રાઈનો પર્વત/અંક પાંચમો/ પ્રવેશ ૨ જો

←  અંક ચોથો: પ્રવેશ ૬ રાઈનો પર્વત
અંક પાંચમો: પ્રવેશ ૧
રમણભાઈ મહિપતરામ નીલકંઠ
અંક પાંચમો: પ્રવેશ ૩ →


અંક પાંચમો

પ્રવેશ ૨ જો

સ્થળ : પ્રભાપુંજ મહેલમાં રાણીના આવાસમાંનું પ્રથમ વર્ણવ્યા પ્રમાણે શણગારેલું અને દીવાની રોશનીવાળું શયનગૃહ.

[રાણી લીલાવતી સુશોભિત વસ્ત્રાલંકારથી સજ્જિત થઈ ઊભેલી પ્રવેશ કરે છે. પછી રાઈ સવારીવાળે પર્વતરાયણે વેશે પ્રવેશ કરે છે, અને થોડી ક્ષણ બોલ્યા વિના ઊભો રહે છે.]

રાઈ : (બેઠેલે સાદે) દેવી કુશલ છો?
લીલાવતી : (ઓવારણાં લઈને) મહારાજ ! દરબારમાં જતાં પહેલાં અહીં આવવાની મારી યાચના આપે સ્વીકારી તે બહુ કૃપા કરી, અને મારે વાગરા કહ્યે મહેલમાં દર્પણો મૂકવાની રજા કહેવડાવી તેથી આપે મારા હ્રદયનો મંત્ર જાણી લીધો એ જોઈ હું ઉલ્લાસવન્ત થઈ. પરંતુ, આપ પધારો ત્યારે મારે એ દ્વારમાં ઊભાં ના રહેવું અને અન્દર ઊભાં
રહેવું એવી કઠણ આજ્ઞા આપે મોકલી ને હું કુશલ ક્યાંથી હોઉં !
રાઈ : બારણું સાંકડું ને ક્ષોભનો પ્રસંગ તેથી...
લીલાવતી : (નીચું જોઈને) તેથી શો વિશેષ લાભ
રાઈ : રાણી....
લીલાવતી : (ગળગળી થઈને) હજી ‘રાણી’ ને ‘દેવી’ ને આ બધું અન્તર ! છ છ માસના વિરહના આભ્યાસમાં આપે મારે માટે એક પ્રેમવચન પણ ઘડી રાખ્યું નથી ? આપ આમ સ્તબ્ધ કેમ ઊભા છો ? મારી પરીક્ષા કરવી ધારી છે ? મારે તે પરીક્ષા શી? હું તો સ્ત્રી છું, અધીરી છું, અને અધીરી સ્ત્રી આખરે પહેલ કરે જ. આપ બોલતા કેમ નથી ? મારો શો અપરાધ થયો છે?
રાઈ : તમારો કાંઇ અપરાધ નથી, પણ હું સહસ્ત્રધા અપરાધી છું.
લીલાવતી : એવાં નર્મવચનો જવા દો. એથી હું ભય પામું છું.
રાઈ : એ નર્મવચનો નથી, ખરી હકીકત છે. હું મારા અપરાધ ગણાવીશ એટલે ખાતરી થશે.
લીલાવતી : મારે એવી ગણાતરીને શું કરવી છે? હું તો આપના અનુગ્રહોની ગણતરી કરવા ઉત્સુક છું.
રાઈ : અનુગ્રહો કરવાનો મારો અધિકાર નથી.
લીલાવતી :

આ દર્પણો પ્રતિબિમ્બ લે સહુ જાડા ચરાચર વસ્તુનાં,
જો તેમ આ હ્રદયની મુદ્રા ગ્રહે નિજ અન્તરે;
તો દાખવું હું ચાલતો અધિકાર કેવળ આપનો,
પ્રત્યેક તેના બિન્દુમાં-પ્રત્યેક તેના રંધ્રમાં. ૬૦

હવે વધારે ન ટળવળાવો, પ્રાણનાથ !

રાઈ : રાણી ! ભૂલો છો, હું તમારો પ્રાણનાથ નથી
લીલાવતી : (આંસુ ઢાળતી) આ અભાગિયા હૃદયે આપના પ્રેમ વિષે શંકા કરી હતી. તેની સજા તેને થવી જ જોઈએ. પરમતું શું મારા પ્રત્યેનો પ્રેમ આપના હૃદયમાંથી એવો લુપતા થઈ ગયો છે કે શેષ કંઈ રહ્યું જ નથી?
રાઈ : હું કહું તો ધૈર્ય રાખશો ?
લીલાવતી : આધાર ખસી જાય ત્યાં ધૈર્ય શી રીતે ટકે ? પરંતુ, આપ કહો તે સાંભળવું એ મારો ધર્મ છે.
રાઈ : હું પર્વતરાય નથી.
લીલાવતી : હેં ! ત્યારે મારા પ્રિય સ્વામી ક્યાં છે?
રાઈ : તેઓ છ માસ પર સ્વર્ગવાસી થયા છે. હું તો માત્ર તેમનો વેશ ધરીને આવ્યો છું.
લીલાવતી : હા  ! પ્રભુ !
[મૂર્છા પામી નીચે પડે છે. રાઈ લીલાવતીને પડતાં પડતાં પોતાના બે હાથ પર ઝીલી લે છે.]
 
