← પદ-૧૭ રસિકવલ્લભ
પદ-૧૮
દયારામ
પદ-૧૯ →


પદ ૧૭ મું

સર્વ કરે ને નહિ અહંકારજી, ગંભીરતાનો ન મળે પારજી;
નિત્ય પરિપૂર્ણ અતિ તોષજી, ગુણ કરી માને જનના દોષજી.

અણ સેવા માને અતુલિતજી, એક રસ નિભવે નિત્યે પ્રીત્યજી;
શરણાંગત થઈ જાય વિમુખજી, ફરિ ચિત્તવેતો પ્રફુલ્લિત મુખજી.

ઢાળ


પ્રફુલ્લિત મુખ શ્રીનાથજી, સમરે ન પહેલા દોષ;
ઈચ્છે ન પ્રત્યુપકાર સહજ, ઉદાર સદ્ગુણ કોષ.
ભયદ્વેશ હિત વા કામના, કોઈ ભાવકો સ્મરણ કરે;
હરિ તેને પણ ફળ મોક્ષ દે, મોટાઈ નિજ અંતર ધરે.
મહાદુષ્ટ ઉપર પણ દયા, હરિ કરે નિજપણું જોઈ;
જે જે હણ્યા ખળ મુક્તિ તેહને કરત એહવું કોઈ.
સહુ શક્તિપતિ ને શાન્ત અતિ, ભૃગુ પરીક્ષા જોઇને કહ્યું;
એવા તો એક કૃષ્ણ, બીજાનું કથન માત્ર જ રહ્યું.
કોદી કદાપિ ન શાપ દે, વરતુલ્ય જેહનો ક્રોધ;
સ્વાધીન મન ધાર્યું કરે. કોઈનો ના ચાલે રોધ.
અવળું ન અર્ચનમાં પડે, નિષ્કંટક જેહનો પંથ;
જન દયાપ્રીતમ કૃષ્ણ એહવા, ગાયા મહામુનિ ગ્રંથ.