← અધ્યાય અગિયારમો ગીતાધ્વનિ
અધ્યાય ૧૨મો : ભક્તિતત્ત્વ
કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા
અધ્યાય તેરમો →



અધ્યાય ૧૨ મો
ભક્તિતત્ત્વ

અર્જુન બોલ્યા--
નિત્યયુક્ત થઈ આમ જે ભક્ત તમને ભજે;
ને જે અક્ષર, અવ્યક્ત--તે બે માંહી ક્યા ચડે? ૧

શ્રી ભગવાન બોલ્યા--
મારામાં મનને પ્રોઈ, નિત્યયુક્ત થઈ મ’ને,
ભજે પરમ શર્દ્ધાથી, તે યોગી ચડતા ગણું. ૨

જેઓ અચિંત્ય, અવ્યક્ત, સર્વવ્યાપક, નિશ્ચળ,
એકરૂપ, અનિર્દેશ્ય, ધ્રુવ, અક્ષરને ભજ. ૩

ઇન્દ્રિયો નિયમે રાખી, સર્વત્ર સમબુદ્ધિના,
સર્વભૂતહિતે રક્ત, તેયે મ’ને જ પામતા. ૪

અવ્યક્તે ચિત્ત ચોંટાડે, તેને ક્લેશ થતો વધુ;
મહા પરિશ્રમે દેહી, પામે અવ્યક્તમાં ગતિ. ૫

મારામાં સર્વ કર્મોનો કરી સંન્યાસ, મત્પર,
અનન્ય યોગથી મારાં કરે ધ્યાન—ઉપાસના. ૬


મારામાં ચિત્તપ્રોતા તે ભક્તોનો ભવસાગરે,
વિના વિલંબ ઉદ્ધાર કરું છું, પાર્થ, હું સ્વયં. ૭

હું—માં જ મનને સ્થાપ, નિષ્ઠા મારી જ રાખ તું;
તો મારામાં જ નિ:શંક, વસીશ હવે પછી. ૮

જો ન રાખી શકે સ્થિર હું—માં ચિત્ત સમાધિથી,
તો મ’ને પામવા ઇચ્છ, સાધી અભ્યાસયોગને. ૯

અભ્યાસેયે ન જો શક્તિ, થા મત્કર્મપરાયણ;
મારે અર્થે કરે કર્મો; તોયે પામીશ સિદ્ધિને.[૧] ૧૦

જો ન કરી શકે તેયે, આશરો મુજ યોગને,
તો સૌ કર્મફળો ત્યાગ, રાખીને મનને વશ. ૧૧

ઊંચું અભ્યાસથી જ્ઞાન, જ્ઞાનથી ધ્યાન તો ચડે;
ધ્યાનથી ફળનો ત્યાગ, ત્યાગથી શાંતિ સત્વર. [૨] ૧૨

અદ્વેષ સર્વ ભૂતોનો, મિત્રતા, કરુણા, ક્ષમા,
નિર્મમ, નિરહંકાર, સુખદુ:ખે સમાનતા. ૧૩

યોગી સદાય સંતોષી, જિતાત્મા, દૃઢનિશ્ચયી,
મનબુદ્ધિ મ’ને અર્પ્યા તે મદ્ ભક્ત મ’ને પ્રિય. ૧૪

જેથી દુભાય ના લોકો, લોકથી જે દુભાય ના;
હર્ષ—ક્રોધ—ભય—ક્ષોભે છૂટ્યો જે, તે મ’ને પ્રિય. ૧૫


પવિત્ર, નિસ્પૃહી, દક્ષ, ઉદાસીન, વ્યથા નહીં,
સૌ કર્મારંભ [૩] છોડેલો, મારો ભક્ત મ’ને પ્રિય. ૧૬

ન કરે હર્ષ કે દ્વેષ, ન કરે શોક કે સ્પૃહા;
શુભાશુભ ત્યજ્યાં જેણે, ભક્તિમાન મ’ને પ્રિય. ૧૭

સમ જે શત્રુ ને મિત્રે, સમ માનાપમાનમાં;
ટાઢે—તાપે, સુખે દુ:ખે સમ, આસક્તિહીન જે; ૧૮

સમાન સ્તુતિ—નિંદામાં, મૌની, સંતુષ્ટ જે મળે;
સ્થિરબુદ્ધિ, નિરાલંબ, ભક્ત જે, તે મ’ને પ્રિય. ૧૯

આ ધર્મામૃતને સેવે શ્રદ્ધાથી જેમ મેં કહ્યું,
મત્પરાયણ જે ભક્તો, તે મ’ને અતિશે પ્રિય. ૨૦

  1. [મારે માટે કર્મ કરવાં, તેને જ પરમ ધ્યેય સમજવાવાળો થા. ]
  2. [છઠ્ઠા અધ્યાયમાં કહ્યાં છે, તેવા અભ્યાસયોગ કરતાં જ્ઞાન ઊંચું છે; તે કરતાં ધ્યાન(શ્લોક૬ થી ૮મા કહેલી ભક્તિ ) ચડે. કારણકે તે ધ્યાનથી જ ફળનો ત્યાગ સિદ્ધ થાય છે; અને ત્યાગથી જ સત્વર શાંતિ મળે છે.]
  3. [કર્મારંભ—(આસક્તિપૂર્વક થતાં) કર્મોનો ખટાટોપ.]