રાઈનો પર્વત/અંક છઠ્ઠો/ પ્રવેશ ૩ જો

←  અંક છઠ્ઠો: પ્રવેશ ૨ રાઈનો પર્વત
અંક છઠ્ઠો: પ્રવેશ ૩
રમણભાઈ મહિપતરામ નીલકંઠ
અંક છઠ્ઠો: પ્રવેશ ૪ →


પ્રવેશ ૩ જો

સ્થળ : વીણાવતીના મહેલની વાડી માંહેની ભૂમિ.

[કોટની પાસે અંદરની બાજુએ પીપળાના ઝાડ આગળ ઊભેલી વીણાવતી પ્રવેશ કરે છે.]

વીણાવતી : હજી કેમ આવ્યા નહિ ? આવશે ખરા કે નહિ ? આટલી મોડી રાત્રે આ પીપળા ઉપરથી ચઢી ઊતરીને અહીં આવવા મેં એમને બોલાવ્યા, પણ એટલું બધું સાહસ એ કરશે ? ગાયની કોડીમાં મારા પત્રનીચે તો લખી મોકલ્યું હતું કે ગમે તેમ કરીને પણ આવીશ, પણ એવું શું છે કે મને મળવા સારુ ગમે તેમ કરીને આવે ? ત્યારે , એવું શું છે કે એમને મળવા સારુ હું પરિજનોને
ઊંઘતા મૂકી છાનીમાની આ એકાન્ત સ્થળે આવી ઊભી છું ? એવું શું છે ? હ્રદય ! એનો ઉત્તર તો તું જ દઈ શકે. તું મને અહીં ખેંચી લાવ્યું છે.

તેં જે ક્ષણેથી દઈ ફેંકિ શાન્તિ,
ગ્રહી અજાણી નવિ કોઈ વૃત્તિ;
ત્યાંથી છુટ્યું તું મુજ તંત્રમાંથી,
ને હું બની છું તુજ તંત્રવશ્ય. ૭૫

(ઊંચે જોઈને) અહો ! આ ઝાડમાંથી કોણ ડોકિયું કરી રહ્યું છે? અરે ! એ તો ચન્દ્ર છે. ચન્દ્ર ! મારી આ વિવશતા જોવાનું તને કુતૂહલ થાય છે ! અને આ શું?

મને વિંટીને કિરણોનિ જાળે,
ધિમે ધિમે ભૂમિથિ તું ઉપાડે;
કરે શું એ કૌતુકતૃપ્તિ સારૂ,
નિહાળવા મન્થકષ્ટ મારું ? ૭૬

પણ કદાચ હું ખોટો આરોપ મૂકતી હઈશ. તું મારી મદદે આવીને આમ કરતો નહિ હોય?

જેહના દર્શનાર્થે હું ઔત્સુક્યે અધિરી ઉભી,
તેની પાસે મને લે શું અન્તરાયો થકી ઉંચે ? ૭૭

[પીપળાના ઝાડ ઉપરથી અવાજ સંભળાય છે.]
 

'સુન્દરી અન્તરાયોનું સામ્રાજ્ય હવે ઉતરી ગયું છે.'

વીણાવતી : (ચમકીને) અરે ! મારાં વચન કોણે સાંભળ્યાં ?

[ઝાડના થડને અડકીને ઊભી રહી ઊંચુ જુએ છે. જગદીપ ઝાડને થડેથી નીચે ઉતરે છે.]

જગદીપ : (ઊતરતાં ઊતરતાં) એ વચનામૃતોનો જે પિપાસુ હતો
તેણે જ પાન કર્યું છે. (નીચે ઊતરી ઝાડના થડને અડકી વીણાવતી પાસે ઊભો રહે છે.) અને એ પાને તેને અધિક તૃષાતુર કર્યો છે, પરંતુ એ અમૃતના સરોવર પર કાંઈ છાયા કેમ દેખાય છે?
વીણાવતી : મને ચિંતા થતી હતી કે કોટ બહાર ઝૂમતી આ ઝાડની ડાળીઓ ઘણી ઊંચી છે, તેને શી રીતે પહોંચીને ઝાડ પર ચઢાશે.

