← અધ્યાય ત્રીજો ગીતાધ્વનિ
અધ્યાય ચોથો : જ્ઞાન-કર્મ-સંન્યાસ-યોગ
કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા
અધ્યાય પાંચમો →



અધ્યાય ૪થો
જ્ઞાન દ્વારા કર્મનો સંન્યાસ


શ્રી ભગવાન બોલ્યા–
પૂર્વે આ અવ્યયી યોગ મેં વિવસ્વાનને કહ્યો,
તેણે તે મનુને ભાખ્યો, તેણે ઇક્ષ્વાકુને કહ્યો ૧

એમ પરંપરાથી તે જાણ્યો રાજર્ષિએ ઘણા,
લાંબે કાળે પછી લોકે લોપ તે યોગનો થયો. ૨

તે જ મેં આ તને આજે કહ્યો યોગ પુરાતન,
ભકત મારો, સખાયે તું, ને આ રહસ્ય ઉત્તમ. ૩

અર્જુન બોલ્યા—
પૂર્વે જન્મ્યા વિકસ્વાન, તમારો જન્મ હાલનો;
તો કેમ માનું કે તેને તમે જ આદિમાં કહ્યો ? ૪

શ્રીભગવાન બોલ્યા–
વીત્યા જન્મો ઘણા મારા, તારાયે તેમ, અર્જુન;
હું જાણું છું બધા તેને, તું તેને જાણતો નથી. ૫

અજન્મા, અવ્યયાત્મા ને ભૂતોનો ઇશ્વરે છતાં,
ઊપજું આત્મમાયાથી મારી પ્રકૃત્તિ પૈં ચડી. ૬


જ્યારે જ્યારે જગે થાય ધર્મની ગ્લાનિ, ભારત,
આધર્મ ઊભરે ત્યારે પોતાને સરજાવું હું. ૭

સંતોના રક્ષણાર્થે ને પાપીના નાશ કારણે,
ધર્મની સ્થાપના કાજે ઊપજું છું યુગે યુગે. ૮

મારાં જન્મ તથા કર્મ દિવ્ય જે આમ તત્ત્વથી
જાણે, તે ન ફરી જન્મે, મર્યે પામે મ’ને જ તે. ૯

વીત-રાગ-ભય- ક્રોધ, મ’ને આશ્રિત, હું-મય,
જ્ઞાન-તપે થઇ શુદ્ધ, પામ્યા મદ્ ભાવને ઘણા. ૧૦

જે મ’ને આશરે જેમ, તેને તેમ જ હું ભજું;
અનુસરે મનુષ્યો સૌ સર્વથા મુજ માર્ગને. ૧૧

ઇચ્છતા કર્મની સિદ્ધિ દેવોને પૂજતા જનો;
શીઘ્ર જ કર્મની સિદ્ધિ થાય માનવલોકમાં. ૧૨

ગુણ ને કર્મના ભેદે સર્જ્યાં મેં ચાર વર્ણને;
હું અવ્યય અકર્તા તે, જાણ,કર્તાય તેમનો. ૧૩
 
ન મ’ને લેપતા કર્મો, ન મ’ને ફળમાં સ્પૃહા;
જે મ’ને ઓળખે એમ, તે ન બંધાય કર્મથી. ૧૪

આવા જ્ઞાને કર્યું કર્મ પૂર્વેનાયે મુમુક્ષુએ;
કર કર્મ જ, તેથી,તું, પૂરવજો જે કરી ગયા. ૧૫


પંડિતોયે મૂંઝાતા કે કર્મ શું ને અકર્મ શું;
તેથી કર્મ કહું જેને જાણ્યે છૂટીશ પાપથી. ૧૬

કર્મનું જાણવું મર્મ, જાણવુંયે વિકર્મનું;
જાણવું જે અકર્મેયે, ગૂઢ છે કર્મની ગતિ. ૧૭

અકર્મ કર્મમાં દેખે, કર્મ દેખે અકર્મમાં;
બુદ્ધિમાન તે મનુષ્યોમાં, યોગી તે પૂર્ણ કર્મવાન્ ૧૮

જેના સર્વે સમારંભો કામ-સંકલ્પ—હીન છે;
તે જ્ઞાનીનાં બળ્યાં કર્મો જ્ઞાનાગ્નિથી બુધો કહે. ૧૯

છોડી કર્મ ફલાસક્તિ, સદા તૃપ્ત, નિરાશ્રયી,
પ્રવર્તે કર્મમાં તોયે કશું તે કરતો નથી. ૨૦

