← પદ-૨૨ રસિકવલ્લભ
પદ-૨૩
દયારામ
પદ-૨૪ →


પદ ૨૨ મું

સઘળે સરખી પ્રીત ન સારીજી, ટેકની ભક્તિ પ્રભુ અતિપ્યારીજી;
અળગા અન્યાશ્રિત ભગવંતજી, વ્યભિચારિણીથી પ્રેમ ન કાંતજી.
પતિવ્રતા જો ઉત્તમ હોયજી, પતિ પુરુષોત્તમ ત્યાં ચિત્તપ્રોયજી;
વણ સમજે અન્યાશ્રય જનમાંજી, તે પણ ખટક હરિના મનમાંજી.

ઢાળ

મન ખટક જ્યમ રાજ નેત્રમાં વણ નીળકે નહિ ચેન;
ત્યાં અન્યાશ્રય વણ છોડવે, નહિ જંપ પંકજનેન.
પશુપતાકા અસ્ત્રઆદિક અન્યાશ્રય હતો અર્જુન:
બ્રહ્માસ્ત્રદ્વારા મુકાવ્યો, હરી જાણિને નિજ જન.
વળી આશરો અર્કનો, અક્ષયપાત્ર દ્રૌપદ્યાદિ;
તે દુર્વાસા પ્રેરી મૂકાવ્યો, કૃષ્ણ શુચિ રતિ સ્વાદિ.
અંબરીષને અભયાતણો, આશ્રય લખ્યો અખિલેશ;
તે પણ ટળાવ્યો મોકલી, મણિ દ્વાદશી વ્યપદેશ.

વળી એજ વ્રતનો આશરો, નંદને દીઠો નાથ;
પ્રેરી વરુણ ચરણ બંધાવ્યા, વળિ લાવ્યા ગૃહિ હરિ હાથ.
વળી અંબિકા યાત્રા ગય, ત્યહાં ગળ્યા અજગર નંદ;
ફરી દયા પ્રીતમ છોડવ્યા તાવ સમજ્યા સહુ સુર મંદ.