← પદ-૯૨ રસિકવલ્લભ
પદ-૯૩
દયારામ
પદ-૯૪ →


પદ ૯૨ મું

ગોપીજનનું પૂછ્યું રૂપજી, સુડતાલીશમે કહૂં અનૂપજી;
તદ્વત્ જાણી લે જે ગાયજી, અતિ વલ્લભ સંતત વ્રજરાયજી. ૧
હરિપ્રસાદનો ગૌને ગ્રાસજી, પ્રથમ પીરસવો જે હરિદાસજી;
મહાપ્રસાદ તો ત્યારે કહાવેજી, તેના ભોગી હરિને ભાવેજી. ૨

ઢાળ

તે ભાવે જન ભગવંત જે, વૈષ્ણવી દીક્ષાયુક્ત;
ચો સંપ્રદાય પ્રમાણ શ્રુતિ, શ્રીકૃષ્ણ રૂપાસક્ત. ૩

સુણ કહું વિશિષ્ટાદ્વૈત છે, શ્રી સંપ્રદાય સિદ્ધાંત;
છે જીવ ઇશ્વર માયા ત્રણે, અનાદિ અભ્રાંત.
મધ્વનો આશય દ્વૈત, દ્વૈતાદ્વૈત નિબાદિત્ય;
વિષ્ણુસ્વામિપથ શ્રીમદ્ વલ્લભ શુદ્ધાદ્વૈત જ નિત્ય.
એ ચારે માયામતવિરોધી, પણ ઉપાસન ભેદ;
શ્રે નારાયણ ત્રિ શ્રી કૃષ્ણોપાસક પ્રામાણિક વેદ.
અદ્વૈત મત શંકર તણો, બીજા મનસ્વી બહુ પંથ;
એ સ્વલ્પ માત્રજ કહ્યું, વિસ્તારે વધે છે ગ્રંથ.
સંસ્કાર જેવો જીવ તેને, તેવો માર્ગ મિષ્ટ;
જન દયાપ્રીતમ શ્રી પુરુષોત્તમ, ધન્ય જેના ઇષ્ટ.