← પદ-૯૧ રસિકવલ્લભ
પદ-૯૨
દયારામ
પદ-૯૩ →


પદ ૯૧ મું

ઊર્ધ્વપુંડ્ર હીણો દુર્ગત્યજી, ભસ્મીભૂત શુભ સઘળાં કૃત્યજી;
શરીર જેનું સમ શ્મશાનજી વ્યર્થ કર્મ સંધ્યા જપ દાનજી.
ભક્તિવંત જે કો ગિરિધારીજી, ઊર્ધ્વપુંડ્રના સૌ અધિકારીજી;
બ્રાહ્મણ આદિ શ્વપચ પર્યંતજી, ઊર્ધ્વપુંડ્રાંકિત કોઈ જંતજી.

ઢાળ

જંતુ જ્યહાં મૃત્યુ પામિયો, ત્યાંથી બેસી વિમાન;
મુજ લોકમાં જઈ વસે અચલિત વિદ્યા શ્રીભગવાન.
અહો! ઊર્ધ્વપુંડ્ર કદિ, ચાંડાલ પણ જો હોય;
તે વિશુદ્ધાત્મા જાણવો, પૂજ્યજન ન સંશય કોય.
અતિ અશુચિ મહાદુરાચારી, કરે મનસ્વી કૃત્ય;
તદપિ પવિત્ર જ થાય નિત્ય ઊર્ધ્વપુંડ્રી સત્ય.

જન ઊર્ધ્વપુંડ્રાંક્તિ થઈને, નમે શ્રીહરિદેવ;
તો કોટિ કુલ નરકથી તેનાં, ઉદ્ધારે તતખેવ.
જે ઊર્ધ્વપુંડ્ર સછિદ્ર મધ્યે, હરિસદ્મ કહેવાય;
જો મધ્ય લેપ્યું રહે નિશ્ચે, શ્વાન કેરો પાય.
તજે ઊર્ધ્વ તિર્યગ પુંડ્ર કરતાં નિત્ય અધિકાર;
જન દયા પ્રીતમ કૃષ્ણ, બ્રહ્માંડે કહ્યું નિરધાર.