←  અંક સાતમો: પ્રવેશ ૬ રાઈનો પર્વત
પરિશિષ્ટ
રમણભાઈ મહિપતરામ નીલકંઠ


પરિશિષ્ટ

(૧)
(પ્રસ્તાવનામાં કરેલો ઉલ્લેખ)

(ભવાઈ સંગ્રહમાં "લાલજી મનીઆર"ના વેશમાં)

સાઈઆંસે સબ કુચ હોત હે, મુજ બંદેસે કચુ નાહીં,
રાઈકું પરબત કરે, પરબત બાગેજ માંહી.

આ દુહા નીચે ટીપમાં વાર્તા આપી છે તે નીચે પ્રમાણે છે :-

કોઈ પરબત નામે પાદશાહ હતો. તે એક વખત મધરાત્રે ચાંદની ખૂબ ખીલી રહી છે, તેવામાં પોતાના એક સાથીને લઈ શહેર બહાર પોતાનો એક બાગ હતો ત્યાં ગયો. એ બાગમાં સસલાં, હરણ વગેરે પશુઓ બહુ નુકશાન કરતાં હતાં, તેથી તેનો રખેવાળ માળી રાઈ નામે હતો તેણે વિચાર્યું કે એમાંથી થોડાને મારીશ ત્યારે તેએ કેડો છોડશે. તે રાત્રે કામઠામાં તીર ચડાવીને તૈયાર થઈને બેઠો હતો. એવામાં પાદશાહ અને તેનો સાથી બાગમાં પેઠા. તેમનાં પગલાનો અવાજ સાંભળ્યો કે માળીએ જાણ્યું કોઈ જનાવર પેઠું, ને તે અવાજ ઉપર તીર છોડ્યું. તે પાદશાહની છાતીમાં વાગ્યું, ને તરત તેનો પ્રાણ ગયો. સાથીએ બૂમપાડી કે રાઈ માળી દોડી આવ્યો ને જુવે છે તો પોતાનો ધણી પડ્યો દીઠો. તે ઘબરાયો ને રોવા લાગ્યો. પાદશાહના સાથીએ તેને ધીરજ આપી છાનો રાખ્યો, ને કહ્યું કે , 'ભાઈ તેં અજાણે આ કામ કર્યું છે, માટે તારી તકસીર નથી. પાદશાહના મરણની વાત શહેરમાં જણાશે તો બધું રાજ ઊંધુ વળશે. તખ્તને લેવા સારુ મોટી લડાઈ જાગશે ને બહુ ખરાબી થશે, માટે આ વાત છાની રાખી તને પાદશાહની જગાએ બેસાડું.' પાદશાહનો પોશાક ઉતારી સાફ કરી તેને પહેરાવ્યો, અને પેલા શબને ત્યાં જ દાટ્યું. બંને જણા શહેર ભણી ચાલ્યા. રસ્તામાં પેલા સાથીએ માળીને કહ્યું કે, ' અલ્યા તું જુવાન છે, પાદશાહ ઘરડો હતો; તારી મૂછોના વાળ કાળા છે, પાદશાના સફેદ હતા; તારી શીકલ ને તેની શીકલમાં ઘણો ફેર છે, તે બેગમો અને દરબારી લોકથી ઢાંક્યું રહેવાનું નથી, માટે હું કહું તેમ તદબીર કરવી.' રાત પૂરી થયા પહેલાં બંને જણા મંદિરમાં દાખલ થયા, ને માળીને તેમાંથી એક ભોંએરામાં ઉતાર્યો. સાથીએ સવાર થતાં દરબારમાં જાહેર કર્યું જકે, 'કોઈ મોટો હકીમ પરસદેશથી આવ્યો છે, તેણે પાદશાહને કહ્યું કે જો તમે છ માસ સુધી ભોંએરામાં રહો, કોઇને મળો નહિ, મોઢું દેખાડો નહિ, કોઈની જોડે વાતચીત કરો નહિ, તો એ મુદ્દતમાં હું તમને કેવળ જુવાન કરી દઉં. વાળ ધોળા છે તે કાળા થાય, દાંત પાછા આવે અને ચેરો તો એટલો ફરી જાય કે ઘરનાં માણસ પણ તમને ઓળખે નહિ.' પાદશાહે એ વાત કબૂલ કરી ને હકીમ તથા પોતે ભોંએરામાં ઉતર્યા છે; વજીર રાજકરભાર ચલાવે એવો હુકમ કર્યો છે. આ હુકમ સર્વેએ માન્ય કર્યો. બાદશાહને ભોંએરામાં ખાનપાન લૂગડાં પૂરાં પડે. ફાર્સી જુબાન પણ શીખવી તથા રાજદરબારી બોલવા ચાલવાની રીતથી વાકેફ કરી છ માસ પૂરા થયે બહાર કાઢ્યો. બધાએ છેતરાયા. રાઈ માળી હવે