{{ps2|જગદીપ :| ઝાડ પર ચઢતા હું નાનપણથી શીખ્યો છું. પણ મને ખ્યાલ નહોતો કે એ કુશળતા કોઈ દિવસ સ્વર્ગનું દર્શન કરાવશે.

વીણાવતી : આપ અતિ શયોક્તિના વાક્યો બોલો છો.
જગદીપ : મારું હ્રદય બોલાવે છે તે કરતાં એક અક્ષર પણ વધારે નથી બોલતો. હ્રદયને જે વિષય કહેવાનો છે તે અતિશય હોય એમાં તો આપને વાંધો ન જ હોય ?
વીણાવતી : આપ ક્યા વિષય વિશે કહો છો તે સાદી ભાષામાં કહો. તે વિના આ કોટની અંદર રહેનારને શી સમજણ પડે?
જગદીપ : આ કોટની બહારની ભાષામાં એ વિષયને પ્રેમ કહે છે. આ કોટની અંદર એને માટે કદાચ બીજો કોઈ શબ્દ હશે.

[વીણાવતી નીચુંજોઈ રહે છે, પછી ઝાડના થડની છાલ પર નખથી 'મૂંઝવણ' શબ્દ લખે છે.]

જગદીપ : (વાંચીને) તરુણી ! એ મૂંઝવણનું ખરું નામ પ્રેમ છે. એમ તમે હવે જાણ્યું તો પછી એનો સ્વીકાર કરવો ઘટે છે.
વીણાવતી : ખરો શબ્દ સ્વીકાર્યા પછી પણ ખોટાએ કરેલી મુશ્કેલી ખસતી નથી.
જગદીપ : પ્રેમ આગળ કોઈ મુશ્કેલી ટકતી નથી.
વીણાવતી : મારી પરવશતાનો તમને ખ્યાલ નથી. હું રાજપુત્રી છું. પણ ભિખારણ જેટલી પણ હું સ્વેચ્છાની માલિક નથી.

જગદીપ : તમે રાજપુત્રી ! કયા રાજાનું આંગણું આવાં અણમૂલ પગલાંથી ધન્ય થયું છે?
વીણાવતી : પિતાના આંગણે મારો સંચાર હોત તો આ પ્રશ્ન ઉત્પન્ન જ ન થાત, પરંતુ મહારાજ પર્વતરાયને પોતાની પુત્રીને દૂરના એકાન્તમાં પૂરી રાખવી ગમે છે.
જગદીપ : તમે પર્વતરાયનાં પુત્રી ! તેમના કુંવરી તો ગત થયાં છે, એમ લોકો જાણે છે !
વીણાવતી : મારી આસપાસ આ કોટ ઉપરાંત ભેદના બીજા શા શા પડદા વીંટાળેલા છે તે હું જાણતી નથી, પણ હું પર્વતરાયની પુત્રી વીણાવતી છું અને હજી ગત થઈ નથી એટલું તો જાણું છું.
જગદીપ : અહો ! પ્રેમ ! તને કેવાં તોફાન સૂઝે છે ! ક્યાં પર્વતરાયની વીણાવતી અને ક્યાં રત્નદેવીનો પુત્ર જગદીપ !
વીણાવતી : તમે રત્નદીપદેવીના પુત્ર ! તમે અહીં શી રીતે ?
જગદીપ : એ અપરાધનો વૃત્તાન્ત વર્ણવીશ ત્યારે તમે આર્પેલો પ્રેમપ્રસાદ રાખવાનો મારો અધિકાર નહિ રહે.
વીણાવતી :

