← અધ્યાય પહેલો ગીતાધ્વનિ
અધ્યાય બીજો: જ્ઞાન અને યોગનું તત્ત્વ
કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા
અધ્યાય ત્રીજો →



અધ્યાય ૨ જો
જ્ઞાન અને યોગનું મહત્ત્વ


સંજય બોલ્યા—
આમ તે રાંકભાવે ને આંસુએ વ્યગ્ર દૃષ્ટિથી
શોચતા પાર્થને આવાં વચનો માધવે કહ્યાં ૧
 
શ્રી ભગવાન બોલ્યા—
ક્યાંથી મોહ તને આવો ઊપજ્યો વસમી પળે
નહીં જે આર્યને શોભે, સ્વર્ગ ને યશ જે હરે? ૨

મા તું કાયર થા, પાર્થ, તને આ ઘટતું (શોભતું ) નથી;
હૈયાના દૂબળા ભાવ છોડી ઊઠ, પરંતપ. [૧]

અર્જુન બોલ્યા--
મારે જે પૂજવા યોગ્ય ભીષ્મ ને દ્રોણ, તે પ્રતિ
કેમ હું રણસંગ્રામે બાણોથી યુદ્ધ આદરું? ૪

વિના હણીને ગુરુઓ મહાત્મા
ભિક્ષા વડે જીવવું તેય સારું;
હણી અમે તો ગુરુ અર્થવાંછુ
લોહીભર્યાં માણશું ભોગ લોકે ! ૫


થાયે અમારો જય તેમનો વા--
શામાં અમારું હિત તે ન સૂઝે;
જેને હણીને જીવવુંતે ગમે ના,
સામા ખડા તે ધૃતરાષ્ટ્ર—પુત્રો. ॥૬॥

સ્વભાવ મેટ્યો મુજ રાંકભાવે,
ન ધર્મ સૂઝે, તમને હું પૂછું;
બોધો મ’ને નિશ્ચિત શ્રેય જેમાં,
છું શિષ્ય, આવ્યો શરણે તમારે. [૨]॥૭॥

           
સમૃદ્ધ ને શત્રુ વિનાનું રાજ્ય
મળે જગે કે સુરલોકમાંયે;
તોયે ન દેખું કંઈ શોક ટાળે
મારી બધી ઇંન્દ્રિય તાવનારો. ॥૮॥

સંજય બોલ્યા—
પરંતપ, ગુડાકેશે આમ ગોવિંદને કહી,
“હું તો નહીં લડું” એવું બોલી મૌન ધર્યું પછી. ॥૯॥

આમ બે સૈન્યની વચ્ચે ખેદે વ્યાપેલ પાર્થને
હસતાં –શું હ્રષીકેશે આવાં ત્યાં વચનો કહ્યાં -- ॥૧૦॥

શ્રી ભગવાન બોલ્યા—
ન ઘટે ત્યાં કરે શોક, ને વાતો જ્ઞાનની વદે !
પ્રાણો ગયા—રહ્યા તેનો જ્ઞાનીઓ શોક ના કરે. ॥૧૧॥


હું તું કે આ મહીપાળો, પૂર્વે ક્યારે હતા નહીં,
ન હઈશું ભવિષ્યેયે એમ તું જાણતો રખે. ૧૨

દેહીને દેહમાં આવે બાળ, જોબન ને જરા,
તેમ આવે નવો દેહ, તેમાં મૂંઝાય ધીર ના. ૧૩

સ્પર્શાદિ વિષયો જાણ શીતોષ્ણ-સુખદુ:ખમાં,
અનિત્ય, જાય ને આવે, તેને, અર્જુન લે સહી. ૧૪

તે પીડી ન શકે જેને, સમ જે સુખદુ:ખમાં,
તે ધીર માનવી થાય પામવા યોગ્ય મોક્ષને. ૧૫

અસત્યને ન અસ્તિત્વ, નથી નાશેય સત્યનો;
નિહાળ્યો તત્ત્વદર્શીએ આવો સિદ્ધાંત બેઉનો. ૧૬

