← પદ-૪૨ રસિકવલ્લભ
પદ-૪૩
દયારામ
પદ-૪૪ →


પદ ૪૨ મું

શિષ્ય કહે 'સુણો ગુરુ હું ભાખુંજી, જુક્તિ અવર તેહની કહી ભાખુંજી;
જીવ ને બ્રહ્મ બે એક ઠરાવેજી, ત્યહાં દૃષ્ટાંત તે જળનું બતાવેજી.
જ્યમ જળ મધ્યે જળ મળી જાયજી, એમજ બ્રહ્મમાં જીવ સમાયજી;
વળી જુગતી એક કહે છે અભેદજી, મત તેને રહે નહિ ભેદજી.

ઢાળ

કાંઈ ભેદ ન રહે દીપ જ્યોતિ, જુગ્મ જ્યહાં મળી જાય;
ટળતાં અવિદ્યા જીવ ત્યમ જ, બ્રહ્મમય થઈ જાય.
એ બ્રહ્મ ને હું બે નથી સમજ્યો શમ્યું જ્યાં દ્વંદ્વ;
ત્યહાં નિશ્ચે તે ભોગી થયો, જાણવો બ્રહ્માનંદ.'
'સુણ્ય શિષ્ય એ ત્રય યુક્તિ કેરા, ખંડનની કહું રીત;
એ વિચારેથી વ્યર્થ છે, તું રખે ધરતો પ્રીત,
ઘટ પૂર્ણ જળ હોય તેહમાં હોય તેહમાં, જો અવર નીર સમાય;
તો જાણીયે જે જીવ જઈને, બ્રહ્મમાં ભળી જાય.
દૃષ્ટાંત બીજું જ્યોતિ મધ્યે, જ્યોતિ મળતી હોય;
તો બે મળ્યેથી પ્રકાશ અધિકો ક્યમ લેખે સહુ કોય ?
દીપ પ્રભા બે જાણીએ, ઘટવધ ધર્મને હોય;
જન દયાપ્રીતમ કૃષ્ણ ધર્મી, દોષ ન અડે કોય.