← પદ-૭૪ રસિકવલ્લભ
પદ-૭૫
દયારામ
પદ-૭૬ →


પદ ૭૪ મું

હિત હરિ જગવે સાચા સંતજી, તે જ દુષ્ટ ભુલાવે ભગવંતજી;
હરિજન પાસે નિત્યે વસવુંજી, દુષ્ટ સંગથી દૂરે ખસવુંજી.
દુષ્ટ સંગ પહેલો પરનારીજી, નિજની પણ બહુ પ્રિય નહિ સારીજી;
કામ દામ બે માયા ધામજી, સદા અવિદ્યા ત્યાં વિશ્રામજી,

ઢાળ

વિશ્રામ જ્યાં નિત્ય અવિદ્યા, ત્યાં સહુ અમંગલ હોય;
શ્મશાન સ્થળ ત્યાં પ્રેત હોય, કૌતક ન માને કોય.
તરુણી જ માયા મોહિની, તરવા ન દે જ્યાં સંગ;
અણ મળ્યા કો કદિ ઉગરે,મળતાં સકલ બલ ભંગ.
તે માટે એવું નાસવું, જ્યમ છાયા સ્પર્શ ન થાય;
જ્યમ છાયા મગરી છાયા અડતાં, કાયા કરડી ખાય.

તરવાર સરખી તરૂણી, શણગારી દિસે સારી;
ઉપર અનુપમ રૂપ મનોહર, અંતરમાં હત્યારી.
પચરંગી પ્રફુલ્લિત પુષ્પ સરખી, મોહન નિરખે નાર;
મસળ્યા પછી મન ગ્લાનિ ઉપજે, ચતુર ચિત્ત વિચાર.
દુ:ખ દુષ્કૃત નરકની ખાણ સ્ત્રી, ડરી, પરિ ચિત્તથી કાઢ;
જન દયાપ્રીતમ કૃષ્ણ મળતાં, મધ્ય મોટી આડ.