પરબતશાહ કહેવાયો. બુદ્ધિમાન હતો, તેથી રાજ ઠીક ચલાવતો હતો. અંદરની વાત પોતે તથા પેલો સાથી બે જણ જ જાણે. એ સાથી બાદશાહને, નિત્ય રાજમિજલસ મળે તેવારે સલામ કરી છાનું હસીને બેસે. બાદશાહને તેના તાબામાં પણ રહેવું પદે ખરું. નવ વરસ એમ કરતાં ગયાં, ત્યારે બાદશાહે તેને એક મધરાત્રે ચાંદરણી ખીલી રહી છે તે વખત એકાંતમાં કહ્યું, 'ચાલો નદી કાંઠે જઈ સેલ કરીને ફરીએ.' સાથીએ કહ્યું, ' પરબતશાહ કેવો મરી ગયો તે વાત ભૂલી ગયા ! આ વખતે જવું નથી.' બાદશાહે કહ્યું, ' કંઈ ફિકર નહિ, જઈશું.' બેંને જણ નદી કાંઠે આવી ઊભા. ત્યાં એક ચમત્કાર જોયો. વહેતા પાણીમાં દીવા તણાતા દીઠા. એક જાય ને બીજો આવે. પાદશાહે પોતાના સાથીને કહ્યું, 'જાઓ જોઈ આવો એ ક્યાંથી આવે છે.' સાથીએ આનાકાની કરી પણ અંતે જવું પડ્યું. ઉપલાણેથી દીવા આવતા હતા, તેણીમેર ગયો. દીવા આવ્યા જ જાય. જતાં જતાં એક શિવનું દેહેરું આવ્યું. જળાધારી કને માથાવગરનું ધડ પડેલું દીઠું. લિંગના ઉપર ઉંચે ચોટલાવતી માથું લટકતું હતું, તેમાંથી લોહીના ટીપાં લિંગ ઉપર પડતાં હતાં. તે લોહી વહી નીચે ટપકતું હતું, ને તેના દીવા થતા હતા. એ જોઈને તે પાછો વળ્યો ને પાદશાહએ બધો હેવાલ કહ્યો. પાદશાહે પૂછ્યું, 'તે જોઈ તમારા મનમાં શો વિચાર ઉત્પન્ન થયો ? સાચું કહો.' તે ઘબરાયો, પણ પાદશાહે વિશ્વાસ આપ્યો. તેવારે બોલ્યો કે, 'તે વખત મેં એમ કહ્યું, ઓ પ્રભુ ! પેલો માળી પાદશાહ થયો છે તે કરતાં બાપડો વધારે લાએક હતો.' પાદશાહ બોલ્યો, 'તેં બરાબર કહ્યું, ' તેં જેને ત્યાં જોયો એ હું જ છું. એમ ન સમજતો કે તેં મને પાદશાહ કર્યો છે. મને પરમેશ્વરે કર્યો છે.' પાદશાહે પછી પોતાની મૂળની વાત કહી. તે રજપૂત રાજાનો દીકરો હતો. તેને મોટો ભાઈ હતો. બાપ મૂવો ત્યારે મોટા ભાઈને ગાદી મળી ને એને તો જીવાત સારુ એક બે ગામ જ મળ્યાં. તેથી તે નારાજ થઈ બારવટે નીકળ્યો. લશ્કર ભેગું કરવાનો, દેશ લૂંટવાનો તથા પોતાના ભાઇને મારવાનો વિચાર કરતો કરતો તે જંગલમાં અયો, ને પેલા શિવાલય આગળ આવ્યો ત્યાં તેણે વિચાર્યું કે, 'અરે જીવ! મારા સ્વાર્થને સારુ આટલું બધું નુકશાન કરીશ તે કરતાં હું અહીં મસ્તકપૂજા કરું તો મારું કલ્યાણ થાય.' તરત એ મનસૂબો તેણે અમલમાં આણ્યો. તેના સાથીએ કહ્યું, 'જો એવું છે તો તું પાદશાહને પેટે કેમ ન જન્મ્યો?' તેણે જવાબ દીધો, 'મેં એક ભૂલ કરી. તે એ કે આ નદીમાં નાહી ધોઈ શુદ્ધ થયા વિના એમના એમ મેં મારું મસ્તક વાઢ્યું. તેથી માળીને ઘેર જન્મ્યો. તેથી માળીને ઘેર જન્મ્યો !' તું નિત્ય મારી સામું જોઈ હસતો હતો તે હું સમજતો; તું આપણી વાત જાહેર કરી મને ગાદી પરથી કાઢી મૂકવા યત્ન કરીશ તે વ્યર્થ જશે, માટે હોશીઆર રહેજે.' એ સાંભળીને તે સામીએ કહ્યું : 'સાંઈઆં[૧] (પરમેશ્વરથી) સબ કુચ હોત હે.

