બીરબલ અને બાદશાહ/હાનિકારક હાંશી

← મરતાને બચાવે તે બહાદુર બીરબલ અને બાદશાહ
હાનિકારક હાંશી
પી. પી. કુન્તનપુરી
બે ઘડીની મોજ →


વારતા આડત્રીસમી
-૦:૦-
હાનિકારક હાંશી
-૦:૦-


એક વખતે શાહ અને બીરબલ ફરવા નીકળ્યા હતા. એટલામાં એક કુતરો ઘણાક દિવસની કાળી પડી ગયેલી રોટલીનો ટુકડો ખાતો જોવામાં આવ્યો. તે જોઈ શાહે બીરબલને કહ્યું કે, જુઓ પેલો કુતરો કાળીને ખાય છે.' આ સાંભળી બીરબલ મન સાથે કહેવા લાગ્યો કે મારા માથાના ઘા સમાન શાહે હાંસી દ્વારા સુચવ્યું કે તારી મા કાળીને કુતરૂં ખાય છે. પણ હું ખરો કે એની એવી ટેવજ મુકાવી દ‌ઊં.' આવો વિચાર કરી શાહને કહ્યું કે, 'હજુર ! છેતો કાળી પણ એના મનથી તો તે ન્યામત માની લીધેલ છે.' બીરબલનો આ ઉત્તર સાંભળતાં શાહના ગુસ્સાનો પાર રહ્યો નહીં. અને આવેશમાં આવીને બીરબલને કહ્યું કે, 'કેમ, મારી માની મશ્કરી કરે છે ? શું મારી માને કુતરાં ખાય છે ?' બાદશાહને રીસે ભરાવાનું કારણ એ હતું કે તેમની માનું નામ ન્યામત બુ હતું. બીરબલે કહ્યું કે, શીરતાજ ? રંક કીંવા રાય એ સર્વને માનો પ્યાર સરખોજ હોય છે, જેમ આપને એ નામ લેતા રીસ ચઢીતો, તો પછી મને કેમ ન ચઢે ? માટે રીસ ચઢાવવી એ ઠીક કહેવાય નહીં. શાહે પોતાની ભુલ થયેલી જાણી વાત ફેરવીને બીરબલને કહ્યું કે, 'હુંતો કાળી રોટલીના ટુકડાને કુતરૂં ખાય છે તે જોઇ સ્હેજ કહ્યું હતું.' જેમ તમે શુદ્ધ મનથી કહ્યું છે, તેમ મેં પણ શુદ્ધ મનથી કહ્યું છે, કેમકે કુતરાના મનમાં તે કાળી રોટલી ખરાબ થ‌ઇ ગયેલી નથી, પણ ન્યામત સારી છે, એમ સમજી ખાય છે.' આ પ્રમાણે બોલવાથી શાહ ખુશી થયો, અને ફરીથી કોઇની આવી હાંસી ન કરવી તેને માટે પ્રતિજ્ઞા લીધી.

સાર--કોઇ પણ વખતે કોઇ પણ જગાએ કોઇપણ માણસની મશ્કરી કરવી નહીં. એમાંજ લાભ છે.


-૦-