આ વાડિમાં વિવિધ જે કુસુમો ઉગે છે.
દે છે સુગંધ, પણ, તે નહિ પાછી લે છે;
ને કહાડતાં મધુર જે રવ પક્ષિ આંહી,
લેતાં ન ખેંચિ ફરિ તે નિજ કંઠ માંહી. ૭૮

જગદીપ : પ્રિયા ! તું એ કુસુમો અને પક્ષીઓ સાથે ઊછરી છે, અને તેમના જ વર્ગની છે. તેની પેઠે તારું પ્રમદાન પણ અલોપ્ય છે. તે હું જાણું છું. પરમ્તુ, તારા પ્રતિ થયેલો મારો અપરાધ હું ગુપ્ત રાખી તારું પ્રેમદાન અકુંઠિત થવા દઉં એ ન્યાય નથી.

વીણાવતી : જેના ગુણને હું પૂજું છું તેના અપરધ જાણવાને મને શી જિજ્ઞાસા હોય?
જગદીપ : (જમીન તરફ જોઇને) અરે, આ મારા પગ સાથે શું અથડાયું ? (વાંકો વળી જમીન પરથી વસ્તુ હાથમાં લઇ) માછલીના કાંટા જેવું જણાય છે ! અને, એમાં રેશમી દોરી પરોવેલી છે!
વીણાવતી : એ કાંટો મારા કંઠમાં બાંધ્યો હતો, તે છૂટીને પડી ગયો. એ જાળવી રાખવાનો છે.
જગદીપ : એવું એનું શું મૂલ્ય છે ?
વીણાવતી : એ અમૂલ્ય છે. જે મગરમચ્છે જીવતાં આપણો પ્રથમ મેળાપ કરાવ્યો, અને પોતે મુવા પછી પણ આપણે ફરી મેળાપ કરાવ્યો તેના અંગમાંનો એ કાંટો છે.
જગદીપ : એમ છે તો તેની બહુ આદરથી રક્ષા કરવી જોઈએ. પરંતુ મગરમચ્છે શી રીતે એ ધન્ય કાર્ય કર્યું?
વીણાવતી : સમુદ્રમાં ભરતી સાથે મગરમચ્છ નદીમાં ચાલ્યો આવેલો, અને નદીના પટ ઉપરનો પેલો ઝૂલતોઝાંપો તોડીને તે વાડીની હદમાં પેઠેલો. મારી હોડી નીચે તેનું અંગ આવતાં હોડી ઉંધી વળેલી. ઝાંપાના ભાલા વાગવાથી તેનું મૃત્યુ થયેલું અને ભરતી ઊતરી જતાં તેનું શબ પાછું તણાઈ વાડી બહાર આવીને કિનારે પડેલું. ત્યાં બીજે દિવસે જઈ તેના અંગમાંથી હું આ કાંટો સ્મારકચિહ્ન માટે લઈ આવી છું.એના દેહને મેં ત્યાં જ અગ્નિ દાહ કરાવ્યો છે.
જગદીપ : એની સેવા અતુલ છે.

પ્રેમસ્ફુલિંગે લાવેલો વડવાનલમઆંથિ એ,
રોપવા આપણી માંહે તોડિયા જડ બન્ધનો. ૭૯

એણે ઝાંપો તોડ્યો ન હોત તો આ બંધ વાડીમાં મારો પગ સંચાર ક્યાંથી થાત? અને, એણે હોડી ઉથલાવી પાડી આ વાડીમાંની અપ્સરાને મારી તરફ જલમાર્ગે પ્રેરિત કરી ન હોત તો હું એ દિવ્ય મૂર્તિની પ્રાપ્તિ ક્યાંથી કરત ? આ કાર્યમાં એના જીવનનું બલિદાન થયા પછી એનું શબ જ્યાં આપણા પુનઃ સમાગમનું નિમિત્ત થઈ ભસ્મીભૂત થયું છે ત્યાં આપણે સ્મરણસ્તંભ ઊભો કરીશું અને તે ઉપર લેખ કોતરાવીશું કે,

