બીરબલ અને બાદશાહ/શું પ્રીયા રીસાઈ જાય છે ?

← કવીની બલીહારી બીરબલ અને બાદશાહ
શું પ્રીયા રીસાઈ જાય છે ?
પી. પી. કુન્તનપુરી
ચોરાની ચતુરાઈ ચતુર આગળ ચાલે નહીં →


વારતા બીઆસીમી.
-૦:૦-
શું પ્રીયા રીસાઇ જાય છે ?
-૦:૦-

બુદ્ધિ તણું હજુ તોલ કોઇ, કરી ન શક્યો જગ માંય.

એક વખતે શાહ રંગભુવનમાં રાણી સાથે પ્રેમ ક્રીડા કરતો હતો. પ્રેમમાં મસ્ત બનેલો પ્રેમી શાહ પોતાની પ્રિયાંગનાને પ્રેમભાવથી એક પાનનું બીડું પોતાને હાથે ખવરાવ્યું તેથી પોતાના પ્રાણનાથને માન આપવા બીચારી ઉભી થઇ, પણ શાહના મનમાં કાંઇ વીચક્ષણ પ્રકારનો વીચાર સુઝી આવ્યો કે, શું પ્રીયા રીસાઇને ચાલતી થાય છે !' એમ વીચારી એકદમ તેને પ્રેમાલિંગન આપી તેણીના ચંદ્ર સરખા મુખનું ચુંબન કરી પોતાનો પ્રેમ પ્રદરશીત કર્યો. અને પોતાના ખોળામાં બેસાડી શશીવદનીના મુખ તરફ જોયું. તે નિહાળી રાણીએ તીરછી નેણથી મંદ હાસ્ય કરયું, તે વખતે તેણીના મુખમાંથી તંબોળ રંગનું બુંદ નીકળી હડપચી પર પડ્યું, તે લાલ રંગનું બુંદ ગોરા મુખને અત્યંત શોભાવતું હતું. તેથી તેજ વખતે એક પાદ પુરતી સમશ્યાનું અરધું ચરણ રચ્યું કે, 'માનો ચંદકોં ચીર કસુંભ ચુવાયો.'

પ્રેમ રંગની મોજ લુટી શાહ દરબારમાં દાખલ થઇ સકળ સભાને ઉક્ત સમશ્યાના અરધા ચરણ માટે પાદ પુરતી કરી આપવા કહ્યું. પણ દરબાર મધેના કોઈ પણ વિદ્વાને રાજાના મનના ભાવ પ્રમાણે પાદ પુરતી કવીતા નહીં કરી શકવાથી શાહે બીરબલને કહ્યું. બીરબલે તરત નીચે પ્રમાણે પાદ પુરતી કવીતા કહી સંભળાવી.

એક સમે પિયુને મુખમેં કર ખોલકે આપ તંબોળ ખવાયો;
ચંદ્રમુખી નુખરે અપના કર હીકે જોરહી શીશ નમાયો.
લોલનલાલ જીયે હિતસોં ઉમંગી છતિયા જીયરા હુલસાયો,
મુસકાતે ગીરી મુખપે પીકસૌ માનો ચંદકો ચીર કસુંભ ચુવાયો.

આ કવિતા સાંભળી શાહ ઘણોજ ખુશી થયો અને બીરબલના વખાણ કરી બીરબલને ઉત્તમ પ્રકારનો પોશાક ભેટ આપ્યો. સાર - વિદ્વાન રાજાઓની દરબારમાં વિદ્વાનોજ પુજાય છે, પણ અકલહીણ રાજાઓના દરબારમાં સાક્ષરોનું અપમાન થાય છે. પણ અકબર તેવો નહોતો. સારાસારનો વિચાર કરનારો, અને જ્ઞાની અજ્ઞાનીને ઓળખનારો હતો તેથી તેણે ભરતખંડમાં કીરતી સંપાદન કીધી હતી.

-૦-