← અધ્યાય પંદરમો ગીતાધ્વનિ
અધ્યાય ૧૬મો : દૈવી અને આસુરી સંપત્તિ
કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા
અધ્યાય સત્તરમો →



અધ્યાય ૧૬મો.
દૈવી અને આસુરી સંપત્તિ

શ્રી ભગવાન બોલ્યા—
અભય, સત્ત્વસંશુદ્ધિ, વ્યવસ્થા જ્ઞાન-યોગમાં,
નિગ્રહ, દાન, સ્વાધ્યાય, યજ્ઞ, સરળતા, તપ; [૧]

અહિંસા, સત્ય, અક્રોધ, ત્યાગ, શાંતિ, અપૈશુન,
મૃદુતા, સ્થિરતા, લાજ, દયા જીવે, અલાલસા; ૨

ક્ષમા, અમાન, અદ્રોહ, તેજ,ધૈર્ય, પવિત્રતા;
દૈવીભાવ વિષે જન્મે, તેની આ સંપદા થતી. ૩

અજ્ઞાન, માન ને દર્પ, દંભ, ક્રોધ, કઠોરતા;
આસુરી ભાવમાં જન્મે, તેની આ સંપદા થતી. ૪

મોક્ષ દે સંપદા દૈવી, કરે બંધન આસુરી;
મા કર, શોક, તું જન્મ્યો દૈવી સંપત્તિને લઈ. ૫

દૈવી ને આસુરી છે બે ભૂતોની સૃષ્ટિ આ જગે;
વિસ્તારેવર્ણવી દૈવી, હવે સાંભળ આસુરી. ૬

આસુરી જન જાણે ના પ્રવૃત્તિ કે નિવૃત્તિને,
ન સ્વચ્છતા, અ આચાર, સત્યે ના તેમને વિષે. ૭


અસત્ય જગ છે બોલે, અનાધાર, અનીશ્વર;
અન્યોન્ય યોગથી જન્મ્યું, હેતુ કામ વિના નહીં. ૮

આવી તે રાખતા દૃષ્ટિ ક્રૂરકર્મી, અબુદ્ધિઓ,
હૈયાસૂના ધરે જન્મ પ્રજાક્ષયાર્થ શત્રુઓ. ૯

દુષ્પૂર કામને સેવે, દંભ—માન—મદે ભર્યા;
મોહે દુરાગ્રહો બાંધી પાપાચારી પ્રવર્તતા. ૧૦

વહે અપાર ચિંતાને મૃત્યુએ ઝાલતાં સુધી;
સુખ—ભોગ ગણે ધ્યેય, તે જ સર્વસ્વ માનતા. ૧૧

આશાપાશો વડે બાંધ્યા, કામ—ક્રોધ—પરાયણ;
ઇચ્છતા સુખ ભોગાર્થેઅન્યાયે ધનસંચય. ૧૨

‘આ પામ્યો આજ, ને કાલે કોડ પૂરા કરીશ આ;
‘આટલું મારું છે આજે, આયે મારું થશે ધન; ૧૩

‘આ વેરી મેં હણ્યો છે ને બીજાયે હણનાર છું;
‘હું સર્વાધીશ ને ભોગી, સિદ્ધ હું, બળવાન, સુખી. ૧૪

‘હું છું કુલીન, શ્રીમંત, બીજો મારા સમાન ના;
‘યજીશ.[૨] દૈશ, મા’ણીશ’—કહે અજ્ઞાન મોહથી. ૧૫

ભૂલ્યા અનેક તર્કોમાં, ગૂંથાયા મોહજાળમાં,
આસક્ત સુખ ને ભોગે તે કૂડા નરકે પડે. ૧૬

આત્મશ્લાઘી ગુમાની તે, દંભ—માન—મદે ભર્યા,
કરે છે નામના યજ્ઞો દંભથી વિધિને ત્યજી. ૧૭


બળ, દર્પ અહંકાર, કામ ને ક્રોધને વર્યા;
સ્વ—પર દેહમાં મરો ઈર્ષાથી દ્રોહ તે કરે. ૧૮

એવા દ્વેષી તથા ક્રૂર સંસારે જે નરાધમો,
તે દુષ્ટોને સદા નાખું આસુરી યોનિઓ વિષે. ૧૯

આસુરી યોનિ પામેલા જન્મોજન્મેય મૂઢ તે,
મ’ને ન મેળવે, પામે ઝાઝી ઝાઝી અધોગતિ. ૨૦

કામ, ક્રોધ તથા લોભ, નરકદ્વાર આ ત્રણ,
કરતા આત્મનો ઘાત , તેથી તે ત્યજવાં ત્રણે. ૨૧

તમનાં આ ત્રણે દ્વારો, તેથી મુક્ત થઈ, પછી
આચરી આત્મનું શ્રેય દેહી પામે પરંગતિ. ૨૨

છોડીને શસ્ત્રનો માર્ગ સ્વચ્છંદે વરતે નર,
તેને મળે નહીં સિધ્હિ, ન સુખે, ન પરંગતિ. ૨૩

માટે પ્રમાણવું શાસ્ત્ર કાર્યાકાર્ય ઠરાવવાં;
શાસ્ત્રથી વિધિને જાણી કર્મ આચરવું ઘટે. ૨૪


  1. [જ્ઞાન અને (કર્મ) યોગમાં વ્યવસ્થિતતા.]
  2. [યજીશ—યજ્ઞો કરીશ.]