કલાપીનો કેકારવ/મને જોઈને ઊડી જતાં પક્ષીઓને

← રખોપીઆને કલાપીનો કેકારવ
મને જોઈને ઊડી જતા પક્ષીઓને
કલાપી
પશ્ચાત્તાપ →
છંદ= મંદાક્રાંતા


મને જોઈને ઊડી જતા પક્ષીઓને

રે પંખીડાં ! સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો,
શાને આવાં મુજથી ડરીને ખેલ છોડી ઉડો છો?
પાસે જેવી ચરતી હી આ ગાય, તેવો જ હું છું
ના, ના, કો દી તમ શરીરને કાંઈ હાનિ કરૂં હું.


ના પાડી છે તમ તરફ કૈં ફેંકવા માળીને મેં,
ખુલ્લું મ્હારૂં ઉપવન સદા પંખિડાં સર્વને છે;
રે રે! ત્હોયે કુદરતી મળી ટેવ બ્હીવા જનોથી,
છો બ્હીતાં તો મુજથી પણ સૌ ક્ષેમ તેમાં જ માની.

જો ઊડો તો જરૂર ડર છે ક્રૂર કો હસ્તનો, હા!
પાણો ફેંકે તમ તરફ, રે! ખેલ એ તો જનોના!
દુ:ખી છું કે કુદરત તણા સામ્યનું ઐક્ય તયાગી,
રે રે! સત્તા તમ પર જનો ભોગવે ક્રૂર આવી.

૯-૬-'૯૬