જાણજે અવિનાશી તે જેથી વિસ્તર્યું આ બધું;
તે અવ્યય તણો નાશ કોઈયે ના કરી શકે. ૧૭

અવિનાશે, પ્રમાતીત, નિત્ય દેહીતણા કહ્યાં
શરીરો અંતવાળાં આ તેથી તું ઝૂઝ, અર્જુન. ૧૮

જે માને , કે હણે છે તે, જે માને તે હણાય છે.
બંનેયે તત્ત્વ જાણે ના, હણે ના તે હણાય ના. ૧૯
           
ન જન્મ પામે, ન કદાપિ મૃત્યુ,
ન્હોતો ન તે કે ન હશે ન પાછો;
અજન્મ, તે નિત્ય, સદા, પુરાણ,
હણ્યે શરીરે ન હણાય તે તો.[૩]૨૦


જે એને જાણતો નિત્ય, અનાશી, અજ, અવ્યય,
તે નર કેમ ને કોને હણાવે અથવા હણે? ૨૧

ત્યજી દઈ જીર્ણ થયેલ વસ્ત્રો,
લે છે નવાં જેમ મનુષ્ય બીજાં;
ત્યજી દઈ જીર્ણ શરીર તેમ,
પામે નવાં અન્ય શરીર દેહી. ૨૨

ન તેને છેદતાં શસ્ત્રો, ન તેને અગ્નિ બાળતો,
ન તેને ભીંજવે પાણી, ન તેને વાયુ સૂકવે. ૨૩

છેદાય ના, બળે ના તે, ન ભીંજાય, સુકાય ના;
સર્વવ્યાપક તે નિત્ય, સ્થિર, નિશ્ચળ, શાશ્વત. ૨૪

તેને અચિંત્ય, અવ્યક્ત, નિર્વિકાર કહે વળી;
તેથી એવો પિછાણી તે, તને શોક ઘટે નહીં. ૨૫

ને જો માને તું આત્માનાં જન્મ-મૃત્યુ ક્ષણે ક્ષણે,
તોયે તારે, નહાબાહુ, આવો શોક ઘટે નહીં. ૨૬

જન્મ્યાનું નિશ્ચયે મૃત્યુ, મૂઆનો જન્મ નિશ્ચયે;
માટે જે ન ટળે તેમાં તને શોક ઘટે નહીં. ૨૭

અવ્યક્ત આદિ ભૂતોનું, મધ્યમાં વ્યક્ત ભાસતું;
વળી, અવ્યકત છે અંત; તેમાં ઉદ્વેગ જોગ શું? ૨૮

આશ્ચર્ય શું કોઈ નિહાળતું એ,
આશ્ચર્ય શું તેમ વદે, વળી, કો,


આશ્ચર્ય શું અન્ય સુણેય કોઈ,
સુણ્યા છતાં કો સમજે ન તેને. ૨૯

સદા અવધ્ય તે દેહી સઘળાના શરીરમાં;
કોઈયે ભૂતનો તેથી તને શોક ઘટે નહીં. ૩૦

વળી, સ્વધર્મ જોતાંયે ન તારે ડરવું ઘટે;
ધર્મયુદ્ધ થકી બીજું શ્રેત ક્ષત્રિયને નથી. ૩૧

અનાયાસે ઉઘાડું જ સ્વર્ગનું દ્વાર સાંપડ્યું;
ક્ષત્રિયો ભાગ્યશાળી જે તે પામે યુદ્ધ આ સમું. ૩૨

માટે આ ધર્મસંગ્રામાઅવો જો ન કરીશ તું,
તો તું સ્વધર્મ ને કીર્તિ છાંડી પામીશ પાપ ને. ૩૩

અખંડ કરશે વાતો લોકો તારી અકીર્તિની;
માની પુરુષને કાજે અકીર્તિ મૃત્યુથી વધુ. ૩૪

ડરીને રણ તેં ટાળ્યું માનશે સૌ મહારથી;
રહ્યો સન્માન્ય જેઓમાં તુચ્છ તેને જ તું થશે. ૩૫

ન બોલ્યાના ઘણા બોલ બોલશે તુજ શત્રુઓ;
નિંદશે તુજ સામર્થ્ય, તેથી દુ:ખ કયું વધું? ૩૬