મનબુદ્ધિ વશે રાખી, તૃષ્ણાહીન, અસંગ્રહી,
કેવળ દેહથી કર્મ કર્યે પાપ ન પામતો. ૨૧

સંતુષ્ટજે મળે તેથી, ના દ્વંદ્વ નહીં મત્સર,
સિદ્ધિ અસિદ્ધિમાં તુલ્ય, તે ન બંધાય કર્મથી. ૨૨

છૂટ્યો સંગ, થયો મુક્ત, જ્ઞાનમાં સ્થિરચિત્તનો,
યજ્ઞાર્થે જે કરે કર્મ, તે સર્વ લય પામતું. ૨૩

બ્રહ્માર્પ્યું બ્રહ્મનિષ્ઠેજે બ્રહ્માજ્ય બ્રહ્મ-અગ્નિમાં,
બ્રહ્મકર્મની નિષ્ઠાથી બ્રહ્મરૂપ જ થાય તે ૨૪

કોઇ યોગી કરે માત્ર દેવ-યજ્ઞ ઉપાસના;
કોઇ બ્રહ્માગ્નિમાં યજ્ઞ યજ્ઞ વડે જ હોમતા, ૨૫


શ્રોત્રાદિ ઇન્દ્રિયો કોઇ હોમતા સંયમાગ્નિમાં;
શબ્દાદિ વિષયો કોઇ હોમતા ઇન્દ્રિયાગ્નિમાં. ૨૬

કોઇ સૌ ઇન્દ્રિયોનાં ને પ્રાણોનાં કર્મ હોમતા
જ્ઞાનથી અગ્નિચેતાવી આત્મસંયમયોગનો. ૨૭

દ્રવ્ય, તપ તથા યોગ, સ્વાધ્યાય,જ્ઞાન સાધને,
જુદા જુદા કરે યજ્ઞો, વ્રત-સજ્જ, પ્રયત્નવાન્ ૨૮

અપાને પ્રાણને હોમે, તથા પ્રાણે અપાનને,
અપાને-પ્રાણને રોકી પ્રાણાયામ-ઉપાસકો. ૨૯

આહારે નિયમે આણી કો હોમે પ્રાણ પ્રાણમાં;
યજ્ઞથી પાપ ટાળેલા યજ્ઞવેત્ત્તા બધાય આ. ૩૦

આ લોકે ના વિના યજ્ઞ, તો પછી પરલોક ક્યાં ? ૩૧

બહુ પ્રકારના આવા વેદમાં યજ્ઞ વર્ણવ્યા;
સૌ તે કર્મે થતા જાણ, એ જાણ્યે મોક્ષ પામશે. ૩૨

દ્રવ્યોના યજ્ઞથી રૂડો જાણવો જ્ઞાનયજ્ઞને;
જ્ઞાનમાં સઘળાં કર્મ પૂરેપૂરાં સમાય છે. ૩૩

નમીને, પ્રશ્નપૂછીને, સેવીને જ્ઞાન પામ તું;
જ્ઞાનીઓ તત્ત્વના દ્રષ્ટા તને તે ઉપદેશશે. ૩૪

જે જાણ્યેથી ફરી આવો તને મોહ થશે નહીં;
જેથી પેખીશ આત્મામાં—મુજમાં ભૂતમાત્ર તું. ૩૫


હશે તું સર્વ પાપીમાં મહાપાપીય જો કદી,
તોય તરીશ સૌ પાપ જ્ઞાનનૌકા વડે જ તું. ૩૬

જેમ ભભૂકતો અગ્નિ કરે છે ભસ્મ કાષ્ઠ સૌ,
તેમ ચેતેલ જ્ઞાનાગ્નિકરે છે ભસ્મ કર્મ સૌ. ૩૭

નથી જ જ્ઞાનના જેવું પવિત્ર જગમાં કંઇ;
સિદ્ધયોગી, યથાકાળે, જાણે તે આત્મમાં સ્વયં. ૩૮

મેળવે જ્ઞાન શ્રદ્ધાળુ, જે જિતેન્દ્રિય, તત્પર;
મેળવી જ્ઞાનને પામે શીઘ્ર પરમ શાંતિને. ૩૯

અજ્ઞાની ને અશ્રદ્ધાળુ, સંશયીનો વિનાશ છે;
આ લોક, પરલોકે ના, સુખે ના સંશયી લહે. ૪૦

યોગથી કર્મને છોડ્યાં, જ્ઞાનથી સંશયો હણ્યા,
એવા આત્મવશીન તો કર્મો બાંધી શકે નહીં. ૪૧

માટે અજ્ઞાનથી ઊઠ્યો આ જે હ્રદય-સંશય,
જ્ઞાનખડ્ગે હણી તેને યોગે થા સ્થિર, ઊઠ તું. ૪૨