← પદ-૬૫ રસિકવલ્લભ
પદ-૬૬
દયારામ
પદ-૬૭ →


પદ ૬૫ મું

આત્મનિવેદન જેણે કીધુંજી, પદ પરમાનંદ જીતી લીધુંજી-
ચિંતા સઘળી પ્રલય પામીજી, પતિ પૂર્ણાનન્દ શિર પર સ્વામીજી.
સર્વાત્મભાવે પિયુ ટેંહેંલજી, વિધિ નિષેધની છૂટી ગેલજી.
સહજ પ્રતિસું પ્રકટ્યો પ્રેમજી, શાંતિ પામે સર્વે નેમજી.

ઢાળ

સૌ નેમ નાશે પ્રેમ પકટ્યે અનાદિ એ રીત્ય;
તે અનુભવ્યો રસ ગોપીજન પળ પળે નૂતન પ્રીત.
આહીર અબલ અધમ જાતિ સકલ સાધન હીન,
અહો પ્રેમ બલ જે અજીત ઈશ્વર તે તણે આધીન.

એક પ્રેમ આસક્તિ વ્યસન, તન્મયપણું મળી ચાર;
ચો સ્નેહ કરી અવસ્થા, કાંઈ કથું બીજી વાર.
તન તપે બહુજ વિયોગથી, રતિ તેની તે અતિ દીન;
એ પ્રેમ લક્ષણ કહ્યું કિંચિત, ત્યાંનું ત્યાં રહે મન.
એક વાર આખા દિવસમાં, વણ મળે રહેવાય;
કદિ ના મળે તો વિકલ થાય, આસક્તિ એ કહેવાય.
ઉર પરસ્પર વિંધાય નવ નવ ખસી શકે જો અણુમાત્ર
જન દયા પ્રીતમ કૃષ્ણ કરુણા તો વ્યસન રસપાત્ર.