● ● ●

(૨)

सद्रशं चेश्टते स्वस्याः प्रकृतेर्ज्ञानवानपि ।
प्रकृतिं यान्ति भूतानि निग्रह: किं करिष्यति ॥
भगवद्गीता, अध्याय ३, श्लोक ३३

અર્થ: જ્ઞાનવાન પણ પોતાની પ્રકૃતિનાં સરખી ચેષ્ટા કરે છે. પ્રાણીઓ પ્રાકૃતિને અનુસરે છે; નિગ્રહ શું કરશે? (રોક્યાથી શું થશે)

● ● ●

(૩)

पितासि लोकस्य चराचरस्य त्वमस्य पूज्यश्व गुरुर्गरीयान् ।
न त्वत्समो स्त्यभ्यधिक: कुतो न्यो लोकत्रये प्यप्रतिमप्रभाव ॥
भगवद् गीता अध्याय ११ श्लोक ४३

અર્થ: જેના સરખો કોઈનો પ્રભાવ નથી એવા હે (પરમેશ્વર) તું સ્થાવર જંગમ જગતનો પિતા છે, પૂજ્ય છે, મોટો ગુરુ છે(गुरुर्गरीयान् એવો પાઠ લેતાં 'મોટાથી પણ વધારે મોટો છે') ત્રણે લોકમાં તારા સરખો પણ બીજો નથી (તો) (તારાથી) અધિક (કોઈ) ક્યાંથી હોય ?

● ● ●


[૨]

‘આસો માસે શરદ પુનમની રાત જો' એ લીટીથી શરૂ થતા લોકગીતમાં 'જેઠની ખબુકે વાદળ વીજળી’ એવી લીટી છે

● ● ●

भिद्यते हृदयग्रन्थिश्छिद्यन्ते सर्वसंशया: ।
ज़ीयन्ते चास्य कर्माणि तस्मिन्दृष्टे परावरे ॥
मुण्डकोपशनिषद, २. २. ८.

અર્થ: તે પરાવર (દૂરના અને પાસેના પરમાત્મ) નું દર્શન થતાં આ (પુરુષ)ના હ્રદયની ગાંઠ ભેદાય છે, સર્વ સંશયો છેદાય છે અને કર્મો નષ્ટ થાય છે.

