← બીરબલની પુત્રી બીરબલ વિનોદ
મીણનો શાહઝાદો
બદ્રનિઝામી–રાહતી
કોને કોને ધિક્કાર છે ! →


વાર્તા ૧૪૪.
મીણનો શાહઝાદો.

એક પ્રસંગે બીરબલને બાદશાહે પૂછયું “શું કૃષ્ણજીની પાસે કેાઈ સેવક ન હતો કે પોતેજ હાથીનો અવાજ સાંભળી દોડી આવ્યા?”

બીરબલે કહ્યું “જહાંપનાહ! એનો ઉત્તર પછી આપીશ.” એક ખોજો બાદશાહના પૌત્રને હંમેશ બાદશાહ પાસે લઈ જતો, તેને બીરબલે મીણનું બનાવેલું પુતળું આપી કહ્યું કે “એ પુતળાને શાહઝાદાનાં વસ્ત્રો પહેરાવી, બાદશાહ બાગમાં ફરતા હોય ત્યારે, તે જુવે એવી રીતે પુતળાને ગો- દમાં લઈ, દૂરથી આવતાં આવતાં હોઝમાં પડી જજે.”

ખોજાએ તે વાત કબુલ કરી. એજ દીવસે સ્હાંજે બાદશાહ અને બીરબલ બાગમાં ફરતા હતા, એવામાં બીર- બલે પુતળાને લઈને આવતા ખોજા તરફ બાદશાહનું ધ્યાન ખેંચ્યું. બાદશાહ પૌત્રને રમાડવા માટે ઉત્સુક બન્યો, એવામાં તો ખોજો પેલા પુતળા સમેત હોઝમાં પડી ગયો એ બનાવ જોઈ બાદશાહ એકદમ દોડ્યો અને હોઝમાં પડતું નાંખી, પેલા પુતળાને બહાર કાઢી લાવ્યો.

બાદશાહ બહાર નીકળ્યો એટલે તરતજ બીરબલે કહ્યું “ જહાંપનાહ! આપની પાસે કેઈ સેવક ન હતો, કે તમે પોતે પૌત્રને બચાવવા દોડી જઈ હોઝમાં કુદયા? કૃપાનિધાન! એ કેવળ મોહનું કારણ છે. જેવા પ્રકારે આપને આપની સંતતિ જોડે પ્રેમ છે એવી જ રીતે શ્રીકૃષ્ણને પોતાના ભક્તો પર પ્રેમ છે. ”

બાદશાહ પોતાના સવાલનો જવાબ મળી ગયેલો જોઈ અત્યંત પ્રસન્ન થયો.