← પદ-૩ રસિકવલ્લભ
પદ-૪
દયારામ
પદ-૫ →


પદ ૩ જું.

ગુરુએ આપેલું વચન

સુણીને એવાં શિષ્ય વચન જી, ગુરુ બોલ્યા પ્રફુલ્લિત મન જી;
ન કરીશ ચિન્તા સુણ્ય હે તાત જી ! સર્વ સુધરશે તારી વાત જી. ૧ [૧]
સઘળા સંદે’ તારા ટળશે જી, મન નિશ્ચલ થઈ હરિપદ મળશે જી;
એહવો દીધો આશીર્વાદ જી, કહે હે બાળક ! ધરી આહ્‌લાદ જી, ૨


ઢાળ.

શિષ્યે ગુરુ સમક્ષ કરેલું યાત્રાવર્ણન

આહ્‌લાદ સહ સુત કહે, કર્યાં જે તીર્થ તે તે નામ;
મુખિ મુખિ નદી પુરી ક્ષેત્ર વાદ, ગિરિ સરાશ્રમ પ્રભુધામ. ૩ [૨]

એવું સાંભળીને શિષ્ય બોલ્યો, કરી ગુરુને પ્રણામ;
સાંભળો સ્વામિ કહું, મુને, સ્મૃતિ શ્રેષ્ઠ જે જે નામ. ૪ [૩]

મેં પ્રથમ (શ્રી) યમુના પુનિત જળ, કર્યું શુદ્ધ સ્નાન;
શ્રીગોકુળ મથુરા વૃન્દાવન ગિરિરાજ દરશ મહાન. ૫ [૪]

વન બાર ઉપવન ચોવીશ, રાવળ વરસાણું નંદગ્રામ;
ચોરાશી કોસ પરિક્રમા, વ્રજ નિરખ્યા કેશવરામ. ૬ [૫]

પછી ગયો નિમિષારણ્ય, બ્રહ્માવર્ત સૌરભક્ષેત્ર;
ત્યાંથી ગયો માયાપુરી, હરિદ્વાર પરમ પવિત્ર. ૭[૬]


કર્યું સ્નાન શ્રીગંગાજીમાં પુજિયા પ્રભુ તત્‌ખેવ;
જ્યહાં પધાર્યા છે દયાપ્રીતમ શ્રીમદ્વલ્લભ દેવ. ૮



  1. ૧. હે તાત ! – હે બાપ ! ( પુત્ર, શિષ્યાદિને એવી રીતે કહેવાનો ચાય છે).
  2. ૩. મુખિ મુખિ ઈ○–જે મુખ્ય મુખ્ય નદી, પુરી, ક્ષેત્ર, પર્વત, સર (સરોવર), આશ્રમ, અને પ્રભુનાં ધામ હોય તે વદ–કહે.
  3. ૪. કહું ઈ○– જે જે શ્રેષ્ઠ નામ છે તેની મને સ્મૃતિ છે, માટે હે સ્વામિ ! સાંભળો, તે હું કહું છું.
  4. ૫. પુનિત–પવિત્ર. ગિરિરાજ–ગોવર્ધન પર્વત. દરશ–દર્શન.
  5. ૬. વન ઈ○– વૃંદાવનની આસપાસ બાર વન છે અને ચોવીસ ઉપવન છે. રાવળ, વરસાણું, નંદગ્રામ, એ બધા વ્રજના ગામ છે. ચોરાશી ઈ○–વ્રજનાં તમામ મંદિરાદિ ફરી રહેતાં ચોરાશી કોસની પરિક્રમા થાય છે. વ્રજ–વ્રજમાં.
  6. ૭ નિમિષારણ્ય–નર્મદાની ઉત્તરમાં અને કુરૂક્ષેત્રની પશ્ચિમમાં જે વન આવ્યું છે તેનું નામ, (પ્રાચીન ઐતિહાસિક કોશમાં એંમ લખ્યું છે ખરૂં પણ નર્મદાની ઉત્તરના પ્રદેશથી કુરૂક્ષેત્રની પશ્ચિમનો પ્રદેશ એટલો દૂર છે કે, તેનો સંબંધ ઘટીશકતો નથી. અમને લાગે છે કુરૂક્ષેત્રની પશ્ચિમનો ગંગા કાંઠાનો પ્રદેશ તેજ નૈનિપારણ્ય છે) બ્રહ્માવર્ત–ભરતા ખંડમાંનો એક મોટો દેશ, આ દેશ, જમુનાના કાંઠાનો પ્રદેશ તથા કુરૂક્ષેત્રની મધ્યે છે. મનુસ્મૃતિમાં એ દેશ વિષે કહેછે કે, सरस्वतीदृशद्वत्योर्देवनद्योर्यदन्तरम् । तं देवनिर्मितं देशं ब्रह्मावर्तं प्रचक्षते ।। २.१७ ।। (મનુ) સૌરભક્ષેત્ર – મણિપુરની દક્ષિણમાં નારી તીર્થ ફરીને પાંચ તીર્થંનો સમુદાય છે તેનું નામ. (ભાર○ આદિ○ અ.૨૧૬-૨૧૭) માયાપુરી–હરદ્વાર, “अयोध्या मथुरा माया काशी कांची अवंतिका । पुरी द्वारावती चैव सप्तैता मोक्षदायिका:” એ સાતમાંની એક.