यदा सर्व प्रभिद्यन्ते हृदयस्येह ग्रन्थयः
अथ मत-र्यो मृतो बह्वत्येतावदनुशासनम् ॥
कठोपनिषद, ६ वल्ली, १५

અર્થ: જ્યારે અહીં હૃદયની બધી ગાંઠો ભેદાઈ ગઈ છે ત્યારે મર્ત્ય (મનુષ્ય) અમૃત (અમર) થાય છે, એટલું અનુશાસન (છે).

● ● ●

ભવાઈ સંગ્રહમાં 'કજોડાના વેશ' માં મસ્તકપૂજાનો ગરબો આવે છે.


● ● ●

जडमूकान्धबधिरांस्तिर्यग्योनन्व योतिगान् ।
स्त्रीम्लेच्छव्याधितव्यङ्गान् । मन्त्रकाले पसरयेत्॥
भिन्द्न्त्यवमता मन्त्रं तैर्यग्योनास्तथैव च ।
स्त्रियश्वैव विशेषण तस्मात्तत्राद्तो थवेत ॥
मनुस्मृति अध्याय ७ , श्लोक १४९-५०

અર્થ: જડ, મૂંગા, આંધળા, બહેરા, (પોપટ મેના વગેરે) પશુપક્ષીઓ, ઘરડા, સ્ત્રીઓ, મ્લેચ્છો, રોગી, અંગહીન (=અંગે ખોડા) એમને મંત્ર (રાજકાર્યોની સલાહ) ને સમયે દૂર કરવા.

કારણ કે, તેઓ અપમાન પામે ત્યારે મંત્રનો ભેદ કરી દે છે. (= મંત્રની ગુપ્તતા ફોડી દે છે); પશુપક્ષીઓ પણ તેમ (કરે છે). અને, સ્ત્રીઓ વિશેષે કરી તેમ જ (કરે છે). તે માટે તેમાં (=તેમને દૂર કરવામાં)યત્નશીલ રહેવું.

● ● ●

शय्यासनमलंकारं कामं क्रिधमनार्जवम् ।
द्रोहभावं कुचर्यां च स्त्रीभ्यो मनुरकल्पयत् ॥
नास्ति स्त्रीणां क्रिया मन्तै धर्मे व्यवस्थिति: ।
निरिन्द्रिया ह्यमन्त्राश्व स्त्रियोनृतमिति स्थिति: ॥
मनुस्मृति अध्याय ९, श्लोक १७, १८

અર્થ: શય્યાનું આસન, અલંકાર, કામ, ક્રોધ, કપટીપણું, દ્રોહભાવ અને નઠારા આચાર, (એ) મનુએ સ્ત્રીઓ માટે કલ્પ્યાં છે.

સ્ત્રીઓને મંત્રોથી (કરવાની જાતકર્માદિ) ક્રિયા નથી એવી ધર્મ (શાસ્ત્ર)માં વ્યવસ્થિત (=મર્યાદા) છે; સ્ત્રીઓ નિરિન્દ્રિય (=ધર્મપ્રમાણ વગરની, અધર્મગજ્ઞ) અનએ અમંત્ર (મંત્ર વડે પાપ દૂર કરવા અસમર્થ છે) અને અસત્ય (જેવી અશુભ છે.)

● ● ●

तस्मादेता: सदा पूज्या भूषणाच्छदिनाशनै:
भूतिकामैर्नरैर्नित्यं सत्कारेषूत्सवेषु च ॥
मनुस्मृति अध्याय ९, श्लोक ५९

