← પદ-૮ રસિકવલ્લભ
પદ-૯
દયારામ
પદ-૧૦ →


પદ ૮ મું


નદી પયોષ્ણી મજ્જન કીધુંજી, રેવાસાગર નાહિ પય પીધુંજી;
પર્શુરામ લોટેશ્વર તીર્થજી, ભૃગુક્ષેત્ર ન્હાયો શુભ અર્થજી. ૧[૧]
યજ્ઞ કર્યા જ્યાં બડભાગીજી, શ્રીવામનજી ભીક્ષા માગીજી;
શુક્લતીર્થ ઈશ્વર ૐકારજી, રેવોસિંગ માહાત્મ્ય અપારજી. ૨[૨]

ઢાળ

છે અપાર મહિમા ચંડિપુરિ શ્રીશેષશાયિભગવાન
શ્રી વ્યાસક્ષેત્ર શુકાશ્રમ શૂભાદક્ષેત્ર મહાન. ૩[૩]
ૐકારનાથજી નિરખિયા નર્મદા નિર્મળ સ્નાન;
મહિષ્મતીપુરિ પરમ પાવન શાસ્ત્રમાં એમ જ્ઞાન. ૪ [૪]

પુરી અવંતી મા’કાલેશ્વર ક્ષિપ્રાતીર્થ પાવન;
શ્રીદ્વારિકાપુરી પછી ગયો જ્યહાં સદા જગજીવન.[૫]
ગોમતીસાગર ચક્રતીર્થે, કર્યું સ્નેહે સ્નાન;
પછી શંખોદ્ધાર બેટે નિર્ખિયા, કૃષ્ણ શ્રીભગવાન.[૬]
શ્રીત્રિકમ માધવ પુરૂષોત્તમ, નિર્ખિયા કુંવર કલ્યાણ,
રુકિમણી રાધા જાંબવતી સત્યભામાદિ, પ્રભુપ્રાણ.[૭]
વિધિવત્ કરી સહુ નારાયણસર, તીર્થ અતિ ઉત્કર્ષ;
પછી પિંડતારક પ્રભાસ ન્હાયો, સુદામાપુરી દર્શ. [૮]
કૂપદામોદર ગિરિનાર યાત્રા, જીર્ણગઢ જ્યાં ગ્રામ;
જન દયાપ્રીતમ ભક્ત સ્થળ, નૃસિંહ મેહેતો નામ.[૯]



  1. ૧ પયોષ્ણી—એક નદી. રેવાસાગર–રેવા અને સાગરનો જ્યાં સંગમ થાય છે તે સ્થળ. પરશુરામ અને લોટેશવર એ તીર્થ રેવાસાગર સંગમથી ઉત્તર કાંઠા-પર છે. ભૃગુક્ષેત્ર–ભરૂચ.
  2. ૨ યજ્ઞ ઇ૦– જ્યાં બડભાગી (મોટા ભાગ્યવાળા બળિ રાજાએ યજ્ઞ કર્યા હતા અને વામનજીએ તેની પાસે ભિક્ષા માગી હતી તે એ ક્ષેત્ર (દશાશ્વમેધ-ભરૂચ). શુક્લતીર્થ–નર્મદાને કાંઠે ભરૂચથી સાત ગાઉપર તીર્થનું ગામ છે. ઈશ્વર—મહાદેવ. ત્યાં ઓંકારેશ્વર મહાદેવ છે. રેવોરી સંગમ–રૈવૌર (રેવા+ઓર) સંગમ, કરનાળી પાસે.
  3. ૩. ચંડીપુરી–ચાણોદ. ત્યાં શ્રીશેષશાયી ભગવાનની મૂર્ત્તિ છે. વ્યાસક્ષેત્ર અને શુકાશ્રમ–નર્મદાના બે કાંઠાપર સામસામી આવેલા છે. ચાનોદથી આશરે ત્રણ ગાઉ. શૂલભેદ–શૂલપાણેશ્વર.
  4. ૪. ઓંકારનાથ–નર્મદા કાંઠા ઉપરના મહાદેવ. માહિષ્મતી–નર્મદા કાંઠા ઉપર તેના મૂળ તરફ જતા એક નગરી છે. પ્રસિદ્ધ મંદનમિશ્ર જેણે શંકર સાથે વાદ કર્યો હતો તે એ નગરમાં રહેતો હતો.
  5. ૫. અવંતી–ઉજ્જયિની મા કાળેશ્વરસાકાળેશ્વર ક્ષિપ્રા નદી અને મહાકાળેશ્વર મહાદેવ એ અવંતીમાં છે.
  6. ૬ ગોમતીસાગર–એ બેનો સંગમ ત્યાં ચક્રતીર્થ છે. જેમાં ગોમતી ચક્ર થાય છે. શંખોદ્ધાર બેટ–દ્વારકાપામેનો બેટ.
  7. ૭ શ્રીત્રિકમ ઇ૦–ત્રિકમજી, માધવજી, પુરૂષોત્તમજી, કુંવર કલ્યાણ, રૂકિમણી, રાધા, જાંબવતી સત્યભામા, એ સર્વના મંદિર બેટમા છે.
  8. ૮ કરી—જાત્રાકરી નારાયણસર—કચ્છમાં છે પિડતારક — દ્વારકાથી ગુરગટ ગયા પછી ત્રણ ગાઉં પર એક કુંડ છે, તેમના બેલા પિંડ તરે છે પ્રભાસ—કાઠિયાડમા સમુદ્ર કાંઠાપર તીર્થ છે. સુદામાપુરી—પોરબંદર
  9. ૯ ફૂપદમોદર—દામોદરકુંડ ગિરનારપર્વત ઉપર છે. જીર્ણગઢ જૂનાગઢ ભક્તસ્થળ ઈ૦—નરસિંહ મેહેતા નામના ભક્તનું સ્થળ.