હળવા ભરજો પગલાં અહિઆં,
કચરાતિ રખે રજ આ સ્થળની.
ભરિ ભસ્મ અલૌકિક એ રજમાં,
વડગાગ્નિકણે જહિં પેમ સ્ફુરે. ૮૦

પરંતુ પ્રેમથી અમૂલ્ય કીર્તિ સૌંદર્ય સાથેના યોગમાં રહેલી છે. માટે એ પ્રેમદૂતના આ અવશેષોને આ ગૌર કંઠ ઉપર આપેલી ધન્ય પદવીએ તેને ફરી સ્થાપિત કરવોજોઈએ.

[જગદીપ મગરમચ્છનો કાંટો વીણાવતીને કંઠે બાંધે છે. તેમ કરતાં વીણાવતીના કંઠ પર જગદીપના હાથ રહેલા છે. તે વેળા બંનેની આંખો સામસામી મળે છે. અને તેવી સ્થિતિમાં તેઓ ક્ષણભર ઊભા રહે છે.]

વીણાવતી : વહાલા ! તું મારી આંખોમાં શું જોઈ રહ્યો છે?
જગદીપ : પ્રિયતમ વીણા ! મેં આજ સુધી જે દીઠું નથી તે અત્યારે તારી આંખોમાં જોઉં છું.

સીમા અભેદ્ય નડતી મુજને બધે જ;
તે ચક્ષુ આ તુજ મહીં થતિ લુપ્ત દેખું,
નિસ્સીમ દર્શન થતું તુજ ચક્ષુમાં જે,
તેથી અગમ્ય ઘટના થતિ આજ ગમ્ય. ૮૧

ઘેરો અગમ્યતાનો જે દશે દિશ ફરી વળ્યો,
ખસી જતો નિહાળું આ પ્રેમાર્દ્ર નયનો મહીં. ૮૨

વીણાવતી : મારી આંખો મારા દિલદારને કોઈ પણ રીતે કામ આવતી હોય તો તે કાઢીને આપી દેવા તૈયાર છું.
જગદીપ : મારે તો આખી વીણા જોઈએ છે. એના કયા અંગની કિંમત વધારે કરું અને કયા અંગની કિંમત ઓછી કરું ?
વીણાવતી : (ઊંચે જોઈને) આ ચન્દ્રને આજે જંપ નથી. ઝાડ પરથી નીકળી આવીને એણે છાયાનું આવરણ આપણા પરથી ખસેડી લીધું છે. આપને બીજા કોઈ ઝાડની છાયાનો આશ્રય લઈએ કે જ્યાં મહેલમાંથી દૃષ્ટિગોચર ન થવાય.
જગદીપ : પ્રેમપ્રતિજ્ઞાથી પાવન થયેલું આ સ્થળ છોડતાં પહેલાં અહીં તારી સુકોમલ અંગુલીએ મુદ્રા ધારન કરાવવી ઘટે છે. મારી પાસે આ વેળા સુવર્ણ પણ નથી અને રત્ન પણ નથી, પરંતુ પ્રેમરસની અમૂર્ત મુદ્રાથી તારી અંગુલી અંકિત કરવાની અનુજ્ઞા માંગુ છું.

[વીણાવતી પોતાનો જમણો હાથ લાંબો કરી આંગળીઓ ધરે છે. જગદીપ ઘૂટણીયે પડી વીણાવતીની અંગુલી પર ચુંબન કરે છે.]

જગદીપ : (ઊભો થઈને) સ્વર્ગમાં અમૃતનો આસ્વાદ છે એની મને હવે પ્રતીતિ થઈ. હવે પેલા ઝાડની છાયામાં જઈ પ્રભાત આપણો વિયોગ કરાવે તે પહેલાં હું મારું વૃતાન્ત નિવેદન કરી મારા હ્રદય પર રહેલો ભાર હલકો કરું.
[બન્ને જાય છે.]