હણાયે પામશે સ્વર્ગ, જીત્યે ભોગવશે મહી;
માટે, પાર્થ, ખડો થા તું, યુદ્ધાર્થે દૃઢનિશ્ચયે. ૩૭

લાભ-હાનિ સુખો-દુ:ખો, હાર-જીત કરી સમ,
પછી યુદ્ધાર્થ થા સજ્જ, તો ના પાપ થશે તને. ૩૮


કહી આ સાંખ્યની બુદ્ધિ, હવે સાંભળ યોગની;
જે બુદ્ધિથી થયે યુક્ત તોડીશ કર્મબંધન. ૩૯

આદર્યું વણસે ના ને વિઘ્ન ના ઊપજે અહીં;
સ્વલ્પે આ ધર્મનો અંશ ઉગારે ભયથી વડા. ૪૦

એમાં મનુષ્યની બુદ્ધિ એક નિશ્ચયમાં રહે;
અનંત, બહુ શાખાળી બુદ્ધિ નિશ્ચયહીનની. ૪૧

અલ્પબુદ્ધિજનો, પાર્થ કામ-સ્વર્ગ-પરાયણ,
વેદવાદ વિષે મગ્ન, આવી જે કર્મકાંડની ૪૨

જન્મ-કર્મ-ફળો દેતી, ભોગ-ઐશ્વર્ય સાધતી
વાણીને ખીલવી બોલે, “આથી અન્ય કશું નથી.” ૪૩

ભોગ-ઐશ્વર્યમાં ચોંટ્યા, હરાઈ બુદ્ધિ તે વડે,--
તેમની બુદ્ધિની નિષ્ઠા ઠરે નહીં સમાધિમાં. ૪૪

ત્રિગુણાત્મક વેદાર્થો[૪], થા ગુણાતીત, આત્મવાન,
નિશિત યોગ ને ક્ષેમે, નિર્દ્વંદ, નિત્ય—સત્વવાન્ ૪૫


નીર- ભરેલ સર્વત્ર તળાવે કામ જેટલું,
તેટલું સર્વ વેદોમાં વિજ્ઞાની બ્રહ્મનિષ્ઠને. [૫] ૪૬

કર્મે જ અધિકારી તું, ક્યારેય ફળનો નહીં,
મા હો કર્મફળે દૃષ્ટિ, મા હો રાગ અકર્મમાં. ૪૭

કર યોગે રહી કર્મ, તેમાં આસક્તિને ત્યજી;
યશાયશ સમા માની,--સમતા તે જ યોગ છે. ૪૮


અત્યંત હીન તો કર્મ બુદ્ધિયોગ થકી ખરે;
શરણું બુદ્ધિમાં શોધ, રાંક જે ફળ વાંછતા. [૬] ૪૯

બુદ્ધિયોગી અહીં છોડે પાપ ને પુણ્ય બેઉયે;
માટે થા યોગમાં યુક્ત, કર્મે કૌશલ્ય યોગ છે. [૭] ૫૦

બુદ્ધિયોગી વિવેકી તે, ત્યાગીને કર્મનાં ફ્ળો,
જન્મબંધનથી છૂટી પોં’ચે નિર્દોષ ધામને. ૫૧

મોહનાં કળણો જ્યારે તારી બુદ્ધિ તરી જશે;
સુણ્યું ને સુણવું બાકી બી નિર્વેદ આવશે. [૮] ૫૨

બહુ સુણી ગૂંચાયેલી તારી બુદ્ધિ થશે સ્થિર,
અચંચળ, સમાધિસ્થ, ત્યારે તું યોગ પામશે. ૫૩
           
અર્જુન બોલ્યા—
સમાધિમાં સ્થિતપ્રજ્ઞ જાણવો કેમ, કેશવ?
બોલે, રહે, ફરે કેમ, મુનિ જે સ્થિરબુદ્ધિનો? ૫૪
           
શ્રીભગવાન બોલ્યા—
મનની કામના સર્વે છોડીને, આત્મમાં જ જે
રહે અંતુષ્ટ આત્માથી, તે સ્થિતપ્રજ્ઞ જાણવો. ૫૫


