું. આ વાત અરવિન્દને કાને આવી, અને કાને આવતાં કાંઈ નવી જ વૃત્તિ ઉદ્દભવી [૧] મ્હોટી કન્યા ચંદા મ્હોટી પડે એમ ધારી ચંદા વસન્તલાલને દેવાઈ. બીજી કન્યા એક ધનાઢ્યને દેવાઈ. ત્રીજી કન્યા લીલા બાળક હતી અને અરવિન્દને એ કન્યા આપવા વિચાર ચાલતો હતો. અરવિન્દના ઘરમાં વડીલમાં એક વિધવા બહેન શિવાય કોઈ નહોતું. કૉલેજના અભ્યાસ દરમિયાન જ્યારે જ્યારે મુંબાઈ આવતો ત્યારે ત્યારે મિત્રદાવે તો લીલાને ત્યાં જ ઉતરતો. પરંતુ દુર્ભાગ્યે પ્લેગમાં ચંદા-લીલાનો ભાઈ ગુજરી ગયો અને અરવિન્દનો પગ ભારે પડ્યો. હવે કોની પાસે જવું એમ એના મનમાં થયું. આમ છતાં લીલાને પત્ની બનાવવાનો મોહ ખસ્યો નહી. અરવિન્દને કાઠિયાવાડમાં જુનાગઢ પાસેના એક નાના ગામમાં જાગીર હતી. એની ઉપજ એક તાલુકદાર જેવડી હતી. પોતે કેળવાયેલો હતો. એમર્સન, હ્યુગો, રૂસો, વૉલ્ટર, બર્કનો અભ્યાસી હતો. જુનાં શાસ્ત્રો, ધર્મપુસ્તક વાંચ્યાં હતાં. એટલે એ શાંત જીવનનો શોખીન હતો. જાગીર સાચવતો, ગરીબ વર્ગની સંભાળ લેતો અને દુનિયાની ધાંધલ–પ્રવૃત્તિથી દૂર ને દૂર રહેતો. મુંબઈ આવ્યો, લીલાને જોઈ. સગાઈ-લગ્નનું નક્કી હતું ત્યાં એક દિવસ અરવિન્દ એક જાહેર મીટીંગમાં ગયો. ત્યાં પોતાની સાથે જ કોલેજમાં ભણનારા કેટલાક મળી આવ્યા. કેટલાક નવી ફેશનમાં હતા. કેટલાક પ્રોફેસરો હતા તો કેટલાક બારીસ્ટરો, વકીલો, પત્રકારો, અમલદારો. આ જોતાં અરવિન્દને પોતાને માટે તિરસ્કાર આવ્યો. ‘મ્હને લીલા મળશે ખરી ? મ્હારામાં શું છે? મ્હારાં લુગડાં ક્યાં ને આ બધાનાં લુગડાં ક્યાં ? હું એક ગામડીયો ખેડુત–દુનિયા ક્યાં ચાલે છે તેનું ભાન નહી ને મ્હને લીલા આપે ? લીલા માટે તે કોઈ બારીસ્ટર કે ઓફીસર યોગ્ય. એ બીચારી ગામડામાં મ્હારી સાથે રહી શું સુખ ભોગવવાની છે? ત્યાં ફેશનેબલ બૂટ કે સાડી પહેરી ક્યાં જવાનું? નથી ત્યાં નાટકશાળા કે નથી ત્યાં પાર્ટી, મુંબાઈ જેવી સડકો ક્યાંથી લાવવી ? ના, એ તો વાત જ મૂકી દેવી એમાં મજાહ છે.’ આમ વિચારી પોતાની જાત માટે હલકો અભિપ્રાય બાંધી એમને એમ કાઠીયાવાડ ચાલ્યો ગયો. લીલાની મા, ચંદા અને મિત્રોએ બહુએ વાટ જોઈ પણ એના જતા રહેવાનું ખરું કારણ કોઈ સમજ્યું નહીં.

વળી બે ત્રણ મહિના થઈ ગયા. અરવિન્દ ગામડામાં એકલો પડ્યો. કાવ્યોમાં સ્નેહની ખૂબી વાંચવા લાગ્યો. ‘પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડીસ’ નામના પુસ્તનું પહેલું વાક્ય ખરું લાગ્યું, સંસારમાં થરે પડેલાને પત્નીની આવશ્યક્તા છે. ત્યારે લીલા શિવાય બીજું કોણ યોગ્ય હોઈ શકે? લીલા સાંભરતાં, લીલાની રમતીયાળ, પ્રેમાળ, સુંદર મૂર્તિ નજર આગળ તરી આવી. હૃદયમાં દબાઈ રહેલી લાગણી ઉછળી આવી અને એ ધોધ બ્હાર આવતાં આટલો સમય કેમ રહેવાયું હશે ? હવે તો લીલા વિના ક્ષણવાર જીવાય નહી એમ થયું. અને એ લાગણીના જોરે, ઉર્મિના આવેગે અરવિન્દને અસ્વસ્થ બનાવ્યો. દિવસ ને રાત્રી અશાંતિમાં કાંઇ ત્હેને સૂઝતું નહી. રાત્રીએ નિદ્રા ખોઈ–સર્વત્ર લીલા લીલા જ જોવા લાગ્યો. વૃત્તિને કબજે રાખવા બહુ બહુ પ્રયત્નો કર્યા. આખરે આ પાર કે પેલે પાર એમ નિશ્ચય કરી ભવિષ્ય જાણવા મુંબાઈ ફરીને આવ્યો.

  1. ૧. જાગૃત થઈ.