રાઈ : અહો ! જે સ્પર્શથી દૂર રહેવા મેં ઝીણી ઝીણી સાવચેતીઓ લીધી તે સ્પર્શ આખરે મારી મેળે વહોરી લેવો પડ્યો ! આવાસના દ્વારમાં આવકાર વેળાએ અકસ્માત્ પાસે ન આવે, માટે અંદર ઊભાં રહી મળવાની લીલાવતીને સૂચના કરી. દર્પણો પાસે એ મને સાથે ન લઈ જાય, માટે મહેલમાં દર્પણો મૂકવાની રાજા વગર માગ્યે મોકલાવી; પણ એના આ અચેતના શરીરને ભોંય પર પડવા દઉં એવી ક્રૂરતા કેમ થાય ? એને હવે સ્વસ્થતાની જરૂર છે. ( લીલાવતીને ઊંચકીને પલંગા પર સુવાડે છે.) પવનથી એને કાંઈ કરાર થશે. ( પાંખો લઈ પવન નાખે છે.) એનું માથું આમ તકિયા પાછળ ઝૂલી જશે તો મગજે લોહી ચઢી જશે.) (લીલાવતીનું માથું ઊંચું કરી ખસેડી તકિયા પર ગોઠવે છે.) એકા ક્ષણમાં શરીર
કેવું કરમાઈ ગયું છે! અંગોના સ્પર્શમાં શી કોમલતા છે ! દેહલતાનું શું લાવણ્ય છે! ગૌર વર્ણની શી ઉજ્જવલતા છે ! અને, અહો ! કેવી સ્થિતિ !

જેવી કો મણીમાલ નિર્જન વને સ્વામી વિનાની પડી,
ઊંચાં રત્નની તોય મૂલ્ય વિણની ઝાંખી અટૂલી થઈ;
ચૈતન્યેથી વિહીન તોય પશુઓ જેને તજે ભિતીથી,
તેવી આ યુવતી અહીં પડિ અને – બીતો હું પાછો હઠું! ૬૧

પણ, મને બીક શાની ! મારા પગ કેમ ધ્રૂજે છે ? શું હું જંગલનું પશુ છું ? શું સૌન્દર્ય જોઈ હું બીઉમ છું ? આ સૌન્દર્યના સંમુખ મારે થવાનું છે એ જાણીને જ હું અહીં આવ્યો છું. પર્વતરાયના મૃત્યુની ખબર લઈ જનાર બીજું કોઈ હશે તો તે લીલાવતીને અનિવાર્ય આઘાત કરી બેસશે, અને મારા આવ્યા પહેલાં આવેલી એવી ખબરથી રાજ્યની લગામ કોઈના પણ હાથમાં રહેવી મુશ્કેલ થઈ પડશે, એમ વિચારી મેં જાતે આ વાત પ્રગટ કરવાનું માથે લીધું, અને, હવે મને વિહ્વલતા કેમ થાય છે? આ સૌન્દર્ય ચન્દ્રિકામાં શું મારા સંકલ્પતારકો ઝાંખા થઈ ગયા ? ‘આપજો બાળ એહવું’ – એ કયા શ્લોકની લીટી મને અત્યારે યાદ આવી ? કાવ્યો મુખપાઠે કરવાથી ગમે ત્યારે સ્મૃતિમાં ઊપડી આવે છે. અરે ! ના, એ તો તે પ્રસંગની મારી પ્રાર્થાનાનું ચરણ છે ! એ બળનો પ્રવેશ કેવો પ્રિયંકર છે ! હવે અમરા સંકલ્પ ઉદ્દીપ્ત થયા અને સબળ થયા, સૌન્દર્ય એ તો પ્રભુની વિભૂતિ છે. એમાં ભયકારક શું છે ? સૌન્દર્યનો આનન્દથી, પવિત્રતાથી કે શક્તિથી વિરોધ શા માટે થવા દેવો જોઇએ ? અરે ! મારી મોહવશતામાં હું આને મૂર્છામાંથી જાગ્રત કરવાનું પણ
ભૂલી ગયો છું. (જલપાત્રથી પાણી લઈ લીલાવતીના મોં પર છાંટે છે.) રાણી લીલાવતી, જાગ્રત થાઓ ! સાવધ થાઓ, લીલાવતી !
[લીલાવતી આંખો ઉઘાડી આસપાસ જુએ છે અને પછી બેઠી થાય છે.]
 
લીલાવતી : હું આ પલંગ પર ક્યાંથી ! આ પાણી શાનું ?
રાઈ : રાણી ! તમને મૂર્છા આવી હતી, તેમાંથી જગાડવા હું પ્રયત્ન કરતો હતો.
લીલાવતી : તમે કોણ છો ? મને યાદ આવ્યું. ( પલંગ પરથી ઊતરે છે.) મને ખરું કહો. આપ મશ્કરી તો નથી કરતા ?
રાઈ : ઈશ્વર સાક્ષી છે. હું કહું છું તે બધું ખરું છે. (ગજવામાંથી કાગળ કાઢીને) બધી હકીકત વિસ્તારથી મેં આ કાગળમાં લખી છે. બીજા ખંડમાં જઈ પરિજનોને સમીપ રાખી શાંત ચિત્તથી એ વાંચશો, અને એમાં ગણાવેલા મારા અપરાધ પર ક્ષમાવંત થશો. (લીલાવતીને કાગળ આપે છે.) જેવાં સકલ ગુર્જર પ્રજાનાં આપ માતા છો તેવાં મારાં પણ માતા છો.
[રાઈ જાય છે તે પછી લીલાવતી જાય છે.]