← એક ઘા કલાપીનો કેકારવ
રખોપીઆને
કલાપી
મને જોઈને ઊડી જતાં પક્ષીઓને  →
છંદ= મંદાક્રાંતા



રખોપીઆને

ફેંકી દેને તુજ કરથી આ પથ્થરો, ગોફણી આ,
મ્હારે આવી મુજ ચમનમાં જોઈએ ક્રૂરતા ના;
જે પંખીડા મુજ ચમનને લાગતાં ઘા ન છોડે,
તે પંખી છો મુજ ફલફૂલો ચાખતાં પૂર્ણ હર્ષે.

એ સૌ માગે જરૂર ઘટતો પાકમાં કાંઈ હિસ્સો,
થોડું માંગે જીવનઅરથે, સ્વલ્પ દેવું ઘટે તો;
ખાઈ-પીને સુખમય બની પંખિડા ગીત ગાતાં,
ન્હાનું-મ્હોટું સમજી સુખમાં જીવતાં સર્વ ન્હાનાં.

આ મ્હોટું છે ઉપવન અને પંખીડા છે ઘરેણાં
બાંધે માળો તરૂ ઉપર એ છાયમાં કેવી શ્રદ્ધા?
ઘા શા માટે? ગરીબ બહું એ! સ્વલ્પસન્તુષ્ટ ભોળાં!
તે સૌ માટે મુજ ચમનમાં જોઈએ ક્રૂરતા ના.

૬-૬-૧૮૯૬