દુ:ખે ઉદ્વેગ ના ચિત્તે, સુખોની ઝંખના ગઈ;
ગયા રાગ-ભય-ક્રોધ, મુનિ તે સ્થિરબુદ્ધિનો. ૫૬

આસક્ત નહીં જે ક્યાંય, મળ્યે કાંઈ શુભાશુભ;
ન કરે હર્ષ કે દ્વેષ તેની પ્રજ્ઞા થઈ સ્થિર. ૫૭

કાચબો જેમ અંગોને, તેમ જે વિષયોથકી
સંકેલે ઇંદ્રિયો પૂર્ણ, તેની પ્રજ્ઞા થઈ સ્થિર ૫૮

નિરાહારી શરીરીના ટળે છે વિષયો છતાં,
રસ રહી જતો તેમાં, તે ટળે પેખતાં પરં. ૫૯

પ્રયત્નમાં રહે તોયે શાણાયે નરના હરે
મનને ઇન્દ્રિયો મસ્ત વેગથી વિષયો ભણી. ૬૦

યોગથી તે વશે રાખી રહેવું મત્પરાયણ,
ઇન્દ્રિયો સંયમે જેની, તેની પ્રજ્ઞા થઈ સ્થિર. ૬૧

વિષયોનું રહે ધ્યાન તેમાં આસક્તિ ઊપજે,
જન્મે આસક્તિથી કામ, કામથી ક્રોધ નીપજે. ૬૨

ક્રોધથી મૂઢતા આવે, મૂઢતા સ્મૃતિ ને હરે;
સ્મૃતિલોપે બુદ્ધિનાશ, બુદ્ધિનાશે વિનાશ છે. ૬૩

રાગ ને દ્વેષ છૂટેલી ઇન્દ્રિયે વિષયો ગ્રહે
વશેન્દ્રિય સ્થિરાત્મા જે, તે પામે છે પ્રસન્નતા. ૬૪

પામ્યે પ્રસન્નતા તેનાં દુ:ખો સૌ નાશ પામતાં;
પામ્યો પ્રસન્નતા તેની બુદ્ધિ શીઘ્ર બને સ્થિર. ૬૫


અયોગીને નથી બુદ્ધિ, અયોગીને ન ભાવના;
ન ભાવહીનને શાંતિ, સુખ ક્યાંથી અશાંતને? ૬૬

ઇન્દ્રિયો વિષયે દોડે, તે પૂઠે જે વહે મન,
દેહીની તે હરે બુદ્ધિ, જેમ વા નાવને જળે. ૬૭

તેથી જેણે બધી રીતે રક્ષેલી વિષયોથકી
ઇન્દ્રિયો નિગ્રહે રાખી, તેની પ્રજ્ઞા થઈ સ્થિર. ૬૮

નિશા જે સર્વ ભૂતોની, તેમાં જાગ્રત સંયમી,
જેમાં જાગે બધાં ભૂતો, તે જ્ઞાની મુનિની નિશા. ૬૯

સદા ભરાતા અચલપ્રતિષ્ઠ
સમુદ્રમાં નીર બધાં પ્રવેશે;
જેમાં પ્રવેશે સહુ કામ તેમ,
તે શાંતિ પામે નહીં કામકામી. [૯] ૭૦