અર્થ: તેથી, સમૃદ્ધિ ઇચ્છનારા જનોએ એઓને (સ્ત્રીઓને) ભૂષણ, વસ્ત્ર અને ભોજનથી સત્કારોમાં (=હર્ષના પ્રસંગોમાં) અને ઉત્સવોમાં પૂજવી.</ref>ઘરેણાં લૂગડાં વસાવ્યાથી આપણા ઘરની મિલકત થાય, અને વળી, તે સ્ત્રીઓ પાસેથી પાછાં લઈ લેવાં નહિ એવું મનુ ભગવાને ક્યાં કહ્યું છે ? અને , બાયડી ખાય તે વિના ઘરનું કામકાજ શી રીતે કરે? ઘોડા અને બળદ પાસે કામ લેવાનું હોય તે પ્રમાણે તેમને આપણે વધતી ઓછી રાતબ નથી આપતા ? બાયડીઓ જાણે કે અમારું મન રખાય છે ને ફાયદો થાય ધણીઓનો એવો સ્મૃતિનો હેતુ છે. <ref>

अपत्यं धर्मकार्याणि शुश्रूषा रतिरूत्तमा ।
दाराधीएनस्वथा रवगः पितृणामात्मनश्च ह ॥
मनुस्मृति, अध्याय ९, श्लोक २८

અર્થ: સંતાનની ઉત્પત્તિ (અજ્ઞિહોત્ર વગેરે) ધર્મકાર્યો,સેવા, ઉત્તમ રતિ પિત્રોનું અને પોતાનું સ્વર્ગ : (એ સર્વ) ભાર્યાઓને આધીન છે અર્થાત્ ભાર્યા વડે મળે છે.

● ● ●

(૧૦)


यत्र नार्यस्तु पूज्यते रमन्ते तत्र देवता: ।
यत्रैतास्तु न पूज्यन्ते सर्वास्तत्राफला: क्रिया:॥
शोचन्ति जामयो यत्र विनश्यत्याशु तत्कुलम।
न शोचन्ति तु यत्रैता वर्धते तद्धि सर्वदा ॥
मनुस्मृति अध्याय ३, श्लोक ५६, ५७

અર્થ: અને જ્યાં નારીઓ પૂજય છે ત્યાં દેવતાઓ પ્રસન્ન રહે છે; અને જ્યાં એઓ = (=નારીઓ)પૂજાતી નથી ત્યાં સર્વ ક્રિયાઓ (ધર્મક્રિયાઓ) અફળ (જાય છે.)

જે કુલમાં સ્ત્રી સગામો શોક કરે છે તે કુલ જલદી નાશ પામે છે; જે કુલમાં એઓ શોક કરતી નથી તે કુલ સર્વદા વૃદ્ધિ પામે છે.


● ● ●

तस्मादेताः सदा पूज्या भूषणाच्छादनाशनैः ।
भूतिकामैर्न रैर्नित्यं सत्कारेषूत्सवेषु च ॥
मनुस्मृति, अध्याय ३, श्लोक ५९

અર્થ : તેની સમૃદ્ધિ ઇચ્છનારા જનોએ તેઓને (સ્ત્રીઓને ભૂષણ, વસ્ત્ર અને ભોજનથી સત્કારોમાં (= હર્ષના પ્રસંગોમાં) અને ઉત્સવોમાં પૂજવી.

● ● ●

આ દુહો ભવાઈ સંગ્રહમાં ‘છેલબટાઉ’ના વેશમાં કહેલો છે.

■ ■ ■

  1. સાંઈઆ=સાંઈ=स्वामी
  2. ‘રાઈ’ એ ‘રાયજી’ , એ નામનો ‘જી’ કાઢી નાખતા થયેલું નામ છે.
    ‘પરબત’ નામનો કોઈ પાદશાહ નથી, એને ફારસી કે અરબી ભાષામાં ‘પરબત’ એવો શબ્દ પણ અન્થી. ‘પર્વત’ ઉપરથી ભવાઈઆઓએ ‘પરબત’ કર્યું હોય, અને ‘પરબત’ કોઈ મુસલમાન પાદશાહ હશે એમ કલ્પ્યું હોય, એમ સંભવે છે.
    ‘રોઈકું પરબત કરે’ એનું ગુજરાતી ભાષાન્તર ‘રાઈને પર્વત કરે’ એવું થાય; તેને બદલે ‘રાઈનો પર્વત કરે’ એવું મને વધારે ઠીક લાગ્યું છે.