← અધ્યાય સોળમો ગીતાધ્વનિ
અધ્યાય ૧૭મો : ગુણથી ક્રિયાઓના ભેદ
કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા
અધ્યાય અઢારમો →



અધ્યાય ૧૭ મો
ગુણથી ક્રિયાઓના ભેદ


અર્જુન બોલ્યા--

શાસ્ત્રના વિધિને છોડી શ્રદ્ધાથી પૂજન કરે,
તેની નિષ્ઠા ગુણે કે’વી સત્ત્વ, કે રજ, કે તમ ? ૧

શ્રીભગવાન બોલ્યા--
ત્રણ પ્રકારની શ્રદ્ધા દેહીઓની સ્વભાવથી,--
સાત્ત્વિકી, રાજસી, તેમ તામસી, સુણ તે સહુ. ૨

જેવું જે જીવન સત્ત્વ, શ્રદ્ધા તેવી જ તે વિષે;
શ્રદ્ધાએ આ ઘડ્યો દેહી, જે શ્રદ્ધા તે જ તે બને. ૩

સાત્ત્વિકો દેવને પૂજે, રાજસો યક્ષ—રાક્ષસો;
પ્રેતો—ભૂતગણો પૂજે,જે લોકો તામસી જગે. ૪

શાસ્ત્રવિરુદ્ધ ને ઘોર, જે જનો તપ આચરે;
અહંતા—દંભથી યુક્ત, કામ—રાગ—બળે ભર્યા; ૫

દેહનાં પંચભૂતોને હ્રદયે વસતા મ’ને,
પીડે જે અબુધો જાણ, તેના નિશ્ચય આસુરી. ૬

આહારે પ્રિય સર્વેના ત્રણ પ્રકારના જુદા;
તેમ યજ્ઞો તપો, દાનો,-- તેના આ ભેદ સાંભળ. ૭


આયુ, સત્ત્વ, બળ, સ્વાસ્થ્ય, સુખ, પ્રીતિ, વધારતા,
રસાળ, રોચક, સ્નિગ્ધ, સ્થિર તે સાત્ત્વિક—પ્રિય. ૮

ખારા, ખાટા, ઘણા ઊના, તીખા, લૂખા, બળે, કટુ;
દે દુ:ખ, શોક કે વ્યાધિ, આહારો રાજસ—પ્રિય. ૯

પો’ર ટાઢો, થયો વાસી, ગંધાતો, સ્વાદ ઊતર્યો,
એઠો, નિષિદ્ધ આહાર, તામસી જનને પ્રિય.[૧] ૧૦

ન રાખી ફળની આશા, યજ્ઞે જ ધર્મ જાણતા,
સ્થિરચિત્તે થતો યજ્ઞ, વિધિપૂર્વક સાત્ત્વિક. [૨] ૧૧

ફળને દૃષ્ટિમાં રાખી, તેમ જે દંભભાવથી,
જે યજ્ઞ થાય છે લોકે, રાજસી યજ્ઞ તે કહ્યો. ૧૨

જેમાં ન વિધિ, ના મંત્ર, નયે સર્જન અન્નનું;
ન દક્ષિણા, નહીં શ્રદ્ધા, તામસી યજ્ઞ તે કહ્યો. ૧૩

દેવ—દ્વિજ—ગુરુ—જ્ઞાની તેની પૂજા, પવિત્રતા,
બ્રહ્મચર્ય, અહિંસા ને આર્જવ દેહનું તપ. ૧૪

અખૂંચતું, સત્ય ને મીઠું હિતનું વેણ બોલવું;
તથા સ્વાધ્યાય, અભ્યાસ, વાણીનું તપ તે કહ્યું. ૧૫

આત્મનિગ્રહ ને મૌન, મન કેરી પ્રસન્નતા,
મૃદુતા, ભાવની શુદ્ધિ, મનનું તપ તે કહ્યું. ૧૬


યોગથી, અતિશ્રદ્ધાથી, આચરે આ ત્રણે તપો,
ન સેવી ફળની આશા, તે કહેવાય સાત્ત્વિક. ૧૭

સત્કાર—માન—પૂજાર્થે તથા જે દંભથી કરે;
તે તપ રાજસી લોકે, કહ્યું ચંચળ, અધ્રુવ. ૧૮

મૂઢાગ્રહે તપે જેઓ પીડીને અંતરાત્મને,
પરના નાશ માટે વા, તપ તે તામસી કહ્યું. ૧૯

કશો ના પાડ તોયે જે દેવાનો ધર્મ ઓળખી,
યોગ્ય પાત્રે—સ્થળે—કાળે આપે, તે દાન સાત્ત્વિક. [૩] ૨૦

ફેડવા પાછલો પાડ, હેતુ વા ફળનો ધરી,
 કે કોચાતા મને આપે, તે દાન રાજસી ગણ્યું. ૨૧

અપાત્રે દાન જે આપે, અયોગ્ય દેશકાળમાં,
વિના આદરસત્કાર, તે દાન તામસી ગણ્યું. ૨૨

ૐ(૩), તત, સત, ત્રણે નામે થાય નિર્દેશ બ્રહ્મનો,
બ્રાહ્મણો, વેદ ને યજ્ઞો સર્જયા તેણે જ આદિમાં. ૨૩

તેથી ૐ(૩) વદી પ્હેલાં , યજ્ઞ—દાન—તપ—ક્રિયા,
બ્રહ્મવાદી તણી નિત્ય પ્રવર્તે વિધિપૂર્વક. ૨૪

તદ્ વડે ફળને ત્યાગી, યજ્ઞ ને તપની ક્રિયા,
વિવિધ દાન કર્મોયે આચરે છે મુમુક્ષુઓ. ૨૫


સારું ને સત્ય દર્શાવા સત્ શબ્દ વપરાય છે;
તેમ સત શબ્દ યોજાય પ્રસંશાયોગ્ય કર્મમાં. ૨૬

યજ્ઞે, તપે તથા દાને વર્તે તેનેય સત્ કહે;
તે માટે જે થતાં કર્મો, તે બધાં પણ સત્ કહ્યાં. ૨૭

અશ્રદ્ધાથી કર્યા કર્મ, યજ્ઞ, દાન, તપો વળી;
અસત કે’વાય તે સર્વ, વ્યર્થ તે બેઉ લોકમાં. ૨૮


  1. [નિષિદ્ધ—અમેઘ્ય; જેને ધર્મકાર્યમાં ન વાપરી શકાય તેવો; જેમ કે કૂતરા, કાગડા વગેરેએ બગાડેલો, ગંદી જગ્યામાં પડેલો, ધોઈને સ્વચ્છકર્યા વિનાનો ઇત્યાદિ.]
  2. [યજ્ઞ કરવો એ ધર્મ છે એટલા જ માટે.]
  3. [દાન કરવું એ ધર્મ છે એટલા જ માટે.]