છોડીને કામના સર્વે ફરે જે નર નિસ્પૃહ,
અહંતા-મમતા મૂકી, તે પામે શાંતિ, ભારત. ૭૧

આછે બ્રહ્મદશા એને પામ્યે ના મોહમાં પડે;
અંતકાળેય તે રાખી બ્રહ્મનિર્વાણ મેળવે. ૭૨


  1. [If one reads this one Shloka— ક્લૈબ્યં મા સ્મ ગમ: પાર્થ નૈતત્ત્વય્યુપદ્યતે I ક્ષુદ્રં હ્રદ્યદૌર્બલ્યં ત્યક્ત્વોત્તિષ્ઠ પરંતપ II 2/3 --one gets all the merits of reading the entire GITA; For in this one Shloka lies embedded the whole Message of the GITA --SWAMI VIVEKANANDA]
  2. [ગીતામાં જ્યાં જ્યાં સ્વભાવ શબ્દ આવે ત્યાં ત્યાં તેના પૂરા અર્થમાં સમજવા જોઈએ. એટલે કે પોતાનોમૂળ ભાવ, અસલ પ્રકૃતિ. જેમ કે, અહીં ક્ષત્રિયપણાનો.]
  3. [(2) ભૂતકાળમાં તે ‘નહોતો’ કે ભવિષ્યકાળમાં ‘ન હશે ’એમ એને માટે કહી ન શકાય. તેથી એ ભૂતમાં ‘હતો’ અને ભવિષ્યમાં ‘હશે’ એમ પણ ન કહેવાય. ‘છે’ એજ એને માટે યોગ્ય શબ્દ(3) નિત્ય—દિવસ-રાત, ઋતુઓ, મરણ, વગેરે કેટલીક બાબતો નિત્ય છે, એટલે એને વખતે આવ્યા વિના નહીં રહે એવી છે. પણ સદા, એટલે સતત,શાશ્વત, સનાતન કે નિરંતર અને અખંડ નથી. આત્મા સદા છે. સદાને નિત્ય પણ કહી શકાય, માટે આત્મા નિત્ય તેમ જ સદા છે. ]
  4. [વેદાર્થો—વેદના વિષયો.]
  5. (૧) બે અર્થ કરાય છે: ૧. બધે પાણીથી ભરેલા તળાવનું કેટલું કામ? ઉત્તર—ખપ જેટલું. અને ૨. બધે જ પાણી ભર્યું હોય પછી તળાવનું કેટલું કામ? ઉત્તર- મુદ્દલ નહીં. એ પ્રમાણે બ્રહ્મનિષ્ઠને વેદોનો ખપ કેટલો? કેટલાક પહેલો ઉત્તર આપે છે તો વળી કેટલાક બીજો. મને પહેલો અર્થ વધારે ઠીક લાગે છે.
  6. (૨) બુદ્ધિનો સામાન્ય અર્થ જ્ઞાન થાય છે. પણ ગીતામાં તે સમતાની બુદ્ધિ(નિષ્ઠા) ના ખાસ અર્થમાં વપરાયો છે. અર્જુનના ધ્યાનમાં એ આવતું નથી એમ કલ્પના કરી, એ સાફ કરવા માટે ૩જા અને ૫મા અધ્યાયની ચર્ચા ઊભી કરી છે. બુદ્ધિ -૦યોગ, ૦યોગી= યોગી, યુક્ત-યોગયુક્ત, એ બધા શબ્દોમાં સમતાની બુદ્ધિ અને સમતાનો યોગ જ સમજવું. અયોગી, અયુક્ત વગેરેશબ્દોના અર્થ તેથી ઊલટા.
  7. (૩) કૌશલ્ય= (૧) નિર્વિઘ્નતા;(૨) નિપુણતા; સમતાની બુદ્ધિજ કર્મયોગમાં નિર્વિઘ્નતા છે, અને તેથીતે જ સાચી નિપુણતા છે. કેટલાક એમ પણ અર્થ કરે છે કે, કર્મમાં નિપુણતા એ જ યોગ છે. એટલો જ અર્થ બરાબર નથી. પણ નિપુણતા વિનાનું કર્મ વિધિયુક્ત-શાસ્ત્રીય રીતે થયેલું –ન હોવાથી, તેને કર્મ જ ન કહેવાય. એ અકર્મ થાય. એટલે નિપુણતાયે કર્મયોગમાં જરૂરની છે જ.
  8. (૪) બેએ= બેઉમાં.
  9. [સહેજ ફેર સાથે આ શ્લોકના પણ બે અર્થો શક્ય છે. (૧) “સદા ભરાતા(અને) અચળ પ્રતિષ્ઠાવાળા સમુદ્રમાં (જેમ) બધાં નીર પ્રવેશે છે, તેમ જેમાં સહુ કામ પ્રવેશે, તે કામકામી શાંતિ પામે નહીં.)” ત્યારે કોણ પામે, તે માટે ૭૧મો શ્લોક જુઓ. (૨) “સદા ભરાતા(છતાં) અચળ પ્રતિષ્ઠ... તે શાંતિ પામે. કામકામી નહીં (પામે).” ]